Abtak Media Google News

જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યાની સોપારી લેનાર મુંબઈના બે શખ્સોને તપાસનીશ અધિકારી પી.બી. સેજુળે દસ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ આરોપીઓને વધુ રિમાન્ડની માગણી સાથે આજે અદાલતમાં રજૂ કરાશે.

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષીની ગઈ તા.ર૮ એપ્રિલની સાંજે ટાઉનહોલ વિસ્તામાં સરાજાહેર નિપજાવાયેલી ઘાતકી હત્યામાં મુંબઈના બે શખ્સોએ સોપારી લીધી હોવાનું તપાસનીશ એસપી પી.બી. સેજુળની તપાસમાં ખૂલ્યા પછી તેઓ દ્વારા રચવામાં આવેલી ટૂકડીના અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ઓફિસરોએ મુંબઈમાંથી સાઈમન લુઈસ તથા અજય મહેતા નામના બે શખ્સોને ઉપાડી લીધા હતા.

બન્ને આરોપીઓને તપાસનીશ ટૂકડીએ ચૌદ દિવસના રિમાન્ડની માગણી સાથે ન્યાયધીશ સમક્ષ રજૂ કર્યા પછી બન્ને આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જેની આજે મુદ્દત પૂર્ણ થતી હોય બન્ને આરોપીઓને વધુ રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિમાન્ડ દરમ્યાન આરોપીઓએ રૂ.પ૦ લાખની ભૂ-માફિયા જયેશ પટેલ દ્વારા સોપારી આપવામાં આવી હોવાની કબૂલાત આપી હતી ત્યાર પછી આ શખ્સોએ હત્યાને અંજામ આપવા માટે કેટલાક શખ્સોને સાથે રાખી જામનગર, રાજકોટની વિઝિટ કર્યાનું પણ પ્રકાશમાં આવ્યું હતું તેથી પોલીસે બન્ને શહેરોમાં તપાસ હાથ ધરી કેટલાક સીસીટીવી ફૂટેજ ઝબ્બે લીધા હતા અને આરોપીઓને સાથે રાખી મુંબઈમાં પણ તપાસ કરી હતી આ પછી બન્ને આરોપીઓની હજુ કેટલીક પૂછપરછ બાકી હોય, તપાસનીશ એસપી આજે સાંજે બન્ને આરોપીઓને વધુ રિમાન્ડની સાથે અદાલતમાં રજૂ કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.