Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ યોજાયો

રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં આયોજિત કર્યો હતો. મુખ્યમંત્રી આ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે મુખ્ય અધિકારીઓને આહવાન કર્યુ કે, સુશાસન મોડેલ અને શહેરી વિકાસની ગુજરાતની આગવી પ્રણાલિ પ્રત્યે સૌ નજર માંડીને બેઠા છે.

એટલું જ નહિ, ખાસ કરીને નગરોમાં રોજી-રોટી માટે અન્ય રાજ્યોના લોકો આવીને વસતા હોય છે તે પણ જે-તે નગરની સુખ-સુવિધા, વિકાસના કામોની ગતિ-વ્યાપ જોઇને શહેરો-નગરોના વિકાસ વિશેનું પરસેપ્શન બનાવતા, આકલન કરતા હોય છે. આવા સંજોગોમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ શહેરી-નગર વિકાસની ઊડીને આંખે વળગે તેવી કામગીરી કરવી એ હવેના સમયની માંગ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

7D0A7910

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે કુલ વસ્તીના લગભગ પ0 ટકા વસ્તી નગરો-શહેરોમાં વસે છે ત્યારે અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ થાય તે આપણા સૌની જવાબદારી બને છે. મુખ્યમંત્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ, વિવાદ નહિં સંવાદ એ ત્રણ ધ્યેયમંત્ર સાથે લોકહિત અને નગર સુખાકારી કામો કરવાની ચીફ ઓફિસરોને પ્રેરણા આપી હતી.

તેમણે ઉમેર્યુ કે રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની સુદ્રઢ સુવિધા નગરોમાં હોય સાથોસાથ રાજ્યના શહેરોના સર્વગ્રાહી વિકાસને ટોપ પ્રાયોરિટી આપીને સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઓનલાઇન બને, શહેરો સ્માર્ટ અને આધુનિક બને તેમજ લોકોને પોતાના કામો માટે નગરપાલિકાએ આવ્યા વિના ઘરેબેઠા જ ઓનલાઇન સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવવાની આવશ્યકતા અને સમયની માંગ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે થ્રી ટાયર સિસ્ટમમાં આપણી લોકશાહિમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા જેવી સંસ્થાઓની અલગ સ્વાયતતા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની અપેક્ષા-આશા પૂરા કરીને લોકશાહિને વધુ મજબૂત બનાવવાની છે અને ચીફ ઓફિસરોએ પણ વ્યાપક જનહિતલક્ષી કામોથી સહયોગ આપવાનો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, તમારા શહેરનો આગવો વિકાસ જનરલ બોર્ડની બેઠકમાં જ નિર્ણયો કરીને કરી શકાય તેવી સ્વાયતતા છે ત્યારે તાજેતરની ચૂંટાયેલી પાંખના યુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની પણ યુવા ટિમ નવું લોહિ આવા આગવા વિકાસ વિઝનથી કાર્યરત બને. તેમણે ઉમેર્યુ કે, ફરિયાદોને અવકાશ ન રહે તેમજ લોકોના વ્યાપક હિતના જનસુખાકારીના વિકાસ કામો પ્રો-એક્ટિવલી થાય તેવું વર્કકલ્ચર આપણે નગરોમાં વિકસાવવું છે.

મુખ્યમંત્રીએ ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનની નેમ દર્શાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, લોકોની પાઇ-પાઇનો સદુપયોગ થાય તે જરૂરી છે નગરના જનહિત કામોની સાઇટ વિઝીટ ચીફ ઓફિસરો કરે અને કામોની ગુણવત્તા ચકાસે, તેમણે ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ સાથે સૂમેળભર્યા અને યોગ્ય વર્તણુંકના સંબંધો જળવાઇ રહે તેની પણ છણાવટ કરી હતી.

7D0A7894

મુખ્યમંત્રીએ ચીફ ઓફિસરોને સ્પષ્ટ તાકીદ કરી કે કોઇ પદાધિકારીના દાબ દબાવમાં આવ્યા વિના તેઓ વિકાસ કામોમાં કાર્યરત રહે અને ખોટું કરાવનારાઓ સામે સરકારમાં રજૂઆત કરશે તો સરકાર તેમની પડખે છે. પરંતુ તમારી ફરિયાદો ન આવે, તમારી બદલી કરાવવાની માંગ નહિં પણ બદલી અટકાવવાની માંગ સરકારમાં આવે તેવા લોકહિત કામો કરે.

શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરીએ શહેરોના વિકાસ કામો માટે નાણાંની કોઇ કમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની આ સરકારમાં નથી તેવો મત વ્યકત કર્યો હતો. આ એક દિવસીય વર્કશોપના પ્રારંભે કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, શહેરી ગૃહ નિર્માણના સચિવ લોચન શહેરા અને મ્યૂનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પટ્ટણીએ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરી કામગીરી અને થયેલ પ્રગતિનો ચિતાર આપ્યો હતો. ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડો. ધનસુખભાઇ ભંડેરી, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનર, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી કમલ  શાહ સહિત શહેરી વિકાસ  વિભાગના અધિકારીઓ આ વર્કશોપમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.