Abtak Media Google News

નજીવી બાબતે યુવકને ગાળો ભાંડી માર માર્યો: છોડાવવા પડેલા મિત્રને પણ લમધાર્યો

શહેરમાં નજીવી બાબતે મારામારીની ઘટનાઓ બેફામ વધતી દેખાઈ રહી છે ત્યારે આજે ગીચ વિસ્તાર એવા વૈશાલી નગરમાં આમ્રપાલી બ્રિજ પર શ્રીજી વડાપાવ પાસે બે વિદ્યાર્થીઓ પર હુમલો થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં નજીવી બાબતે યુવાનને ગાળો ભાંડી માર મારતા તેને છોડાવવા પડેલા મિત્રને પણ માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરુપતિ બલાજીનગર શેરી -3માં રહેતા અને એચ.એન.શુક્લા કોલેજમાં બિસીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા સ્મિત નિલેશભાઈ મોર નામના 19 વર્ષીય વિદ્યાર્થી પર શક્તિસિંહ, જયપાલસિંહ સહિતના શખ્સોએ હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં સ્મિતને છોડાવવા વચ્ચે પડેલા નવાગામમાં રહેતા તેના મિત્ર અંકિત મનસુખભાઈ મકવાણા (ઉ.વ.21) તેને પણ માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સ્મિત એચ.એન.શુક્લા કોલેજમાં બિસીએનો અભ્યાસ કરે છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં તે આમ્રપાલી બ્રિજ પર હતો ત્યારે પોતાનું વાહન કાઢવા જતા શક્તિસિંહએ તેને ગાળો દીધી હતી. જેથી સ્મિતે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે પોતાના સાગરીતોને બોલાવી યુવાનને માર માર્યો હતો.

તે દરમિયાન સ્મિતનો મિત્ર અંકિત મારથી છોડાવવા જતા શક્તિસિંહ સહિતના શખ્સોએ તેને પણ માર મારતા બંને મિત્રને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી હુમલાખોર સામે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.