Abtak Media Google News

મોરબીમાં જીએસટી વેટના ૨૯૦૭ કરોડ સહિત ગુજરાતમાં અધધધ ૪૦ હજાર કરોડની રિકવરી બાકી

જીએસટી અને વેટમાં ઘણી ખરી વિસંગતતા જોવા મળે છે જેમાં મોરબીની ગેસીફાયર કંપની બંધ થવાની ઘોષણા કરી હતી. ત્યારે કહી શકાય કે મોરબીનો સીરામીક ઉદ્યોગ હાલ ડામાડોળ સ્થિતિમાં પ્રવર્તીત થઈ રહ્યો છે ત્યારે જીએસટી અને વેટ ભરવામાં મોરબીના સીરામીક ઉદ્યોગ વેઠ ઉતારી રહ્યાં હોય તેવુ સામે આવી રહ્યું છે. ગ્રેસીફાયર કંપની બંધ થતાં તેના ૫ હજાર યુનિટો અને ૨ લાખ કામદારો નોકરી વિહોણા બની જશે તો કયાંકને કયાંક ટેકસ રીકવરી બાકી હોવાનું મુખ્ય કારણ સંકલનનો અભાવ તરીકે સામે આવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, ગ્રેસીફાયર જેવી મહાકાય કંપની જો બંધ થઈ જતી હોય તો નાના યુનિટની હાલત કેવી થશે.

માર્ચ એન્ડીંગને લઈ સમગ્ર દેશમાં જીએસટી અને વેટની બાકી રહેતી રીકવરી વિશે માહિતી સામે આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે ગુજરાત રાજયની તો ગુજરાતને હજુ ૪૦ હજાર કરોડની રીકવરી બાકી રહી છે. જયારે મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો મોરબીમાં ૨૯૦૭ કરોડ રૂપિયા જીએસટી અને વેટ પેટે રીકવરી બાકી રહી છે.

વાત કરવામાં આવે તો ગુજરાત રાજયમાં ટેકસ ન ભરનારાની સંખ્યા ૬૭૫ની રહી છે જેમાં સરકારે નોટિસ ૩૯૨૪૦ લોકોને પાઠવી હોય તેવું પણ સામે આવી રહ્યું છે. જેમની સામે કોઈપણ પ્રકારનો કોર્ટ સ્ટે મુકવામાં આવ્યો નથી. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ખુબજ મોટા પ્રમાણમાં ટેકસ રીકવરી બાકી છે જેમાં જો આંકડાકીય માહિતી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ૪૦ હજાર કરોડ રૂપિયાની રીકવરી ગુજરાત રાજય દ્વારા કરવામાં આવશે.

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ૩૯૨૪૦ લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેઓએ લાંબા સમય સુધી પોતાનો જીએસટી અને વેટ ભર્યો ન હોય ત્યારે વધુમાં ગુજરાત રાજય દ્વારા ૪૨૪ યુનિટોને ૬૧ કરોડ રૂપિયાનો જીએસટી રિફંડ આપવાનું પણ હાલ બાકી રહ્યું છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો ૧૩૮૨૧ કરોડ, વડોદરામાં ૫૭૨૦ કરોડ, કચ્છમાં ૩૮૭૭ કરોડ, સુરતમાં ૩૦૮૭ કરોડ, ભાવનગરમાં ૧૬૧૧ કરોડ, દેવભૂમિ દ્વારકામાં ૧૩૯૩ કરોડ જયારે ભરૂચમાં ૧૧૮૭ કરોડ, વલસાડમાં ૧૦૪૦ કરોડ અને મહેસાણામાં ૯૨૪ કરોડ રૂપિયાની રીકવરી સરકારની જીએસટી અને વેટને લઈ બાકી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.