Abtak Media Google News

ઝળહળતી સફળતા મેળવી ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી

આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટના ધો.૧૨ સાયન્સના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા જેઈઈ પરિણામોમાં બધા જ બાળકો ઉર્તિણ થયેલ છે. તેમજ ત્રણ બાળકોએ જેઈઈ એડવાન્સ માટે કવોલીફાય થઈ ઝળહળતી સફળતા મેળવેલ છે. તમામ છાત્રોને મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.

ધો.૧૨ સાયન્સ એ ગ્રુપના છ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપેલ જેમાંથી ત્રણ બાળકો વડગામા સિઘ્ધાર્થ, પરમાર દેવેન તથા ડોડીયા મનન જેઈઈ એડવાન્સ માટે કવોલીફાય થઈ ટ્રસ્ટનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮માં શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમિશન અપાવી તેમનો ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. સ્કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ ઈન્ચાર્જ અરવિંદભાઈ બગડાઈ તથા કમિટિ મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા હસુભાઈ ગણાત્રા જહેમત ઉઠાવે છે. વિશેષ માહિતી માટે વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.