Abtak Media Google News

રાસની રમઝટ, સંગીતના સુરો સાથે સદાશિવની યોજવામાં આવી પાલખીયાત્રા

રાજકોટના કામનાથ મહાદેવના ૬૯મા પાટોત્સવની ભવ્ય ફૂલેકુ કાઢી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

અત્રેના પૌરાણીક પરંપરા મુજબ નીકળતા ફૂલેકામાં રાસની રમઝટ ભકિત સંગીતના સુરીલા સૂરો અને ભાવિકોના અદમ્ય ઉત્સાહ સાથે દેશની જાણીતી વિવિધ સાંસ્કૃતિક મંડળીઓના આકર્ષક ફલોટસ સાથે કાઢવામાં આવી હતી જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંત: કાળથી કામનાથ મંદિ ખાતે કામનાથ મહાદેવ પ્રેરીત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળાના બ્રાહ્મણો દ્વારા સદાશિવનું ષોડશોપચાર પૂજન થયું હતુ જે મધ્યાહન સુધી ચાલ્યું હતુ અને બપોર પછીક ફૂલેકારૂપે ધર્મયાત્રા નીકળી હતી.

કામનાથ મહાદેવના મંદિરથી રૈયાનાકા, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, આશાપૂરા મંદિર, કોઠારીયા નાકા, દરબારગઢ થઈ આ વરણાગી કામનાથ મંદિરે પરત ફરી હતી. આ ફૂલેકા દરમિયાન જામ ખંભાળીયાનુ જગવિખ્યાત આંબાવાડી કલાવૃંદ આદિવાસીઓનું પ્રખ્યાત ગ્રુપ તથા સૌરાષ્ટ્રભરનાં વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓએ ભાગ લઈ રમઝટ બોલાવી હતી. તેમજ શિવજીને રીઝવવા સાંગણવા ચોક ખાતે બાવન બેડાનો રાસ તથા સંધ્યાકાળે આશાપૂરા માતાના મંદિરે ૨૧૦૦ દીવાની ભવ્યાતિભવ્ય આરતી કરવામાં આવી હતી.

આ ફૂલેકા દરમિયાન રાજકોટ આસપાસના ગામો તથા રાજકોટની ધૂનમંડળીઓ, ભજન મંડળીઓ સામેલ થઈ હતી. કકકડ પરિવારના ભાઈઓ, ભોલા મહારાજ, બ્રહ્માનંદ પાઠશાળાના આચાર્ય હર્ષદભાઈ શાસ્ત્રીજી, લખનદાસ બાપુ, કામનાથ ટીમ, લતાવાસી તથા ધર્મપ્રેમી ભાવિકોએ સેવા આપી હતી,. ભાવિકો દ્વારા તૈયાર કરાયેલ પાલખીમાં મહાદેવજીનાં દર્શનનો રાજકોટની ધર્મનિષ્ઠ જનતાએ લાભ લીધો હતો.

આ ધાર્મિક પ્રસંગે કકકડ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમ આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી પ્રિયવદન શાંતિલાલ કકકડ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.