Abtak Media Google News

એ.વી.પી.ટી.આઈ.ને વીવીપી ઈજનેરી કોલેજનું સંયુકત આયોજન

વિદ્યાર્થીઓને ઈસરોના તજજ્ઞ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપની તક: ત્રણ દિવસના કાર્યક્રમમાં રોજ વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને અવકાશ, વિજ્ઞાન અંગે આપશે માર્ગદર્શન

૨૬, ૨૭ અને ૨૮મી ફેબ્રુઆરી રાજકોટ માટે યાદગાર બની રહેશે. એ.વી.પી.ટી.આઈ અને વીવીપી ઈજનેરી કોલેજના સંયુકત ઉપક્રમે આયોજીત ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ-૨૦૨૦માં ઈસરોના તજજ્ઞ વૈજ્ઞાનિકો આવશે. રાજકોટની એ.વી.પી.ટી.આઈ., વી.વી.પી એન્જિનીયરીંગ કોલેજ, એવીપીટીઆઈ એલ્યુમની એસોસીએશન અને રમણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે તારીખ ૨૬, ૨૭ અને ૨૮મી ફેબ્રુઆરીએ એવીપીટીઆઈ ખાતે યોજાનાર ઈસરોના સુંદર અને વિશિષ્ટ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતમ વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણનો વિકાસ અને વિજ્ઞાન અંગેની યોગ્ય સમજણ તથા ઉપયોગીતા વિકસાવવાનો છે.

Advertisement

શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ દરરોજ એકસપર્ટ લેકચર, વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ તથા પ્રશ્ર્નોતરીની અમુલ્ય તક ચુકવા જેવી નથી. ૨૦થી વધુ વર્ષોનો અનુભવ ધરાવતા આ વૈજ્ઞાનિકોનો ટૂંકમાં પરિચય જોઈએ.

૧.ચિરાગ પદ્મકાંતભાઈ દીવાન:- ઓકટોબર, ૧૯૮૩માં સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો સાથે સંકળાયા. તેઓએ ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સથી એરોસ્પેસમાં એમ.ઈ.ની. પદવી પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ ઈસરોમાં પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ ગ્રુપનાં હેડ છે. જે મેનપાવર પ્લાનીંગ, પ્રોજેકટ પ્લાનીંગ, બજેટ પ્લાનીંગ એન્ડ એકસપેન્ડીચર મોનીટરીંગ, ટેકનોલોજી ટ્રાન્સફર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરફેસ, રીસર્ચ કો-ઓર્ડીનેશન એન્ડ ઈવેલ્યુએશન, હ્યુમન રીસોર્સીસ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન અને અન્ય પોલીસી સંલગ્ન બાબતો વગેરે કાર્યો સાથે સંકળાયેલા છે.

૨.જયંતભાઈ જોશી:- મે, ૧૯૭૮માં ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા, ત્યારબાદ ૨૦૧૫માં તેઓ ઈ.પી.સી. એન્ડ ટયૂબ એમ્પ્લીફાયર ડિવીઝનમાં હેડ બન્યા. તેઓએ ૩૭ વર્ષો સુધી ઈસરોમરાં સેવા આપી. તેઓને વર્ષ ૨૦૦૯માં ઈસરો ટીમ એકસલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓએ ૨૫થી વધુ સેટેલાઈટ મિશનમાં કામગીરી બજાવી.

૩.ભગીરથ માંકડ:- ૧૯૮૩માં વૈજ્ઞાનિક તરીકે સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાં જોડાયા. તેઓએ ૧૯૯૬માં એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજથી એડવાન્સડ ઈલેકટ્રોનીકસ સર્કિટ, માઈક્રવેવ એન્ડ પલ્સ ટેકનિકમાં સ્પેશ્યાલાઈઝેશન સાથે ઈલેકટ્રીકલ એન્જિનીયરીંગ અને ૧૯૭૮માં ઓટોમેશન એન્ડ કંટ્રોલ એન્જિનીયરીંગ સ્પેશ્યાલાઈઝન સાથે ઈલેકટ્રીકલ એન્જિનીયરીંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ૩૦થી વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે.

૪.કશ્યપ માંકડ:- સ્પેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરોમાંથી ઈલેકટ્રો ઓપ્ટીકસ સિસ્ટમ્સના ગ્રુપ ડાયરેકટર તરીકે વર્ષ ૨૦૧૫માં રીટાયર્ડ થયા. આ ગ્રુપ ઈસરો મિશનના તમામ કેમેરા જેમાં ચંદ્રયાન ૧ અને ૨, મંગળયાન-૧નો સમાવેશ થાય છે તેની સિસ્ટમ ડિઝાઈન અને કેરેકટરાઈઝેશનની કામગીરી બજાવે છે. તેઓ એવીપીટીઆઈમાંથી ડિપ્લોમાંની પદવી ધરાવે છે.

૫.દિલીપ મહેતા:- ઈસરો, બેંગલોરનાં સેન્ટરમાં ઓગસ્ટ ૧૯૭૫માં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે જોડાયા. તેઓએ પોસ્ટ લોંચ ઓપરેશન, ટેલીમેટરી એન્ડ સેન્સર ડિવીઝન, ભાસ્કર-૧ અને ૨, રોહિણી સેટેલાઈટ વગેરેમાં કામગીરી બજાવી. તેઓએ વિવિધ સેટેલાઈટનાં હોરીઝોન્ટલ સેન્સર, મેગ્નેટીક સેન્સર અને સન સેન્ટરનાં ડેવલપમેન્ટ અને ફેબ્રિકેશન કાર્યમાં સક્રિય ફાળો આપ્યો.

૬.હેમલ ભગત:- ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે ૩૦ વર્ષોથી વધુ સમય સુધી વિવિધ ઈસરો મિશન ચંદ્રયાને ૧ અને ૨, મંગળ મિશન, રીમોટ સેન્સીંગ વગેરેમાં સફળતાપૂર્વક કામગીરી બજાવી. તેઓએ એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજમાંથી ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશનમાં ડિગ્રી એન્જિનીયરીંગ પૂર્ણ કરી છે. તેઓએ એવીપીટીઆઈમાંથી ડીપ્લોમાંની પદવી પ્રાપ્ત કરી છે.

૭.નિલેશ મકવાણા:- ઈસરોનાં સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાં માઈક્રોવેવ રીમોટ સેન્સીંગ ક્ષેત્રે વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તેઓએ વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાંથી ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જિનીયરીંગ તથા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એન.આઈ.ટી.), હમીરપુર ખાતેથી યુનિવર્સિટી પ્રથમ ક્રમાંક-ગોલ્ડ મેડલ સાથે એમ.ટેકની પદવી પ્રાપ્ત કરી છે. તેઓએ ૫થી વધુ વખત ૯૯ પર્સેન્ટાઈલ સાથે ગેટની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. તેઓએ રશિયન, ઓસ્ટ્રેલિયન અને ચાઈનીઝ એન્ટાર્કટિક રીસર્ચ સેન્ટરની મુલાકાત લીધી છે.

૮.સતીશ રાવ:- ઈસરોનાં સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તેઓ ઈલેકટ્રોનીકસ એન્જિનીયરીંગ છે. ઈસરોમાં ૨૦થી વધુ વર્ષોથી ફરજ બજાવે છે.

ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ-૨૦૨૦માં ઈસરોના વૈજ્ઞાનિકોના એકસપર્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૬ ફેબ્રુઆરીએ બપોરે ૨:૩૦ વાગ્યે મીનલ રોહિત દ્વારા ‘ઈસરો: માય ડ્રીમ’ વિષય પર વ્યાખ્યાન યોજાશે. તા.૨૭ ફેબ્રુઆરીએ બપોરે ૨:૩૦ વાગ્યે ફયુચર ઓફ સાયન્સ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ વિષય પર પેનલ ડીસ્કશન આયોજીત છે, જેમાં ઈસરોના તજજ્ઞ વૈજ્ઞાનિકો ચિરાગભાઈ દીવાન, જયંતભાઈ જોષી, ભગીરથભાઈ માંકડ, સતીષભાઈ રાવ અને કશ્યપભાઈ માંકડ ભાગ લેશે. તા.૨૮ ફેબ્રુઆરીએ બપોરે ૨:૩૦ વાગ્યે ડી.કે.સિંઘ દ્વારા હ્યુમન પ્રેઝન્સ ઈન સ્પેસ વિષય પર વ્યાખ્યાન યોજાશે. ઉપરોકત તમામ વૈજ્ઞાનિકોના વાર્તાલાપનું આયોજન વિવેક હોલ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, ડો.યાજ્ઞિક રોડ ખાતે કરવામાં આવ્યું છે. શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓએ દરરોજ એકસપર્ટ લેકચર, વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ તથા પ્રશ્ર્નોતરીની અમુલ્ય તક ચુકવા જેવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.