Abtak Media Google News

આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી, સોમવારે ફોર્મ પરત ખેંચવાની અવધી પૂર્ણ થતાની સાથે જ ત્રણેય ઉમેદવારો વિજેતા ઘોષિત થશે

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ ચુંટણી યોજાવાની છે. જો કે, ભાજપના સિવાય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ ચુંટણીમાં ઉમેદવારો ઉતાર્યા ન હોય હવે મતદાન કરવાની આવશ્યકતા રહેશે નહી. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. દરમિયાન સોમવારે ફોર્મ પરત ખેંચવાની અવધિ પૂર્ણ થતાની સાથે જ ચુંટણી પંચ દ્વારા ભાજપના ત્રણેય ઉમેદવારોને બિનહરિફ વિજેતા જાહેર કરી દેવામાં આવશે.

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની મુદ્ત આગામી 8મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ત્રણ સહિત બંગાળ અને ગોવા રાજ્યની 10 બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ ચુંટણીની ઘોષણા કરી હતી. ઓછુ સભ્ય સંખ્યા બળના કારણે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચુંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા નથી.

ભાજપે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી ટિકિટ આપી છે. જ્યારે કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઇ એમ બે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ભાજપના ત્રણ સિવાય કોઇએ ફોર્મ ભર્યા નથી. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થઇ રહી છે. દરમિયાન આગામી સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. સોમવારે બપોરે ભાજપના ત્રણેય ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.