Abtak Media Google News

ભારત-યુકે વચ્ચે ફ્રી ટ્રેડના કરાર વિકાસના નવા દ્વાર ખોલશે

ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરારનો પ્રસ્તાવ હવે પૂર્ણતાના આરે છે. બંને દેશોએ આ કરારને અમલમાં મુકવા પ્રયાસો તેજ કરી દીધા છે અને માસાંતે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ભારત પ્રવાસે આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. જ્યાં બંને દેશો વચ્ચેના મુક્ત વેપાર કરારને લીલીઝંડી આપવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ કરારથી બંને દેશોમા વિકાસના નવા દ્વાર ખુલવાની પ્રબળ શક્યતા છે.

મુક્ત વેપાર કરારની અમલવારી બાદ બંને દેશો વચ્ચે વાર્ષિક 1.60 લાખ કરોડનો વેપાર થવાનો આશાવાદ

બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં મુક્ત વેપાર કરાર અંગે 13 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. અગાઉની વાતચીત 18 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને તે ચર્ચા ઉપરાંત કેટલાક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત પણ થઈ છે. સમગ્ર ગતિવિધિથી વાકેફ એક અધિકારીએ પણ એવુ જણાવ્યું છે કે, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક આ મહિનાના અંત સુધીમાં ફરી એકવાર ભારતની મુલાકાત લઈ શકે છે (તેઓ અગાઉ G20 કોન્ફરન્સમાં ગયા હતા) અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. જો ત્યાં સુધીમાં મંત્રણા પૂર્ણ થાય તો સુનકની મુલાકાત દરમિયાન કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.ઉલ્લેખનીય બાબત છે કે, આ કરાર બાદ બંને દેશો વચ્ચે વાર્ષિક 20 બીલીયન ડોલર એટલે કે આશરે 1.60 લાખ કરોડનો વેપાર થઇ શકે છે.

હાલ બંને પક્ષો તરફથી એવા સંકેતો મળી રહ્યા છે કે આ મહિનાના અંત સુધીમાં કરારને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય છે. જો કે, હિલચાલ સિવાય વ્હિસ્કી માટે વ્યાપક માર્કેટ એક્સેસ, કેટલાક અન્ય મુદ્દાઓ હજુ ઉકેલવાના બાકી છે.

કેનેડા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો અટકાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારત આ વર્ષે જ બ્રિટન સાથે મોટા એફટીએ પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા રાખી શકે છે.

કોઈપણ સંજોગોમાં ભારત 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષના અંત સુધીમાં કરારને અંતિમ સ્વરૂપ આપશે તેવી ચર્ચા ચાલી રહી છે. યુરોપિયન યુનિયન સાથેનો વેપાર કરાર પણ દૂર લાગે છે કારણ કે સરકારી અધિકારીઓ માને છે કે વાટાઘાટો વધુ જટિલ છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં ઓછામાં ઓછો એક વર્ષ લાગી શકે છે.

એ જ રીતે બ્રિટન માટે ભારત સાથે વેપાર કરાર મહત્વપૂર્ણ છે કારણ કે બ્રેક્ઝિટ પછી તે વિશ્વ સાથે વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત એક મોટું બજાર છે અને બ્રિટન તેની સાથે વેપાર સોદા માટે વાટાઘાટો કરવા પ્રતિબદ્ધ છે.

આ વેપાર વાટાઘાટોમાં ઘણી અડચણો આવી ચુકી છે. જેમાં ગયા વર્ષે બ્રિટિશ રાજકારણમાં ઉથલપાથલથી લઈને લંડનમાં ખાલિસ્તાનના સમર્થનમાં પ્રદર્શનો, ભારતના મુખ્ય રાજ્યોમાં ચૂંટણી સુધીના મુદ્દાઓ સામેલ હતા. જેના કારણે બંને દેશો વચ્ચે વાતચીત સુસ્ત રહી છે.

બંને દેશો વચ્ચે કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓ છે.  ભારત ઉદારીકરણ ઇમિગ્રેશન નીતિ ઇચ્છે છે અને બ્રિટન માંગ કરે છે કે વ્હિસ્કી અને ઓટોમોબાઇલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની સાથે સાથે ભારતના કાયદા, આર્કિટેક્ચર અને નાણાકીય સેવાઓને પણ ઉદાર બનાવવામાં આવે.

નાણાકીય વર્ષ 2023 રમિયાન બ્રિટન ભારતનું 15મું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ભારતે 4.5 બિલિયન ડોલરના માલસામાનની નિકાસ કરી છે અને 2 બિલિયન ડોલરના માલની આયાત કરી છે.

મુક્ત વેપાર કરારમાં આલ્કોહોલ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં રાહત ઝંખે છે વ્હીસ્કી નિર્માતા કંપનીઓ

ભારત સાથે મુક્ત વેપાર કરારની અમલવારીની યુકેની વ્હીસ્કી કંપનીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશ્વભરમાં પ્રખ્યાત જ્હોની વોકર, શિવાઝ જેવી વ્હીસ્કી બ્રાન્ડના માલિકો પણ આ કરારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેની પાછળ ભારતમા આલ્કોહોલની આયાત પર 150% ઈમ્પોર્ટ ડ્યુટી લગાડવામાં આવે છે. ત્યારે જો મુક્ત વેપાર કરાર અમલમાં આવે તો ઈમ્પોર્ટ ડ્યુટીમા જંગી ઘટાડો થવાની શક્યતા છે. વ્હીસ્કી નિર્માતા કંપનીઓએ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 75% સુધી કરવાની માંગ કરી છે.  જોકે, ભારતીય વ્હિસ્કી ઉત્પાદકો ઈચ્છે છે કે 10 વર્ષમાં આ ડ્યુટી ધીમે ધીમે ઘટાડીને 50% કરવામાં આવે.

2024 પૂર્વે મુક્ત વેપાર કરારને લીલીઝંડી આપી દેવાય તેવી પ્રબળ શક્યતા

કોઈપણ સંજોગોમાં ભારત 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષના અંત સુધીમાં કરારને અંતિમ સ્વરૂપ આપશે તેવી ચર્ચા ચાલી રહી છે. યુરોપિયન યુનિયન સાથેનો વેપાર કરાર પણ દૂર લાગે છે કારણ કે સરકારી અધિકારીઓ માને છે કે વાટાઘાટો વધુ જટિલ છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં ઓછામાં ઓછો એક વર્ષ લાગી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.