Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં શુક્રવાર રકતરંજીત બન્યો: ત્રણ લોથ ઢળી

ખંભાળીયાના નાના આસોટા ગામે યુવાનની જુના મનદુ:ખના કારણે હત્યા

રાજકોટની પરિણીતાના તાલાલાના બોયફ્રેન્ડનું મૈત્રી કરારના કારણે ચાર શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો

સૌરાષ્ટ્રમાં શુક્રવારે બે યુવાન અને એક પરિણીતાની હત્યા સાથે રકતરંજીત બન્યો છે. ગઢડા નજીક આવેલા કેરાળા ગામે મિલકતના ભાગના પ્રશ્ર્ને ચાલતા ઝઘડાના કારણે પુત્રવધૂને સસરાએ બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી હતી. રાજકોટની પરિણીતાના બોયફ્રેન્ડની તાલાલા ખાતે મૈત્રી કરારના મનદુ:ખના કારણે ચાર શખ્સોએ ઢીમઢાળી દીધુ અને ખંભાળીયાના નાના આસોટા ગામે જુના મનદુ:ખના કારણે યુવાનની હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા કેરાળા ગામે રહેતી પ્રભાબેન રમેશભાઇ સરવૈયા નામની પરિણીતાનું બોથર્ડ પદાર્થ મારી તેના સસરા ભૂપત ઉર્ફે ભોપા ભીમા સરવૈયાએ હત્યા કર્યાની મૃતકના પતિ રમેશભાઇ ભૂપતભાઇ સરવૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતક પ્રભાબેન અને તેણીના સસરા ભૂપતભાઇ સરવૈયાને મકાનના ભાગના પ્રશ્ર્ને લાંબા સમયથી ઝઘડો ચાલતો હોવાથી બોથર્ડ પદાર્થ મારી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જયારે તાલાલાના હડમતીયા ગીર ગામે રહેતા ધવલ પિતાબંર લાડવા નામના 30 વર્ષના પ્રજાપતિ યુવાનની આકાશ વાસુદેવ વ્યાસ, ફૈઝલ રજાક મકબુલ, ઇમરાન રહીમ ભટ્ટી અને સલીમ રહીમ ભટ્ટી નામના શખ્સોએ ઢીકાપાટુ મારી ઢીમઢાળી દીધાની અલ્પેશ પિતાબંરભાઇ લાડવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મૃતક ધવલ લાડવાને રાજકોટની પરિણીતા મોનિકાબેન ગોર સાથે મૈત્રી કરાર કર્યા હોવાથી ચાલતા મનદુ:ખના કારણે ચારેય શખ્સોએ એક સંપ કરી હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ચારેયની શોધખોળ હાથધરી છે.

ખંભાળીયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા કરશનભાઇ આંબલીયા નામના 40 વર્ષના યુવાનની તેના જ ગામના દેવલો ઉર્ફે દેવાણંદ કરશન ખૂટ અને હક્કો ઉર્ફે જીવા કરશન ખૂંટી નામના શખ્સોએ ધોકા વડે હુમલો કરી હત્યા કર્યાની મૃતકના ભત્રીજા હમીર સુમાત આંબલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતક કરશનભાઇને તેના ગામના દેવલો ઉર્ફે દેવાણંદ ખૂંટી વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાથી હત્યા કરાયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.