Abtak Media Google News

અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી વાતાવરણમાં પલટો: શિયાળુ પાકને નુકસાન થતા ખેડુતોમાં ચિંતાના વાદળો

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ઠંડીનું જોર વધવા પામ્યું છે. અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ પડેલા કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડુતોમાં ચિંતાના વાદળો છવાયા છે. ઉપરાંત વરસાદના કારણે ઠંડાગાર પવનો પણ ફુંકાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ સોમવારે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા માવઠુ પડયું હતું. ખાસ કરીને મોરબી પંથક અને હાલારમાં કમોસમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત ઉતર ગુજરાતના પણ અનેક સ્થળોએ કમોસમી વરસાદ નોંધાયો હતો. સવારથી ધીમા ઠંડા પવનો વચ્ચે વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું જોર વઘ્યું છે. ગઈકાલે બપોરે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર, સુરજકરાડી, ઓખા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે રોડ-રસ્તા ભીના થઈ જવા પામ્યા હતા. આ સાથે જામનગર, કાલાવડ, મોરબી અને ટંકારા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠુ પડયું હતું જેના કારણે ઠંડીનું જોર વઘ્યું છે સાથે ઠંડાગાર પવનો પણ ફુંકાઈ રહ્યા છે.

આ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડુતોએ વાવેલા ઘઉ, જીરુ, લસણ અને ધાણાના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પાકને નુકસાન પહોંચવાની ભીતિથી ખેડુતોમાં ચિંતાના વાદળો છવાયા છે. ગઈકાલે પડેલા આ કમોસમી વરસાદથી સૌ કોઈ આશ્ર્ચર્યચકિત થઈ જવા પામ્યા હતા. આ કમોસમી વરસાદની સીધી અસર સૌ કોઈએ અનુભવી હતી. વરસાદ બાદ ઠંડાગાર પવનો ફુંકાવાની સાથે ઠંડીનું જોર વઘ્યું હતું. સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ટેકાના ભાવે ખરીદેલી મગફળી તેમજ ખેડુતોનું અન્ય ઉત્પાદન ખુલ્લામાં રાખવામાં આવ્યું હતું. વરસાદ આવવાનો કોઈ અંદાજ ન હોય તેથી મગફળી તેમજ અન્ય પાકોને ખુલ્લામાં રખાયા હતા પરંતુ અચાનક આવેલા માવઠાએ અનેક સ્થળોએ મગફળી તેમજ અન્ય પાક પલાળીને નુકસાન સર્જયું હતું.

વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તાર મા એકસાથે ત્રણ ત્રણ ઋતુનો લોકો મેસેજ કરવા લાગ્યા છે કારણ કે એક તરફ શિયાળો સમાપ્ત થવાની તૈયારીમાં છે અને ઉનાળાની ઋતુ શરૂ થવાની છે ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી લોકો મેસેજ કરી રહ્યા છે તેવા સમયે એકાએક હવામાનમાં પલટો આવતા પવન ફુકાવાની સાથોસાથ અમીછાટણા થયા હતા.

અછત ગ્રસ્ત ક્ચ્છ જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે.કચ્છના ગાંધીધામ , ભચાઉ , અંજાર , ભુજ સહિતના વિસ્તારોમાં હળવે થી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા છે..ગાંધીધામમાં પંદરેક મિનિટ સુધી હળવો વરસાદ વરસ્યો હતો તો અંજાર અને આસપાસના ખેડોઈ સહિતના ગામોમાં જોરદાર ઝાપટું વરસ્યું છે. ભુજ તાલુકાના કોટડા ચકાર અને કેરા ગામ સહિતના આસપાસના પંથકમાં પણ માવઠું થયું છે.શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે જમ્મુ-કાશ્મિરમાં સર્જાયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના કારણે પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો થયો હોવાનું ભુજ સ્થિત હવામાન કચેરીએથી જાણવા મળ્યું છે.કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી ખેતીના પાક પર અસર પહોંચી છે.શિયાળામાં વરસાદ વરસતા કચ્છવાસીઓ પણ કુતુહુલ બન્યા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ: ખેડુતોને પડયા પર પાટુ

વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની અને ઉતર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શિયાળામાં વરસી રહેલા આ કમોસમી વરસાદ ઉતર-પશ્ર્ચિમ ભારત પરથી પસાર થઈ રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. જેના કારણે ઈરાન તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે ઉતર, પશ્ર્ચિમ અને મધ્ય ભારતના કેટલાક રાજયોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બે દિવસ ૨ થી ૩ ડિગ્રી તાપમાન નીચુ જવાની શકયતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ બાદ ખેડુતોની હાલત કફોડી થઈ ગઈ છે. વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે આગામી ૨૪ થી ૩૬ કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ તેમજ માવઠુ થયાની સંભાવના છે. જોકે ૪૮ કલાક બાદ હવામાનમાં સુધારો જોવા મળશે. માવઠાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પવન ફુંકાઈ શકે છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં કયારે પલટો આવી જાય તે કહી શકાય નહીં. આઈએમડી જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૨૧-૨૨ ડિગ્રી સેલ્શીયસ વચ્ચે રહેવાનું અનુમાન છે. મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડુતોને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. આ અંગે ખંભાળીયાના એક ખેડુતે જણાવ્યું કે, એક તરફ આ વર્ષે ઓછા વરસાદને કારણે શિયાળુ પાકમાં નુકસાની છે અને બીજી તરફ આ કમોસમી વરસાદે ઉભા પાકને નુકસાની પહોંચાડી છે. જો સરકાર દ્વારા ખેડુતોને સહાય કરવામાં આવે તો જગતનો તાત બેઠો થઈ શકશે.

મહત્વનું છે કે ઉપરવાસમાં તોફાનને કારણે પશ્ર્ચિમ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૧.૫ની તીવ્રતાએ દરિયાઈ લહેરો ઉઠશે. આ સાથે વાદળછાયુ વાતાવરણ રહેશે. જોકે મકરસંક્રાંતિ પુરી થયા બાદ સામાન્ય રીતે તાપમાનમાં ફેરફાર થાય છે અને ઠંડી ઓછી થઈ જાય છે પરંતુ આ વર્ષે માવઠાને કારણે બંનેનો અહેસાસ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.