Abtak Media Google News

તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપોને સમયની કોઇ બાધ્ય નહિ: ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ કલેકટરનું જાહેરનામું

અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ ફરજિયાત સક્ષમ આરોગ્ય અધિકારી પાસેથી કોવિડ-૧૯ ફ્રી હોવાનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે

ગૃહ મંત્રાલયનાં આદેશ અનુસાર દૂધ એકત્રિકરણની કામગીરી અને ડેરીને છૂટ આપતું જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામા આવ્યું છે. જેમાં દૂધ એકત્રીકરણની કામગીરી અને ડેરીને સવારે ૭થી સાંજના ૭ સુધીની છુંટ આપવામાં આવી છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જણાવાયું છે કે આવશ્યક ચીજ વસ્તુઓ અથવા સેવા સાથે સંકળાયેલા દુકાનોને ઓડ ઇવનની જોગવાઈ લાગુ પડશે નહિ. તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાનો તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપો સમયના કોઈ પણ બાધ વગર ખુલ્લા રાખી શકાશે. ઉદ્યોગો તા પેટ્રોલપંપ સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દૂધ એકત્રીકરણ અને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના ૭થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

વધુમાં જાહેરનામામા જણાવાયું છે કે આંતર જિલ્લા અવર જવર માટે જિલ્લાની ચેકપોસ્ટ ખાતે જિલ્લામાં આવતા લોકોએ આરોગ્ય ચકાસણી કરાવવાની રહેશે. પોતાના હાલના જિલ્લા અને રાજકોટ જિલ્લાના સરનામાં, મોબાઈલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે. તે સંબંધે પુરાવા રજુ કરવાના રહેશે. જો કોઈ વ્યક્તિ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતી જણાશે તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઈઝ કરવામાં આવશે તથા આગળની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહી.

અન્ય રાજ્યોમાંથી રાજકોટ જિલ્લામાં આવતા લોકો પાસે અધિકૃત પાસ હોવો જોઈશે અન્યા આ જિલ્લામાં તેઓને પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ. બહારના રાજ્યોમાંથી રાજકોટ જિલ્લામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા લોકોને સક્ષમ આરોગ્ય અધિકારીનું કોવિડ-૧૯ ફ્રી હોવાનું મુસાફરી શરૂ કર્યા તુરંત પહેલાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે.અન્ય રાજ્યમાંથી રાજકોટ જિલ્લામાં આવતા તમામ લોકોએ ૧૪ દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવાનું રહેશે નહીં. જરૂર જણાયે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન થવાનું રહેશે. તેમજ આરોગ્ય એપ ડાઉનલોડ કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.