Abtak Media Google News

શરદી-ઉધરસના 312, સામાન્ય તાવના 73 અને ઝાડા-ઉલ્ટીના 84 કેસ નોંધાયા: 208 ઘરોમાં ફોગીંગ: મચ્છરની ઉત્પતિ સબબ 699 લોકોને નોટિસ

વાદળછાર્યાં વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકન ગુનિયાએ દેખા દેતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શરદી-ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. મચ્છરની ઉત્પતિ સબબ 699 લોકોને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાનો એક-એક કેસ અને ચીકન ગુનિયાના બે કેસ નોંધાયા છે. આ સાથે ચાલુ સાલ અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના કુલ 14 અને મેલેરિયાના 8 કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાના સાત કેસો નોંધાયા છે. ગત સપ્તાહે શરદી-ઉધરસના 312, સામાન્ય તાવના 73 અને ઝાડા-ઉલ્ટીના 84 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે 24,461 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

208 ઘરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોટેલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિનરહેણાંક 524 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રહેણાંક મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ જણાતા 699 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.