Abtak Media Google News

૭મી જાન્યુઆરીના રોજ આંદોલન કરી પ્રવિણ રામ દિલ્હી જંતર-મંતર પર કરશે ધરણા

ભારતમાં અલગ અલગ સમાજો સરકાર સામે પોતાની માંગો મુકી રહ્યા છે ત્યારે આવા સમયે સમાજના હિતની માંગણીઓ કરવાની જગ્યાએ દેશની સેવા કરવા ભારતીય સેનામાં જોડાવવા માટે સમગ્ર ભારતના ૨૬ કરોડ આહિર સમાજે રેજીમેન્ટની અલગ જ પ્રકારની માંગ કરી દેશહિત માટે એક અનોખી પહેલ કરી છે.

વર્ષોથી દેશની સેવા કરવા માટે ભારતનો આહિર સમાજ દેશની સરહદો પર જાનની આહુતિ આપતો આવ્યો છે. તેમજ ભારતીય સેનામાં અનેક જ્ઞાતિ અન પ્રાંત આધારિત રેજીમેન્ટો છે ત્યારે આહિર સમાજની સમગ્ર દેશમાં સાચી ઓળખ ઉભી થાય એ માટે હજી સુધી આહિર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવ્યું નથી જે સમગ્ર ભારતના ૨૬ કરોડ આહિર સમાજ સાથે અન્યાય જ છે. તેમજ રેજીમેન્ટનું ગઠન ના થવાના કારણે આહિર સમાજના દેશ માટેના બલિદાનો અને આહિર સમાજની ઓળખને છુપાવવામાં આવી રહી છે.

તેમજ રેજીમેન્ટ ના બનવાના કારણે રોજગારીની તકો પણ મળતી નથી આમ છતાં આ સમયમાં તમામ લોકો ઓફિસવાળી નોકરી મેળવવા માટે આંદોલન કરતા હોય છે. કોઈપણ વ્યકિત દેશની સેવા કરવા માટે સેનામાં ભરતી થવા માટે આંદોલન નથી કરતો ત્યારે આવા સમયે સમગ્ર ભારતના ૨૬ કરોડ આહિર સમાજે સેનામાં રેજીમેન્ટની માંગ કરી દેશની સરહદો અને તમામ સમાજોને સુરક્ષિત રાખવા એક અનોખી પહેલ કરી છે. ત્યારે આંદોલનકારી પ્રવિણરામે પ્રધાનમંત્રીને રજુઆત કરી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

તમામ માંગણીઓને લઈને તારીખ ૧૭/૧૨/૨૦૧૮ના રોજ સમગ્ર ભારતના તમામ આહિરો પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખશે. તેમજ ૨૭/૧૨/૨૦૧૮ના રોજ સમગ્ર ભારતમાં તમામ જિલ્લા અને તાલુકા લેવલે એક જ દિવસે બાઈક રેલી કાઢી કલેકટરને આ માંગણીઓ મુદ્દે આવેદન આપવામાં આવશે અને ત્યારબાદ ૭/૧/૨૦૧૯ના રોજ દિલહી જંતર મંતર પર આંદોલનકારી પ્રવિણ રામ ધરણા કરશે ત્યારે આ પ્રોગ્રામોને લઈને રાજુલામાં પણ ૧૭ તારીખે આ માંગણીઓને લઈને પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખાશે અને ૨૭ તારીખના રોજ બાઈક રેલી સાથે આવેદન અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.