Abtak Media Google News

સહકારી બેંકો માધ્યમથી પણ દોઢ લાખ ખેડૂતોને લોન અપાઈ

ખેડૂત સમૃદ્ધ બને અને અદ્યતન પદ્ધતિઓ, નવીન સંશોધનો સાથે સરળતાથી ધિરાણ મેળવીને ખુશહાલીથી ખેતી કરી શકે તે માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં કૃષિલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ કલ્યાણની અનેકવિધ યોજનાઓનો સુચારુ રીતે અમલ થઈ રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને વાવેતર માટે પાક ધિરાણની જરૂરિયાત હોય, ત્યારે તેઓને સરળતાથી ધિરાણ મળી રહે તેના પર હંમેશા ભાર મુકવામાં આવે છે. આ જ કારણ છે કે, વર્ષ 2022માં રાજકોટ જિલ્લામાં 2.29 લાખ ખેડૂતોને વિવિધ બેન્કો દ્વારા રૂપિયા 4620.29 કરોડનું માતબર રકમનું ધિરાણ આપવામાં આવ્યું છે.

ભારતીય સ્ટેટ બેન્કના લીડ બેન્ક વિભાગના અહેવાલ મુજબ, 31 ડિસેમ્બર, 2022 સુધીમાં  રાજકોટ જિલ્લામાં 2,29,189 ખેડૂત ખાતાધારકોને 4620.29 કરોડની પાક લોન આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે, તેમાંથી રાષ્ટ્રીયકૃત 11 બેન્કો દ્વારા 39,866 ખાતાધારકોને 1120.57 કરોડનું ધિરાણ અપાયું છે. જ્યારે માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 20,063 ખાતાધારકોને 658.46 કરોડની પાકલોન આપવામાં આવી છે.

જો કૃષિ માટે પાક ધિરાણ મેળવવાનું હોય તો આજે પણ ખેડૂતોની પહેલી પસંદ સહકારી બેન્કો છે. રાજકોટ જિલ્લામાં ત્રણ સહકારી બેન્કો દ્વારા 1,50,771 ખેડૂત ખાતાધારકોને રૂપિયા 2362.67 કરોડની લોન આપવામાં આવી છે. જે ગયા વર્ષના કુલ પાક ધિરાણના લગભગ અડધોઅડધ જેટલું થાય છે. રાજકોટ જિલ્લામાં બે પ્રાદેશિક ગ્રામીણ બેન્ક દ્વારા 8893 ખેડૂતોને રૂ. 168.89 કરોડનું પાક ધિરાણ આપવામાં આવ્યું છે. જ્યારે ખાનગી બેન્કો દ્વારા 9606 ખેડૂત ખાતાધારકોને રૂ. 309.68 કરોડની પાક લોન આપવામાં આવી છે.

એટલું જ નહીં, વિવિધ બેન્કો દ્વારા 27,590 ખેડૂત ખાતાધારકોને 855.08 કરોડની ટર્મ લોન પણ આપવામાં આવી છે. જ્યારે ખેતમાળખાકીય સુવિધાઓ (એગ્રીકલ્ચર ઈન્ફ્રાક્ચર) માટે 2271 ખાતાધારકોને રૂ. 325.64 કરોડની લોન આપવામાં આવી છે.

ઉપરાંત એન્સિલરી પ્રવૃત્તિ એટલે કે ખેતીને સંલગ્ન અન્ય પૂરક સંસાધનો જેમ કે, પશુપાલન માટે વર્કિંગ કેપિટલ, ટ્રેક્ટર ખરીદવા માટે લોન, ડ્રીપ ઈરિગેશન, થ્રેસર, રોટાવેટર સહિતના સંસાધનો ખરીદવા માટે પણ બેન્કો દ્વારા ખેડૂતોને સરળતાથી ઋણ ઉપલબ્ધ કરાવાય છે. વર્ષ 2022ના ડિસેમ્બર સુધીમાં રાજકોટ જિલ્લામાં 3319 ખેડૂત ખાતાધારકોને રૂ. 2707.41 કરોડની લોન આપવામાં આવી છે.

બેન્કમાંથી પાક ધિરાણ મેળવવું કેટલું સરળ તથા ફાયદાકારક છે તે અંગે રાજકોટ તાલુકાના જીયાણા ગામના ખેડૂતશ્રી વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે,” અમે રાજકોટ જિલ્લા બેંકમાંથી પંચાવન હજાર રૂપિયાનું પાક ધિરાણ લીધું છે. પાક ધિરાણ યોજનાથી ઓછા વ્યાજે મળતું ધિરાણ મારા જેવા નાના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. આ ધિરાણ વાવેતર માટે જરૂરી બિયારણ, દવા સહિત અન્ય ખર્ચમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકાર દ્વારા માઠા વર્ષોમાં તો વ્યાજ પણ માફ કરી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.