Abtak Media Google News

ગૃહમંત્રીને શુભેચ્છા પાઠવતા સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ

ભારતીય જનતા પક્ષનાં પાયાના કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ અમિતભાઇ શાહે આજે ભારતીય રાજકરણમાં ચાણક્યની ઉપમા મેળવી છે. પક્ષનાં સામાન્ય કાર્યકર્તામાંથી પ્રમુખ કર્તાહર્તા બનનાર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ બાદ કાશ્મીર સમસ્યાનાં ઉકેલ માટે દીર્ઘદ્રષ્ટિ સાથે મજબૂત નીતિગત નિર્ણય લેનાર  ગુજરાતી કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં જન્મદિવસ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે સોમનાથ ખાતે શુભેચ્છા મુલાકાત કરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ રૂબરૂમાં પાઠવી હતી. એક અત્યંત પ્રેરક નેતૃત્વ નું આદર્શ ઉદાહરણ, અથાક પરિશ્રમી, અદ્દભૂત રણનીતિજ્ઞ, કૂશળ સંગઠનકર્તા અને સંનિષ્ઠ કર્મયોગી અમિતભાઈ શાહનાં જન્મદિવસ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે તેમને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશનાં પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ બાદ વર્તમાન  ગુજરાતી ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાશ્મીર સહિતનાં મુદ્દે અત્યંત ગંભીર-કડક વલણ દાખવી દેશમાં એકતા-અખંડિતા વાતાવરણ મજબૂત બનાવી રહ્યાં છે. ભાજપના માધ્યમથી દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદની આહલેક જગાવવાનું શ્રેય અમિતભાઈ શાહને ફાળે જાય છે. ભાજપને અત્યંત સંગઠિત, મજબૂત અને દેશવ્યાપી બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું ચરિતાર્થ કરવાના અભિયાનમાં મોદીજી સાથે હંમેશા ખભે ખભા મિલાવીને સંનિષ્ઠ કાર્ય કરી રહેલા અમિતભાઈ આજે ભાજપના નાનામાં નાના કાર્યકરથી માંડી પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય કક્ષાના તમામ નેતાઓ માટે અખૂટ પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. માત્ર ભાજપ જ નહીં આગામી સમયમાં ભારતને દરેક તબક્કે ઝળહળતી સફળતા અપાવવામાં અમિતભાઈ શાહનું પ્રધાન મહત્વનું બની રહશે.

ભારતનાં ગૃહપ્રધાન અને ભાજપનાં અધ્યક્ષ અમિતભાઈ શાહના જન્મ દિવસ નિમિતે તેમના જીવનના મહત્વના પાસાઓ, પ્રસંગો અને સિધ્ધિઓ ઉજાગર કરતાં રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, દેશભકત સપૂતોની જીવનગાથાઓથી પ્રેરાયેલા અમિતભાઈને કિશોર વયથી જ મા ભોમના વિકાસ માટે શકય બધું જ કરી છૂટવાની લગની લાગી ગઈ હતી. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અનન્ય રાષ્ટ્રભાવનાથી તેઓ નાનપણથી જ આકર્ષાયા હતા અને તરૂણવયે સંઘમાં જોડાઈ ગયા હતા. રામજન્મભૂમિ ચળવળથી લઈ એકતાયાત્રા સુધીના ભાજપના લોકજાગૃતિ અને એકાત્મ અભિયાનોમાં વ્યાપકપણે લોકોને જોડવામાં અમિતભાઈની અનોખી ક્ષમતા અને સંગઠનશકિતના સહુને દર્શન થયા. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમણે ભાજપને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. અમિતભાઈ શાહે છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન ભારતભરમાં સતત પ્રવાસ, બેઠકો, રેલીઓ, પત્રકાર પરિષદો, જે તે રાજયના ગણમાન્ય નેતાઓની મુલાકાતો અને તેના માધ્યમથી ભાજપના સંગઠનને વધુ ચેતનવંતુ બનાવ્યું અને દરેક રાજયમાં જુના નવા અગ્રણીઓ વચ્ચે સંકલન સાધવાની સાથે ભાજપને કેન્દ્રમાં રાખીને અદ્દભૂત પક્ષીય માળખું ગોઠવ્યું જેનાથી ભાજપ અને સંઘ પરિવારનું સંકલન દેશભરમાં ખૂબ જ અસરકારક બની રહ્યું છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી તેમણે કાશ્મીર સમસ્યાનો મોટાભાગનો નિવેડો લાવી દીધો છે. ભારતનાં પ્રથમ ગૃહપ્રધાન ગુજરાતનાં વીર સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ બાદ ગૌર-ખમીરવંતા ગુજરાતી ગૃહપ્રધાન યશસ્વી-મેઘાવી વ્યક્તિત્વ ધરાવતા અમિતભાઈ શાહ

ગુજરાત-ભારતનું ગૌરવ છે તેમ જણાવતા  રાજુભાઈ ધ્રુવે અમિતભાઈ શાહને જન્મદિવસની અઢળક શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.