Abtak Media Google News

જીએસટીના રીટર્ન ભરવામાં થતી મુશ્કેલીઓના કારણે વેપારી ત્રાહિમામ પોકારી ગયા છે. જીએસટીનું રીટર્ન-૨ ખુબ જ ઓછા સમયમાં ભરવાનું હોય છે. એક-એક એન્ટ્રી ચેક કરીને સ્વિકારવાનું અથવા ડિલીટ કરવાનું હોય છે. વેપારીઓ દર મહિને ઓછામાં ઓછી ૧૦૦ થી ૨૦૦ એન્ટ્રી સામાન્ય રીતે કરતા હોય. આટલા ટુંકા સમયમાં રીટર્ન ભરવું અત્યંત કઠીન બની જાય છે. મહિનામાં આવા ૪ રીટર્ન ભરવાના હોય છે અને પછી પેનલ્ટી ભરવી પડે છે. પરીણામે વેપારીઓને પડયા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થાય છે.કાયદામાં રહેલી વિસંગતતાના કારણે આ તમામ સ્થિતિ સર્જાય છે. સરકારે સિમ્પલ ટેકસની માત્ર વાતો કરી છે પરંતુ પરિસ્થિતિ તદન વિપરીત છે તેવું વેપારીઓનું કહેવું છે. આજરોજ બહુમાળી ભવન ખાતે વેપારીઓ દ્વારા જીએસટીને લગતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.આ રજુઆતને ઉચ્ચ અધિકારી સુધી લઈ જવા તથા વ્યાપારી આલમમાં જાગૃત લાવા ધી રાજકોટ કોમર્શીયલ ટેક્ષ બાર એસોના હોદેદારો જતીન ભટ્ટ, અશોક ગણાતરા, દીપક ચેતા, જીતેન્દ્ર ચાવડા, શૈલેશ ભુપ્તાની તથા સભ્યો મનીશ સોજીત્રા, કમલેશ ત્રિવેદી, કેતન વોરા, હેમલ કામદાર, ભરત રામાની, મહેન્દ્ર ભંડેરી, જયમીન ચેતા, ધવલ ચંદારાણા, પૌવરવ પોપટ, દિપક દવે, હિતેશ સાવલિયા, અતુલ ખાગ્રામ વગેરે લોકોએ ખાસ મહેનત લીધેલ છે.સંયુકત વાણિજિયક વેરા કમિશનર એસ.એમ.સકસેનાએ આ મામલે જણાવ્યું હતું કે, વેપારી અને વકીલોની માંગણી તથા વિરોધમાં આગળ ચોકકસ રજુઆત કરશું. હાલ સરકારે ટુંક સમય પહેલા જ દોઢ કરોડથી નીચેના વેપારીઓની રીટર્ન માટેની મુદત ૩ મહિના કરી દીધેલ છે. વેપારીઓ માટે પણ આ નવું છે. ત્યારે સરકાર અને વેપારીઓ સાથે મળીને ચાલશે તો સંપૂર્ણ રીતે જીએસટીને અમલીકરણ સરળ બનશે. સાથે સાથે સરકાર પણ જીએસટીને લઈને વેપારીને મુશ્કેલી ન પડે તે દીશામાં કાર્યરત છે તથા વેપારીને પેનલ્ટી પણ ન લાગે તે માટે નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે ત્યારે વેપારી મંડળે પણ થોડુ સમજણપૂર્વક કામ લઈ સરકારને સહયોગ આપવો જોઈએ. સરકારી હેલ્પ ડેસ્ક પર પણ વેપારીઓના પ્રશ્ર્નોના ઉકેલ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વેપારીઓને રીટર્ન ભરવામાં કોઈ તકલીફ નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.