Abtak Media Google News
  • સરહદી ગામો-બોર્ડર વિલેજ-પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના   515 માર્ગોનું રીસરફેસિંગ કરાશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે 3842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીએ દેશની અવિરત પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પરિપાટી વિકસાવી છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની ધોરી નસ ગણાવ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ જ પરંપરાને ગુજરાતમાં વધુ ગતિથી આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ દ્વારા ગ્રામીણ વસ્તીને બારમાસી રસ્તાની સુવિધા, કનેક્ટિવિટી આપવાનો અભિગમ આ 3842 કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં અપનાવ્યો છે.

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર, રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય આંતરિક માર્ગોના જરૂરી રિસરફેસિંગ માટેના 3180 કામો માટે 3120.79 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આવા કુલ 7453.21 કિલોમીટર લંબાઇના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે.

આ ઉપરાંત, રાજ્યના નોર્મલ વિસ્તારોમાં 250 થી 500 ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા 206 માર્ગોને રિસરફેસ કરવાની કામગીરી અન્વયે 394.27 કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ 191.55 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.

એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સરહદી ગામો-બોર્ડર વિલેજ, પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખૂટા ડિસકનેક્ટ થઈ જતા હોય છે તેને જોડાણ આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ મંજૂરી આપી છે.

તદઅનુસાર, 91.22 કિલોમીટર લંબાઇના નવા 100 રસ્તાઓ તેમજ વિવિધ પ્રકારના ખૂટતા 76 સ્ટ્રક્ચર્સ માટે મુખ્યમંત્રીએ 240.86 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે.

આદિજાતિ વિસ્તારો જ્યાં 250 થી ઓછી વસ્તી છે તેવા પરાઓને જોડતા માર્ગોના રિસરફેસિંગ માટે મુખ્યમંત્રીએ 288.82 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આવા 415 કામો હાથ ધરીને 731.97 કિલોમીટરના માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ગ્રામીણ જીવનમાં સુવિધા વૃદ્ધિના જનહિતકારી નિર્ણયથી રાજ્યના ગામોને બારમાસી રસ્તાની સગવડ મળતી થશે અને કનેક્ટિવિટી ઝડપી તથા સુદ્રઢ બનશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ રાજ્યના પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓના રીપેરીંગ, નવા સ્ટ્રક્ચર નિર્માણ અને માર્ગોના મજબુતીકરણના 1017 કામો માટે 1411.81 કરોડ રૂપિયાની રકમ ફાળવેલી છે.

ચોમાસાની સીઝનમાં હવે રોડ બંધ નહીં થાય

સાબરમતી નદી પર ઘરોઈ ડેમ પાસે નવો ફોર લેન બ્રિજ બનશે

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને 1097.59 કરોડ રૂપિયાના બે નવા પ્રોજેક્ટની ભેટ આપી

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં  રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન મોટો બ્રિજ અને નેશનલ હાઈવે નંબર-58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરી માટે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1097.59 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દેશમાં એક સાથે 19 રાજ્યોમાં, 97 હજાર 328 કરોડ રૂપિયાના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગુજરાતને 1 હજાર 575 કરોડ રૂપિયાના 53 કિલોમીટરના ત્રણ કામોની ભેટ મળી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે પાછલા દસ વર્ષમાં ગુજરાતમાં 66 હજાર 470 કરોડ રૂપિયાના 3892 કિલોમીટરના 199 જેટલા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે.

હવે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટના 1097.59 કરોડ રૂપિયાના કામોને આજે મંજૂરી આપી છે.આ બે પ્રોજેક્ટ પૈકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધરોઈ ગામ ખાતે ધરોઈ ડેમ પાસે નવીન ચાર માર્ગીય મોટા પુલના બાંધકામની કામગીરી 398.40 કરોડના ખર્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો નિર્માણ થનારો આ મોટો બ્રિજ હાલના સાબરમતી નદીના પટમાં હયાત લો લેવલ કોઝવેની જગ્યાએ નવીન ગ્રીનફિલ્ડ અલાઈમેન્ટમાં ફૂટપાથ સહિતનો ચાર માર્ગીય બ્રિજ બનશે. તે ઉપરાંત આ પ્રોજેક્ટમાં 2 વ્હીકલ અંડરપાસ, 3 નાના પુલ અને 4 નાળાની બાંધકામની કામગીરી પણ કરવામાં આવશે.

દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ધરોઈ ડેમ પાસે હયાત લો લેવલ કોઝવે ડૂબમાં જતો હોવાના કારણે અંદાજે 1 માસ સુધી વડાલી-સતલાસણા રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ નવા ફોર લેન બ્રિજની મંજૂરી મળતા તેનું બાંધકામ થયેથી વાહન ચાલકોની આ સમસ્યાનો હલ આવશે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શરૂ કરેલી કામગીરી પણ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે.

ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે.એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જોડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.આ ઉપરાંત કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના કુલ 56.620 કિ.મી. રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી માટે રૂ. 699.79 કરોડ મંજુર કરવામાં આવેલા છે. તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે.

જે 56.620 કિલોમીટરના રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી થવાની છે તે પૈકી રાજસ્થાન સરહદ પાસેના ખોખરા ગામથી વિજયનગર વચ્ચેનો 11.500 કિ.મી. હયાત 3.75 મીટરનો એકમાર્ગિય રસ્તો છે. તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારાધોરણ મુજબ 10.00 મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુન:બાંધકામની કામગીરી કરવામાં આવશે.

વિજયનગર, આંતરસુબા, અને માથાસુર ચોકડીને જોડતા હયાત 45.120 કિલોમીટર લંબાઈના 7 મીટર રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણ મુજબ 10.00 મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુન:બાંધકામની કામગીરી કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના હયાત રસ્તામાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખુબ જ વધુ પ્રમાણમાં તીક્ષ્ણ વળાંક આવે છે અને તેને કારણે વાહન ચાલકોને વાહન વ્યવહારમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

એટલું જ નહીં, અકસ્માતનો પણ ભય રહે છે. આ સમસ્યાના નિવારણ માટે પ્રોજેક્ટમાં કુલ 14 જગ્યાએ હાલમાં સ્થિત તીક્ષ્ણ વળાંકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણો મુજબના કરવા રી-અલાઈમેન્ટ કરવાની કામગીરીનો અને 5 મોટા પુલ, 29 નાના પુલ, 105 નાળા સહિત પાનોલ ગામ પાસે નવીન રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટને પરિણામે વિવિધ ગ્રામજનોના સામાજિક-આર્થિક પરિમાણને વેગ મળશે તેમજ ઉદયપુર, પોલો ફોરેસ્ટ અને અંબાજી મંદિર જેવા જાણીતા પ્રવાસન અને યાત્રાધામોને જોડતા આ માર્ગથી ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58ના વડાલી, ધરોઈ અને સતલાસણા રસ્તાની ડી.પી.આર.ની કામગીરી પણ પ્રગતિમાં છે તેના અપગ્રેડેશનની કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58ના માથાસુર થી વડાલી અને સતલાસણા થી ખેરાલુ રસ્તાને ફોર લેન કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.