Abtak Media Google News

વાલ્મિકી રામાયણથી લઈને રામચરિત માનસ સુધીના દરેક ગ્રંથોમાં ભગવાન હનુમાન દ્વારા કરવામાં આવેલા કાર્યો દર્શાવેલ છે તે આજના માનવીને પ્રેરણા આપે છે. હનુમાનજીના જીવન ઉપરથી શીખ લઈ ન માત્ર સફળતાની ચાવી મેળવી શકાય છે પણ જીવનના અનેક પ્રશ્નોના સમાધાન પણ મેળવી શકાય છે.

શક્તિશાળી થયા પછી પણ નમ્ર સ્વભાવ રાખો : ભગવાન હનુમાન અપાર શક્તિના સ્વામી છે. તેથી જ તેમને બજરંગબલી કહેવામાં આવે છે. પરંતુ શક્તિશાળી હોવા ઉપરાંત, બજરગંબલી ખૂબ જ નમ્ર અને બુદ્ધિશાળી પણ છે. સમગ્ર રામાયણમાં હનુમાનજીએ ક્યારેય પોતાની શક્તિનો બિનજરૂરી ઉપયોગ કર્યો નથી.

હંમેશા શીખતા રહો : શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીએ સૂર્યને પોતાના શિક્ષક બનાવ્યા અને તેમની પાસેથી શિક્ષા લીધી. જ્યારે હનુમાનજી સૂર્ય ભગવાન પાસે શિક્ષણ માટે પહોંચ્યા ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, હું એક ક્ષણ માટે પણ રોકાઈ શકતો નથી કારણ કે મારો રથ સતત આગળ વધે છે. જો હું રોકાઈશ તો સૃષ્ટિનો નાશ થશે.એટલા માટે તમે બીજાને તમારા શિક્ષક બનાવો. ત્યારે હનુમાનજીએ કહ્યું, હું પણ તમારી સાથે તમારી ગતિએ ચાલતા શીખીશ. સૂર્યદેવે કહ્યું કે શિક્ષક અને શિષ્ય સામસામે હોય ત્યારે જ શિક્ષણ આપી શકાય. આવી સ્થિતિમાં, ચાલતી વખતે શિક્ષણ આપવું શક્ય નથી. હનુમાનજીએ કહ્યું – હું તમારી સામે રહીને ઊંધો ચાલીશ. મેં તમને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા છે, તો હું તમારી પાસેથી જ શિક્ષણ લઈશ. હનુમાનજીની વાત સાંભળીને સૂર્યદેવે તેમને પોતાના શિષ્ય બનાવ્યા અને શિક્ષણ આપ્યું.

પરવાનગી વગર કોઈ કામ ન કરો : રામચરિત માનસના સુંદરકાંડમાં અશોક વાટિકાનો સંદર્ભ છે. જ્યારે હનુમાનજી આ બગીચામાં સીતાજીને મળ્યા ત્યારે તે સમયે સીતાજી ખૂબ જ દુ:ખી હતા અને શ્રીરામને જોવા માટે બેચેન હતા. લંકામાં સીતાજીની આવી દુ:ખદ હાલત જોઈને હનુમાનજીએ કહ્યું, માતા, જો હું ઈચ્છું તો હું તને મારા ખભા પર બેસાડી શ્રીરામ પાસે લઈ જઈ શકું. પરંતુ મને આ માટે આજ્ઞા નથી મળી. મને ફક્ત તમને સંદેશો પહોંચાડવાની આજ્ઞા મળી છે.

હાર માનતા પહેલા પ્રયાસ કરો : વાલ્મીકિ રામાયણ અનુસાર, જ્યારે શ્રી રામના આદેશ પર હનુમાનજી સીતાજીની શોધમાં લંકા પહોંચ્યા તો દરેક જગ્યાએ શોધ કરવા છતાં પણ સીતાજી ક્યાંય મળ્યા નહીં. ત્યારે હનુમાનજી નિરાશ થઈ ગયા અને વિચાર્યું કે માતા સીતા વિના ખાલી હાથ પાછા ફરવા બદલ બધા વાનરોને સજા મળશે.મારી એકલાની નિષ્ફળતાને કારણે રાજા સુગ્રીવ દ્વારા તમામ વાંદરાઓએ તેની સજા ભોગવવી પડશે. પછી તેમણે શાંત ચિત્તે વિચાર્યું કે પહેલાં મારે ફરી એકવાર લંકાનાં એ સ્થળો જોવું જોઈએ જે મેં અત્યાર સુધી જોયા નથી. આ પછી તેમણે એક છેલ્લો પ્રયાસ કર્યો અને આ છેલ્લા પ્રયાસમાં તેમને અશોક વાટિકા પાસે સીતાજી મળ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.