Abtak Media Google News

ખેતી, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ડેરી સહિતનાં ક્ષેત્રોને બુસ્ટર આપવા નાબાર્ડ મેદાને

નાબાર્ડ વર્ષ 2023-24 માટે ગુજરાત રાજ્યમાં 2.98 લાખ કરોડનું ધિરાણ કરશે જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો 1.28 લાખ કરોડ (43%), એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રે 1.41 લાખ કરોડ (47%) અને અન્ય અગ્રિમ ક્ષેત્રો 0.29 લાખ કરોડ (10%) નું ધિરાણ આપવા નાબાર્ડ દ્વારા આયોજન કરાયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતું સ્ટેટ ફોકસ પેપર 2023-24 નું વિમોચન કર્યું હતું.  આ કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેંકરોને રાજ્યના મત્સ્યોદ્યોગ અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને ધિરાણની સુવિધા પૂરી પાડવાનું આહ્વાન કર્યું હતું. તેમણે બેંકરોને ખાતરી આપી હતી કે આ શ્રેણીનાં ખેડૂતોને કોલેટેરલ સંબંધી તમામ સમસ્યાઓનાં ઉકેલ માટે તેઓ રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સરકાર, બેંકો અને અન્ય હિતધારકોના સંયુક્ત પ્રયાસોથી  પ્રધાનમંત્રીની ‘અમૃત કાલ’ માટેનાં નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં રાજ્યને મદદ કરશે.

નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલયના મહાપ્રબંધક ડો. જ્ઞાનેન્દ્ર મણિએ ગુજરાતનને “રાષ્ટ્રનું ગ્રોથ એન્જિન” ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કર્યું હતું કે, નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલયે ગુજરાત રાજ્ય સહકારી બેંક સાથેની ભાગીદારીમાં ‘મોડલ કોઓપરેટિવ વિલેજ પ્રોજેક્ટ’નો વિચાર આગળ ધપાવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા, 10 એપ્રિલ 2022ના રોજ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ તકનિકી, નાણાકીય અને આવા અન્ય પગલાં દ્વારા સહકારી સંસ્થાઓની સદ્ધરતામાં સુધારો કરવાનો છે.

સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ, રાજ્ય કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ(ગૃહ) રાજકુમાર, અધિક મુખ્ય સચિવ(કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ) મુકેશ પુરી, મુખ્ય મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેન્ક સુરેન્દર રાણા, મુખ્ય મહાપ્રબંધક, નાબાર્ડ ડો. જ્ઞાનેન્દ્ર મણિએ હાજરી આપી હતી. તદઉપરાંત, આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, વરિષ્ઠ બેંકર્સ અને બિન સરકારી સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

સરકારનું ખેતી ઉપર ફોક્સ : ખાતરમાં આત્મનિર્ભર બનવા ‘અંકુશ’ રખાશે

બજેટ 2023 : વિકાસ એકમાત્ર લક્ષ્યાંક

આઠ સરકારી ખાતર કંપનીઓના સૂચિત ખાનગીકરણને મુલતવી રખાયું, સરકાર આ કંપનીઓને પોતાના સંચાલનમાં રાખીને ખેડૂતોને મદદરૂપ બનશે

અબતક, નવી દિલ્હી : બજેટ 2023 મોદી સરકાર માટે અત્યંત મહત્વનું છે. કારણકે તેની સીધી અસર વર્ષ 2024ની ચૂંટણી ઉપર પડવાની છે. બીજી તરફ સર્વિસ સેક્ટર મંદ રહેવાની ભીતીએ સરકારે ખેતી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે આ બજેટમાં ખેતી માટે રાહતના પટારા ખુલે તેવી પ્રબળ શક્યતા છે. જેની શરૂઆત બજેટ પૂર્વે જ થઇ ગઈ છે.

સરકારે આઠ સરકારી ખાતર કંપનીઓના સૂચિત ખાનગીકરણને મુલતવી રાખ્યું છે કારણ કે સરકાર આ કંપનીઓને પોતાના સંચાલનમાં રાખીને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માંગે છે.

આ નિર્ણય ગયા મહિને જાહેર સાહસો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, આર્થિક બાબતોના વિભાગ અને ખાતર વિભાગના અધિકારીઓની હાજરીમાં એક બેઠકમાં લેવામાં આવ્યો હતો

નીતિ આયોગે અગાઉ વ્યૂહાત્મક વેચાણ માટે રાષ્ટ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને નેશનલ ફર્ટિલાઇઝર્સ સહિત આઠ જાહેર ક્ષેત્રની ખાતર કંપનીઓની ઓળખ કરી હતી. જેનું ખાનગીકરણ કરવા અંગે વિચારણા ચાલી રહી હતી.

2024 સુધીમાં ખાતરની આયાતમાં 30 ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્યાંક

સરકાર 2024 સુધીમાં આયાતમાં ઓછામાં ઓછો 30% ઘટાડો કરવા માટે યુરિયાના સ્થાનિક ઉત્પાદનને આક્રમક રીતે વિસ્તૃત કરવાની દરખાસ્ત કરી રહી છે. ગ્રીન એનર્જી ઉત્પાદનમાં તીવ્ર વધારો થવાની સંભાવના સાથે, સરકારને લાગે છે કે સ્થાનિક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. ભારતે એપ્રિલ-નવેમ્બર 2022માં 10.8 બિલિયન ડોલર મૂલ્યના ખાતરોની આયાત કરી હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 63% વધુ છે.

ખાતરની આયાત અર્થતંત્ર ઉપર મોટું ભારણ

યુક્રેન-રશિયા સંઘર્ષ પછી આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી ખાતર સબસિડી બિલ નાણાકીય વર્ષ 2022 માં લગભગ બમણું થઈને 1.57 લાખ કરોડ થયું હતું જે નાણાકીય વર્ષ 2020 માં 83,000 કરોડ હતું. અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2023 માં એકંદર ખાતર સબસિડી વધુ વધીને આશરે 2.5 લાખ કરોડ સુધી પહોંચશે.

સરકાર 2025 સુધીના ખાતરના નવા 5 પ્લાન્ટ શરૂ કરશે

કેન્દ્ર સરકાર ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ચાર પ્લાન્ટ તલચેર, રામાગુંડમ, ગોરખપુર અને સિંદરી ખાતે અને હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડના બરૌની પ્લાન્ટને પુનર્જીવિત કરવા પર પણ કામ કરી રહી છે. ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ અગાઉ જણાવ્યું હતું કે, “અમે 2025 સુધીમાં આયાતી યુરિયા પરની નિર્ભરતાને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. પાંચ નવા પ્લાન્ટ ત્યાં સુધીમાં કાર્યરત થઈ જશે. નાણાકીય વર્ષ 22 માં યુરિયા સહિતના ખાતરોનું ભારતનું કુલ ઉત્પાદન 43.6 મિલિયન ટન હતું.  કુલ ખાતરની આયાત 18.2 મિલિયન ટન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.