Abtak Media Google News

સરકારની સહાય અને લોકભાગીદારીથી થયેલા જળ સિંચનનું આદર્શ ઉદાહરણ એટલે અમરેલીનું ‘સણોસરા ગામ’

હવે ખેતીમાં રવી અને બારમાસી પાક લેવાની અનુકુળતા કૃષિકારો અને ગામની સમૃધ્ધિમાં થયો વધારો

રાજ્યમાં જળ સિંચનના હેતુથી વર્ષ-2018થી સુજલામ સુફલામ અભિયાન શરુ છે. આ અભિયાન અંતર્ગત સરકારની સહાય અને લોકભાગીદારીથી જળસિંચનના કાર્યો થઈ રહ્યા છે. આ જળસિંચનના કાર્યોનું આદર્શ ઉદાહરણ અમરેલી જિલ્લાના સણોસરામાં હોવાનું ધ્યાને આવ્યું છે. અમરેલી જિલ્લાના સણોસરા ગામમાં વર્ષ-2019થી શરુ કરવામાં આવેલા જળસિંચન અભિયાનમાં સરકારની સહાય અને લોકભાગીદારીથી થયેલા આ કાર્યમાં સફળતા મળી છે. સણોસરા ગામમાં જળસિંચનનું કાર્ય થયું તે પહેલાં 90 ફૂટ સુધી પાણીના તળ ઉંડા હતા જ્યારે હવે તે 25-30 ફૂટ સુધીમાં પાણી મળી રહ્યું છે.

જળસિંચનના કાર્યોમાં વિવિધ તબક્કાની યોજાનાઓમાં સરકાર તરફથી સણોસરા ગામને આશરે રુ.16 લાખની સહાય મળી છે અને સણોસરાના ગ્રામજનોએ રુ. 50 લાખનો ફાળો એકઠો કર્યો છે.  પાણી માટે સતત કાર્યશીલ એવા ઉદ્યોગપતિ  સવજીભાઈ ધોળકિયા દ્વારા સણોસરાગામે મશીનરી સહિતની સહાય આપવામાં આવી હતી. સણોસરાના ગ્રામજનોએ ગામની ભાગોળે આવેલા 85 વિઘાના આશરે 34 એકર તળાવનું જળસિંચનનું કાર્ય કરી અને તેને ઊંડું કર્યુ.

તળાવમાંથી નીકળતી માટી ગામના અને આસપાસના ખેડૂતોને આપવામાં આવી જ્યારે કેટલીક માટીના પાણી બાંધી અને સાથે સાથે ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું. આ તળાવના કારણે આજે સણોસરામાં કૃષિ ક્રાંતિ આવી છે, વધુમાં સણોસરા ગામ હરિયાળું બન્યું છે. સરકારના અભિયાનને સ્વબળે ઝીલી લીધું અને સણોસરાવાસીઓ આ કાર્યને સતત આગળ ધપાવી રહ્યા છે. ગ્રામજનોના રુ. 200-200ના અનુદાનથી લઈને સરકારી સહાય સુધી સણોસરાએ પાણીને પારસ બનાવ્યું છે.

જળસિંચન માટે ચાલુ વર્ષે વોટરશેડની યોજનાના વિવિધ કામો શરુ થયા છે, જેમાં સરકારી સહયતા થકી 100/200 ફુટની લંબાઈ પહોળાઈ અને એક મીટરની ઉંડાઈમાં ગામની નજીકના તળાવોની સાફસફાઈ અને પાળા બાંધવાનું કાર્ય થઈ રહ્યુ છે. જળસિંચનના કારણે આવેલી કૃષિ ક્ષેત્રે આવેલી સમૃદ્ધિ વિશે વાત કરતા ગામના ખેડૂત રમણિકભાઈ ધોરાજીયાએ જણાવ્યુ કે, અગાઉ અમારા ગામમાં બારમાસી પાક લઈ શકાતો નહોતો તેના બદલે હવે 30 ફૂટે પાણી આવી જતા ખેતીને ફાયદો થયો છે. આ કામ અમે ગ્રામજનોએ સાથે મળીને કર્યુ છે. જેમાં  સવજીભાઈ ધોળકિયાનો સહકાર મળ્યો છે.

સણોસરા ગામમાં અગાઉ પૂરતું પાણી ન હોવાના કારણે રવી પાક પૂરતા પ્રમાણમાં લઈ શકાતો નહોતો. જો કે, હવે અહીં પાણીની કોઈ સમસ્યા ન હોવાથી ખેડૂતો મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂત કાંતિલાલભાઈ લાખાણીએ જણાવ્યુ કે, અગાઉ સણોસરામાં 50 વિઘા જેટલો ઘઉંનો પાક લઈ શકાતો નહોતો. હવે આશરે 300 વિઘામાં ઘઉંનું ઉત્પાદન થાય છે. આ સાથે જ ઉનાળું પાક જેવાં કે તલ, મગ અને ચોમાસામાં મગફળી કપાસ અને સોયાબીનનું પણ ઉત્પાદન લઈ શકીએ છીએ અને તે પાકો સહિત ખેત ઉત્પાદન વધ્યું છે. સુરતમાં રહેતા સણોસરાના અગ્રણીઓ, ગ્રામજનો, ઉદ્યોગપતિઓ અને સરકારની સહાયએ સણોસરાને નંદનવન બનાવ્યું છે.

સણોસરાની જળક્રાંતિ વિશે માહિતી આપતા સરપંચ  દેવાણીએ જણાવ્યુ કે, અમને જળસિંચનના કામો માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં રુ.16 લાખની સહાય મળી છે. આ ઉપરાંત આ વર્ષે વોટરશેડના કામ શરુ થયા છે જે બે-ત્રણ તબક્કામાં આગળ ધપવાના છે. અમે આ સહાય મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. ફક્ત જળસિંચન જ નહીં પરંતુ સ્વચ્છતા અને વૃક્ષારોપણમાં સણોસરાએ એક અલગ અને અનોખું કાર્ય કરી અને દ્રષ્ટાંત આપ્યું છે. જળસિંચનના આ કામો માટે સણોસરા ગામને બે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.