Abtak Media Google News

સવારે ઝાકળવર્ષાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા: સૌરાષ્ટ્રમાં સીમલા જેવી આબોહવા

સૌરાષ્ટ્રમાં શિયાળો ધીરેધીરે જમાવટ લઇ રહ્યો છે. સવારે ઝાકળવર્ષા પવનના કારણે સુસવાટાથી વાતાવરણ ઠંડુગાર અને આહલાદાયક બની રહ્યું છે. આજે સવારના પહોરમાં તાપમાનનો પારો સળસળાટ નીચે ઉતાર્યો હતો અને પવન અને ભેજની ટકાવારીથી ટાઢનો ચમકારો દેખાયો હતો. માઉન્ટ આબુ સહિતના હિલ સ્ટેશનો પર કડકડતી ઠંડી, ગોરા અને નખી સરોવર પર બરફની પાતળી પરખ જોવા મળી હતી.

સૌરાષ્ટ્ર પર ઉત્તર ભારતના હિમ વાયરા જેવા ઠંડા પવનની ટાઢનો ચમકારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બરફવર્ષા અને હિમ વાયરાના વાતાવરણની અસર છેક ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેખાવા લાગી છે. આજે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હવામાનના આંકડામાં મહત્તમ તાપમાન 18.6, લઘુત્તમ તાપમાન 15.6’ વચ્ચે ગીરનાર ઉપર તાપમાનનો પારો 10 ડિગ્રી અને આબુ ઉપર 5 ડિગ્રી સુધી નીચે સરકી ગયો હતો. સવારે ઝાકળવર્ષાના કારણે વાતાવરણમાં ભેજની ટકાવારી 86 ટકા સુધી જોવા મળી હતી.

2 થી 5 કિલોમીટરની ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ટાઢુ બોળ બની ગયું હતું. સવારના અલાયદી વાતાવરણમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને રાજકોટ સહિતના શહેરોમાં આરોગ્ય માટે ખંતીલા લોકો વહેલી સવારે જોગીંગ માટે ટહેલતા જોવા મળ્યા હતા. ગીરનારના અંબાજી ટૂક પર હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં બરફ અને હિમવર્ષાથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવે દિવસે દિવસે શિયાળો વધુ કાતિલ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.