Abtak Media Google News

શાળા પ્રવેશોત્સવનો 20મો તબક્કો 12થી 14 જૂન દરમિયાન યોજાશે

મુખ્યમંત્રી કચ્છ-ભાવનગર અને નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા ર0 માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા અભિનવ વિચારને સુસંગત આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે.  રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો ર0 મો તબક્કો આગામી 1ર થી 14 જૂન-ર0ર3 દરમ્યાન યોજાવાનો છે. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદઓ તથા પદાધિકારીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રાજ્યનું દરેક ગામ એક સરખી રીતે વિકાસ પામે અને પ્રાથમિક શિક્ષણની જ્યોત છેવાડાના બોર્ડર વિલેજ સુધી પ્રસરે તેવી નેમ સાથે વડાપ્રધાનના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરવા પ્રેરક આહવાન કર્યુ હતું.

પ્રથમ વખત 5 થી 6 વર્ષ સુધીનાં બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકસીત ભારત બનાવવાના કરેલા સંકલ્પમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને કોઇ ઉણપ ન રહે તે માટે શિક્ષણ સેવાના આ યજ્ઞ એવા શાળા પ્રવેશોત્સવને નવી ઊંચાઇએ લઇ જવા અનુરોધ કર્યો હતો.  પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે આ વર્ષના શાળા પ્રવેશોત્સવની વિશેષતાઓ વર્ણવતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યુ હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી ર0ર0ની ભલામણો અનુસાર પ્રથમવાર આ વર્ષના શાળા પ્રવેશોત્સવ દરમ્યાન રાજ્યના પ થી 6 વર્ષ સુધીની વયના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ કરાવાશે તથા 6 વર્ષ પૂર્ણ થયેલા ભુલકાંઓને ધોરણ-1 માં પ્રવેશ અપાશે. આવા પ્રવેશ અપાયેલા બાળકોની જન્મ પ્રમાણપત્રના આધારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ડેટાબેઝમાં એન્ટ્રી કરવામાં આવશે.

ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં તમામ લોકોને સહભાગી થશે

આ વર્ષે શાળા પ્રવેશોત્સવ સાથે જે-તે ગામોમાં પીવાનું પાણી, વીજળી, રોડ-રસ્તા, સ્વચ્છતા, સ્થાનિક આરોગ્ય સુવિધાની પણ સમીક્ષા પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓ દ્વારા હાથ ધરાશે.  પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર કે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સમિતીની રચના પણ કરવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદોએ, પદાધિકારીઓ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ, પોલીસ અને વન વિભાગ સહિત વિવિધ વિભાગોના વર્ગ-1 ના અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં વિવિધ ગામોની શાળાઓમાં સહભાગી થવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.