Abtak Media Google News

ગુજરાતના શાણા મતદારોએ કયારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી: ર0રરમાં મતદારોનો મિજાજ ફરશે કે પરંપરા યથાવત રહેશે?

ગુજરાતના શાણા મતદારો કયારેય ત્રીજા મોરચાને સ્વિકારતા નથી તે વાત સર્વ વિદીત છે છતાં રાજયમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતાની સાથે જ રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષોની નજર પણ ગુજરાત પર મંડાય છે. વર્ષ 2022 માં યોજનારી ગુજરાત વિધાનસભાની ચૂઁટણી વધુ રોમાંચક બને તેવું લાગી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને જેડીયુ ઉપરાંત હવે આપ, એનઆઇએમ આઇએમ અને ટીએમસીને પણ ગુજરાતમાં પગ પસેસારો કરવાના અભરખા જાગ્યા છે. 2022માં અશ્ર્વમેધમાં સાત ઘોડા છુટશે તે વાત ફાઇનલ થઇ જવા પામી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર હમેશા દેશભરની નજર હોય છે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન પદે સત્તારૂઢ થવા બાદ તેમના માદરે વતન ગુજરાતને ફતેહ કરવાના અભરતા દેશના મોટાભાગના રાજકીય પક્ષોમાં જાગ્યા છે. ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો રાજયની જનતાએ કયારેય ત્રીજા  મોરચાનો સ્વકાર કર્યા નથી. ગુજરાતમાંથી ભાજપના મુળીયા સાફ કરી નાંખવા માટે પૂર્વ મુખ્યમંત્રી  કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, જેવા કદાવર નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે હાર્દિક પટેલે શરુ કરેલા આંદોલનની વ્યાપક અસરો ગત ચૂંટણીમાં વર્તાય હતી. છતાં ભાજપની સત્તાને ઉની આંચ આવી ન હતી.

ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે ભારણ છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી સત્તા પર છે. લાખ પ્રયાસો છતાં કોંગ્રેસને વિરોધ પક્ષમાં જ બેસવાનો વારો આવે છે. છોટુ વસાવાની પાર્ટી આદિવાસી બેલ્ટમાં બે બેઠકો જીતે છે તો શરદ પવારની એનસીપી પણ એકાદ બે બેઠકો જીતી શકે છે. અપક્ષોના ફાળે એકથી બે સીટો મળે છે. આવુ પરિણામ વિધાનસભા ચુંટણીનું રહે છે. હવે ચુંટણીના આડે માત્ર એકાદ વર્ષનો સમય ગાળો બચ્યો છે. ત્યારે ગુજરાતમાં અલગ અલગ રાજકીય પક્ષો પગ પેસારો કરવા મથી રહ્યું છે.

આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યું છે. ગામે ગામ પોતાનું સંગઠન મજબુત કરવા ‘આપ’ જન સંવેદના યાત્રા કાઢી રહ્યું છે. હવે બંગાળમાં મોદી-શાહની જોડીને જોરદાર ફટકો આપનાર મમતાદીદી પણ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ટકકર આપવા મેદાનમાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઔવૈશીની પાર્ટી એઆઇએમઆઇએમ પણ ભાજપ સામે બાથ ભીડવા થનગની રહ્યું છે. ગુજરાત વિધાનસભાની 2022માં યોજનારી ચુંટણી સપ્ત રંગી બની રહે તે ફાઇનલ છે.

ગુજરાતની જનતાએ ભાજપ અને કોંગ્રેસની સિવાય પાર્ટીને વિધાનસભાની ચુંટણી તો દુર રહી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં પણ સ્વીકારી નથી. દર વર્ષ રાજયમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા બીલાડીના ટોપની માફક રાજયકીય પક્ષો ફૂટી નીકળે છે. જો કે મતદારો આવા પક્ષોને ડીપોઝીટ પણ બચાવી શકે તેવી સ્થિતિમાં રહેવા દેતા નથી. જે રીતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહી છે જે જોતા ગુજરાતમાં મતદારો ભાજપ તરફથી મોઢુ ફેરવી લે તેવી કોઇ શકયતા જણાતી નથી.

રાજયમાં સત્તા પરિવર્તનના દુર દુર સુધી કોઇ એંધાણ વર્તાતા નથી. છતાં આપ, એમસીઅને એઆઇએમઆઇ એમને ગુજરાતમાં ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. પરિણામ જે કોઇ આવે પરંતુ એકવાત ફાઇનલ છે 2022 વિધાનસભાની ચુંટણીમાં રાજયમાં અશ્ર્વ મેધનો સાત ઘોડા છુટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.