Abtak Media Google News
  • એમએ સ્ટેડિયમમાં વિશાળ સભા સંબોધી : દેશન ત્રણ નવા આઇઆઇએમ, કેન્દ્રીય વિદ્યાલયોની 20 નવી ઇમારતો, નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતો, જમ્મુ એઇમ્સ અને કાશ્મીરી પંડિતો માટેના આવાસોનું કરાયું ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુના એમએ સ્ટેડિયમમાં સભા સંબોધિત કરી છે.  આ દરમિયાન તેઓ 30 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા છે.  આ પ્રોજેક્ટ આરોગ્ય, શિક્ષણ, રેલ, માર્ગ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત છે.  તેઓએ જમ્મુ-કાશ્મીરના 1500 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યા છે. વડાપ્રધાનની રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.  સમગ્ર રેલી વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં શિક્ષણ અને કૌશલ્ય માળખાને અપગ્રેડ કરવા અને વિકસાવવા તરફના પગલાના ભાગરૂપે, વડાપ્રધાને રૂ. 13375 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.  રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રોજેક્ટ્સમાં આઈઆઈટી જમ્મુ, ભિલાઈ અને તિરુપતિના કાયમી કેમ્પસ, આઇઆઇટીડીએમ કાંચીપુરમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્કીલ્સ (આઇઆઈએસ) કાનપુર અને દેવપ્રયાગ (ઉત્તરાખંડ) અને અગરતલા (ત્રિપુરા) ખાતે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસનો સમાવેશ થાય છે.

વડાપ્રધાને દેશમાં ત્રણ નવા આઇઆઇએમ- જમ્મુ, બોધગયા અને વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કર્યું છે.  તેઓએ દેશમાં કેન્દ્રીય વિદ્યાલયોની 20 નવી ઇમારતો અને નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ કર્યું છે.  વડાપ્રધાને દેશમાં નવોદય વિદ્યાલયો માટે પાંચ કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસ, એક નવોદય વિદ્યાલય કેમ્પસ અને પાંચ વિવિધલક્ષી હોલનો શિલાન્યાસ પણ કર્યો છે. આ નવનિર્મિત કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની ઇમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રીએ એઇમ્સ જમ્મુ તેમજ કાશ્મીર ખીણમાં રેલ વિદ્યુતીકરણ અને બનિહાલથી સંગલદાન સુધી 48 કિમીની રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું છે. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ થયો છે.

ખીણમાં કાશ્મીરી પંડિત કર્મચારીઓને આવાસની સુવિધા પૂરી પાડવા માટે વડા પ્રધાને ગાંદરબલ અને કુપવાડામાં 224 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું છે.  આ સાથે અનંતનાગ, કુલગામ, કુપવાડા, શોપિયાં અને પુલવામા જિલ્લામાં નવ સ્થળોએ 2816 ફ્લેટ ધરાવતા ટ્રાન્ઝિટ હાઉસિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.  ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પાંચ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે શિલાન્યાસ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.