Abtak Media Google News

દિવાળીના સંયમપૂર્વક ઉજવણી કરવા જિલ્લા કલેકટર રવિશંકરે જિલ્લાની જનતાને અનુરોધ કર્યો છે. જામનગર ખાતે કલેકટર રવિશંકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે જામનગર ખાતે ૧૩ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને નેશનલ ઇમ્પોર્ટન્સ ઘોષિત કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સન્માન સાથે આયુષ વિભાગની કામગીરીનો લોકોમાં ખૂબ પ્રસાર જોવા મળ્યો છે તેમ ઉમેરી કલેકટરે ઉમેર્યુ કે, આયુર્વેદ ભારતની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, લોકો અલ્ટરનેટિવ મેડિસિન તરીકે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યો છે ત્યારે ઇન્સ્ટિયૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા આયુર્વેદમાં સંશોધનની તકો વધશે.

કલેકટરે જામનગરની કોવિડની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર આપતા જણાવ્યું કે જામનગરમાં હાલ સુધીમાં કુલ ૯૦૦૦ જેટલા કેસ જોવા મળ્યા છે. ધીરે ધીરે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તહેવારોના દિવસોમાં લોકો યાદ રાખે કે કોરોનાથી આપણે હજુ સંપૂર્ણ મુકત થયા નથી. જયાં સુધી વેકસિન નહીં ત્યાં સુધી લાપવાહી નહીં. લોકો દિવાળીના તહેવારને પણ સંયમિત રીતે ઉજવે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને આવશ્યકતા વગર ઘરની બહાર ન નીકળે અને ઘરના વડીલો ખાસ ધ્યાન રાખે તે ખૂબ આવશ્યક છે દિવાળીમાં ભેટનું આદાન-પ્રદાન, સ્નેહમિલન જેવી બાબતો કોરોનાના સંક્રમણનો ફેલાવો કરી શકે છે ત્યારે સંયમ રાખી નિયમોનું પાલન કરી દિવાળીની સુખરૂપ ઉજવણી કરવા જિલ્લા સમાહર્તાએ જામનગર વાસીઓને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.