Abtak Media Google News
  • ટકાઉ વિકાસ સાર્થક કરવા પાંચ વર્ષમાં 1548.50  હેકટરમાં વૃક્ષારોપણ હવે મિંયાવાંકી જંગલોનો ઉપહાર ઈશ્વરીયા પાર્ક
  • સૌરાષ્ટ્રના પાટનગરલ, ઔદ્યોગીક ધર્મસંસ્કૃતી અને વિદ્યાનગરી રાજકોટે વિકાસની સાથે પ્રાકૃતિક   જતનની  બેવડીજવાબદારી માં સફળતા મેળવી છે.

રાજકોટને હરિયાળુ બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપતા નાયબ વન સંરક્ષક તુષાર પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રીપ પ્લાન્ટેશન, ગ્રામ વાટીકા, ફાર્મ ફોરેસ્ટ્રી જેવી વિવિધ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં જિલ્લામાં 1548.50 હેકટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક સંસ્થાઓનાં સહયોગથી લોકભાગીદારી દ્વારા વર્ષ 2020-21માં 66,565, વર્ષ 2021-22માં 2,93,610 અને વર્ષ 2022-23માં 1,39,094 સહિત કુલ 4,99,266 રોપાઓનું વાવેતર કરી વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું.

નાગરિકોનો પ્રકૃતિ સાથેનો નાતો મજબુત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા “રામવન” અને “શક્તિવન” બનાવવામાં આવ્યા છે. જેમાં મહત્તમ ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તો બન્યા જ છે સાથો સાથ આસપાસના વિસ્તારને શુદ્ધ પણ રાખી રહ્યા છે. ઉપરાંત નમો વડ વન યોજના અંતર્ગત વિવેકાનંદ પાર્ક, આજી ડેમ તથા જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે “વડ વન”  તૈયાર કરવામાં આવ્યા છે. દરેક વડ વનમાં 75 વડના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

Lekjh 1

રાજકોટમાં વન વૈભવની સાથે શહેરી વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવા, પાણીનો સંગ્રહ અને હરિયાળી વધારવા, ગરમીની અસર ઘટાડવા અને નાગરિકોને શુદ્ધ હવા સાથેનું પર્યાવરણ ઉપલબ્ધ બનાવવા માટે મનોરંજન સાથેનું રમણીય વાતાવરણ પૂરું પાડવા “નગરવન” યોજના હેઠળ પ્રદ્યુમન પાર્ક નજીક વિવેકાનંદ પાર્કમાં કુલ 1 હેકટર જમીનમાં “નગરવન” તૈયાર કરવામાં આવનાર છે. જેમાં વિવિધ રાશિ મુજબના રોપાઓનું વાવેતર કરી રાશીવન, ઔષધીય મહત્તા ધરાવતા રોપાઓનું વાવેતર કરી આયુર્વેદિક વન, સ્થાનિક રોપાઓનું વાવેતર કરી અશોકવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.

પર્યાવરણના વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પધ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગની  વન કવચ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં પડતર જમીનને હરિયાળી બનાવવા 0.75 હેકટર વિસ્તારમાં ઈશ્વરીયા પાર્ક અને ગોંડલ તાલુકાના જામવાડી જી.આઈ.ડી.સી.ની બાજુમાં 1 હેકટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે જૈવવિવિધતા વિકસશે અને બે વર્ષના ટૂંકાગાળામાં જ વિકાસ પામેલ વન કવચ જુદા-જુદા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન બની શકશે.

નાગરિકો કુદરતી સંપદાઓના જતન સાથે આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પણ પર્યાવરણની સુરક્ષા ક્ષેત્રે અગત્યનો ભાગ ભજવી રહી છે ત્યારે આયોજન શાખાનાં મહેશભાઈ કંટારીયાએ જણાવ્યું હતું કે, ટકાઉ વિકાસની સંકલ્પનાને સાર્થક કરતી “વૃક્ષ ખેતી યોજના” તળે જિલ્લામાં વર્ષ 2022-23માં 160.00 હેક્ટરનાં વાવેતર માટે 185 લાભાર્થીઓને રૂ. 12.80 લાખની સહાય ચુકવવામાં આવી હતી. બળતણના બચાવ અને સ્વાસ્થ્ય સુધારા, સ્વચ્છતા અભિયાન હેઠળ 55 ગ્રામજનોને વિનામુલ્યે નિર્ધૂમ ચુલા ફાળવવામાં આવ્યા હતા. “વિકેન્દ્રીત પ્રજા નર્સરી” યોજના તળે કુલ 49 લાભાર્થીઓને 7.70 હજાર જેટલા રોપા ઉછેરવા આપ્યા હતા. ઉપરાંત વર્ષ 2022-23માં 55 કિશાન શિબિર અને 18 પ્રાકૃતિક શિક્ષણ શિબિરો કરીને લોકોનો પ્રકૃતિ સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં “વન મહોત્સવ” હેઠળ 97.65 લાખ રોપાઓ ઉછેર્યા છે. વર્ષ 2023-24ના 74માં “વન મહોત્સવ” અંતર્ગત જુદાજુદા મોડેલ હેઠળ આશરે 316 હેકટરમાં 3,09,977 રોપાઓનું વાવેતર કરીને રાજકોટના વન વૈભવમાં વધારો કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.