Abtak Media Google News
  • ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના રૂડા લગ્ન અવસરને ઉજાગર કરતા
  • પોરબંદર કલેક્ટર કે.ડી.લાખાણીએ મેળાની તૈયારીઓનું કર્યું જાત નિરિક્ષણ

પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળામાં વિવિધ લોક સુવિધા અને લોક સગવડતા જળવાય રહે તે માટે  આયોજનના સ્થળે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ તંત્રની ટીમ સાથે મુલાકાત લીધી હતી.

Advertisement

કલેકટરશ્રી એ  સ્થળ નિરીક્ષણ કરી વધુ સારી રીતે લોક સુવિધા થાય લોકોને પીવાનું શુદ્ધ પાણી, અવર જવરના રસ્તા, કાર્યક્ર્મના  સ્થળે બેઠક  વ્યવસ્થા નું યોગ્ય આયોજન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

માધવપુર ઘેડ ખાતે બે સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તા.17 થી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા મેળા  ગ્રાઉન્ડ ખાતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી  વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો  રોજ સાંજે યોજવાના છે. તા.17મી એ સાંજે 5  વાગે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મેળાના કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે.

મેળામા પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીજીના વિવાહના પ્રસંગની ભવ્ય ઉજવણી થશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.

પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સહિતના અધિકારીઓની ટીમે મેળા ગ્રાઉન્ડ ખાતે મુલાકાત કરી હતી. મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલ મેળાના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ, ખાણીપીણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લોકોના આરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ, પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા ઈલેક્ટ્રીક લાઈટની યોગ્ય વ્યવસ્થા, નિયમિત રીતે સફાઈ અને અખાદ્ય ખોરાકથી મેળા માણવા આવતા લોકોના આરોગ્ય ન જોખમાય તેની ગંભીરતા લેવા વગેરેની તકેદારી રાખવા સૂચનો કરાયા હતા. ઉપરાંત પૂર્વના રાજ્યો માંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા, સ્થાનિક સખી મંડળ બહેનોના સ્ટોલની વ્યવસ્થા નિહાળી હતી.

દરિયાકિનારે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સ્થળે નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. ભગવાનની જાન પસાર થાય છે તે માર્ગનું નિરીક્ષણ કરવાની સાથોસાથ ચકડોળના સ્થળે પણ નિરિક્ષણ  કર્યુ હતું. મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમોનું મેળા ગ્રાઉન્ડમાં આયોજન કરવા સૂચના આપાઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહના સ્થળે કોઈ અગવડતા ન પડે તેનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે પ્રાંત અધિકારી પારસ વાંદા, સંદીપ જાદવ, જિલ્લા આયોજન અઘિકારી અધિકારી જે.સી. ઠાકોર, જિલ્લાના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુ સહિત અધિકારીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.