Abtak Media Google News

આયુર્વેદ ચિકિત્સામાં તાસીર મુજબ ઉપચાર ઉપલબ્ધ છે

ઇન્ફ્લુએન્ઝા વાઈરાલ સંક્રમણથી ઉત્પન્ન થતો રોગ છે. ઇન્ફ્લુએન્ઝા રોગનું સંક્રમણ સામાન્ય રીતે ભારતમાં ઋત સંધિના મહિનાઓ દરમિયાન જોવા મળે છે એટલે કે માર્ચ – એપ્રિલ તેમજ સપ્ટેમ્બર ઑક્ટોબર મહિનામાં સામાન્ય રીતે જોવા મળે છે. ભારત સિવાયના દેશોમાં ફ્લૂ -ઇન્ફ્લુએન્ઝા શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળે છે . ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ના ત્રણ સ્વરૂપ જોવા મળે છે – ઇન્ફ્લુએન્ઝા વાઇરસ એ.બી. અને સી જેમાં ઇન્ફ્લુએન્ઝા અ પ્રકારના વાઇરસમાં સમયાંતરે સ્વરૂપ બદલે છે. જેના પરિણામે તેની સંક્રમણ અને જીવલેણતામાં ફેરફાર જોવા મળતો હોય છે. વાઇરસમાં બે પ્રકારના તત્વો હોય છે ‘ એચ ’ અને ‘ એનુ ’ જેના આધારે તેમને અલગ અલગ નામ આપવામાં આવે છે જેમ એચ.1, એન.1, એસ.3, એન.2 વિગેરે.

ઇન્ફ્લુએન્ઝા રોગનું સક્રમણ સામાન્ય રીતે નેસલ રૂટ મારફતે શરીરમાં દાખલ થાય છે ઇન્ફ્લુએન્ઝાનું ઇન્ફેકશન લાગ્યા પછી 2 દિવસથી 14 દિવસનો સમપ્રાપ્તિ કાલ (ઇન્કયુબેશન પિરિયડ ) માનવામાં આવે છે. સામાન્ય રીતે સાતમા દિવસે રોગના લક્ષણ જોવા મળે છે. રોગની શરૂઆતમાં અતિ તીવ્ર વેગથી જવર સાથે રેસ્પીટી સિસ્ટમના લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે જો વ્યક્તિની રોગ પ્રતિકાર શક્તિ – ઇમ્યુનિટી બરાબર હોય તો રોગમાં ચોથાથી સાતમા દિવસ દરમિયાન રાહત જોવા મળતી હોય છે. પણ જો રોગીની રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય અથવા અતિ ભયંકર સંક્રમણ થયેલું હોય તો પરિણામ વિપરીત જોવા મળી શકે છે.

ઇન્ફ્લુએન્ઝા અથવા ફ્લૂ સામાન્ય રીતે ઋતુ પ્રમાણે જોવા મળતો હોય છે. તેની ચિકિત્સા અને રોકાથામ બંને ઉપાયો કરવા જરૂરી હોય છે. ફ્લૂને રોકવાના ઉપાયોમાં આધુનિક વિજ્ઞાનમાં છેલ્લા 60 વર્ષથી વેકિસનનો ઉપયોગ થાય છે ; વેકિસન કોકટેલ માટે દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળતા ફ્લૂના વિષાણુ (વાઇરસ) ના આધારે જાહેર કરે છે. ફ્લૂ વેક્સિનની જરૂરિયાત ફ્રિકવન્ટ ટ્રાવેલર , ડોક્ટર , હેલ્થ કેર વર્કર, ઇમયુનોકોમ્પ્રોમાઇસડ – ડાયાબિટીસ , કેન્સર , વિગેરે રોગોમાં જરૂર જણાઈ છે પણ સામાન્ય વ્યક્તિઓમાં તેની ઉપયોગીતા અને લાભ વિશે સ્પષ્ટ અભિપ્રાય આપી શકાય તેમ નથી અને વિશેષ લાભ થતો હોય તેવું જણાયું નથી તેવો પણ એક અભિપ્રાય છે . ઇન્ફ્લુએન્ઝા વિષાણુ – વાઇરલ રોગ હોય તેમાં સૈધ્ધાંતિક રીતે એન્ટિબાયોટિક ઔષધો આપવા યોગ્ય નથી.

આયુર્વેદમાં ફ્લૂ રોકવા અને ફ્લૂ થયો હોય તો તેની ચિકિત્સા આયુર્વેદ ચિકિત્સક અને ચિકિત્સાલય માં ઉપલબ્ધ હોય છે. ફ્લૂ ને રોકવા માટે આયુર્વેદ દિનચર્યાના નિયમો અને વ્યવહારના નિયમો બતાવે છે જેમ કે , (1). પ્રતિમર્શ નસ્ય કરવું – નાકમાં તેલ અથવા ધી ના ટીપાં નાખવા વિશેષ કરીને ઘરની બહાર જતાં અને સવાર સાંજ – આમ કરવાથી વિષાણુ શરીરમાં દાખલ થતાં રોકી શકાય છે . (2). ધૂમ – ધૂમનો ઉપયોગ ઘૂમપાનના રૂપે અથવા ઘર અને અન્ય ઇમારતોમાં આગ, લીમડો, તુલસી, રક્ષોઘ્ન ધૂપ વિગેરે થી ધૂમ કરવો. (3). નિત્ય રસાયણનો ઉપાયોગ કરવો – સ્વાસ્થ્ય રહેવા માટે આયુર્વેદમાં ઋતુ અનુસાર ઔષધોનો નિર્દેશ કરવામાં આવ્યો છે – પોતાની તાસીર, અને ઋતુ અનુસાર આયુર્વેદ ચિકિત્સકની સલાફ પ્રમાણે ઔષધોનું સેવન કરવું . (4), ઉધરસ આવે અથવા છીંક આવે ત્યારે મો અને નાકને રૂમાલ અથવા હાથથી ઢાંકવું . (5). ઘર અને ઓફિસમાં કુદરતી હવા અને સૂર્ય પ્રકાશની વ્યવસ્થા કરવી . ફ્લૂની ટ્રીટમેન્ટ માટે આયુર્વેદમાં સુંદર્શન ચૂર્ણ , કરિયાતું , ઇંદ્રયાવાદી વટી , ત્રિભૂવન કીર્તિ રસ , લક્ષ્મી વિલાસ વટી , એફલૂઓસીલ વાસા , ગુડુચી , તુલસી , ત્રિકટું વિગેરે ઔષધો નો ઉપયોગ કરી શકાય છે.

આયુર્વેદ ચિકિત્સા ચિકિત્સકના નિર્દેશ પ્રમાણે જ કરવી હિતાવહ છે . સામાન્ય રીતે આયુર્વેદની દાવોની સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે પણ સેલ્ફ મેડિકેશન અથવા ઓવર કાઉન્ટર મેડિકેશન કરવામાં આવે તો રોગીની પરીક્ષા ના થયેલ હોય અયોગ્ય દવા અથવા અયોગ્ય ડોઝ , અયોગ્ય ક્રમના દવા લેવાના કારણે અપેક્ષિત લાભ જોવા મળતો નથી તેથી ચિકિત્સકની સલાહ અને ક્ધસલ્ટેશન પછી જ દવા કરવી હિતાવહ છે . પ્રસ્તુત માહિતી રોગ વિષે આયુર્વેદીય જાણકારી આપવનો છે . કોઇ પણ પથી માટે વિરોધ માટે નથી તેમજ આયુર્વેદ માં રોગ વિષે શું માનવામાં આવે છે તેમજ કેવી રીતે ચિકિત્સા કરવામાં આવે છે તેની ટુંકી માહિતી આપવાનો અહીં પ્રયત્ન કરવા માં આવ્યો છે . વધુ માહિતી અને ક્ધસલ્ટેશન માટે આયુર્વેદ ચિકિત્સક અથવા આયુર્વેદ ચિકિત્સાલય નો સંપર્ક કરવો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.