Abtak Media Google News

સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમના નવા દરો જાહેર કરતાં 42 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનરોને થશે સીધો ફાયદો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ(સીજીએચએસ) સ્કીમના નવા દરો જાહેર કર્યા છે. સરકાર હવે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાની સૂચિબદ્ધ હોસ્પિટલોમાં સારવાર માટે વધુ પૈસા ચૂકવશે. સીજીએચએસ કેન્દ્ર સરકારના 42 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને આવરી લે છે. સરકારે અગાઉ વર્ષ 2014માં સીજીએચએસના દરો નક્કી કર્યા હતા જે આજના બજારના ધોરણો પ્રમાણે તદ્દન નીચા હતા.  ખાનગી હોસ્પિટલો લાંબા સમયથી સીજીએચએસ દર વધારવાની માંગ કરી રહી છે.

સીજીએચએસના નીચા દરને કારણે ખાનગી હોસ્પિટલોએ સીજીએચએસ સભ્યોની ભરતી કરવાનું ટાળ્યું અથવા ઇનકાર કર્યો હતો.  જો કે હવે એવું નહીં થાય એવી અપેક્ષા છે. સરકારે સીજીએચએસના દરમાં ધરખમ વધારો કર્યો છે. તેનાથી સરકાર પર 240 થી 300 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે ઓપીડી કન્સલ્ટેશન ફી 150 રૂપિયાથી વધારીને 350 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે તેમાં બમણાથી વધુ વધારો કરવામાં આવ્યો છે.  ઉપરાંત આઈપીડી કન્સલ્ટેશન માટેની ફી ઘટાડીને 350 રૂપિયા કરવામાં આવી છે.  પહેલા તે 300 રૂપિયા હતો. આઈસીયુ ચાર્જીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તે ઘટાડીને રૂ.5,400 કરવામાં આવ્યો છે. હોસ્પિટલના રૂમના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જનરલ વોર્ડ માટે 1000 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવ્યા છે.  અર્ધ-ખાનગી વોર્ડ માટે, તે 2,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવામાં આવી છે. ખાનગી વોર્ડ માટે, તે 3,000 રૂપિયાથી વધારીને 4,500 રૂપિયા કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે આ માટે એક સમિતિની રચના કરી હતી. સીજીએચએસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમના પરિવારોને આવરી લે છે.  હાલમાં, દેશભરમાં 600 થી વધુ ખાનગી હોસ્પિટલો સીજીએચએસ ની પેનલમાં સામેલ છે. તેમાં મેદાંતા, ફોર્ટિસ, નારાયણા, એપોલો, મેક્સ અને મણિપાલ જેવી મોટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.  નિષ્ણાતોનું કહેવું છે કે દર વધારવાથી સીજીએચએસ દર્દીઓને સારી સારવાર મળશે. અત્યાર સુધી સીજીએચએસ દર્દીઓ માટે ઓપીડી ફી 150 રુપિયાની પેનલવાળી હોસ્પિટલોમાં હતી જ્યારે નોન સીજીએચએસ એમ્પેનલ્ડ હોસ્પિટલો 1000 થી 2000 રુપિયા વસૂલતી હતી.

સરકારી આંકડા મુજબ ખાનગી હોસ્પિટલો પાસે સરકારના રૂ. 674.82 કરોડ બાકી છે. આ કારણે ઘણી મોટી હોસ્પિટલોએ સીજીએચએસ પેનલમાંથી ખસી જવાની ધમકી આપી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘણી મોટી હોસ્પિટલોએ આ મુદ્દે સીજીએચએસના મહાનિર્દેશક સાથે બેઠક કરી હતી. 2021માં આરોગ્ય મંત્રાલયે લાભાર્થીઓને આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવા માટે  સીજીએચએસને નેશનલ હેલ્થ ઓથોરિટીના આઈટી પ્લેટફોર્મ પર ખસેડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.