Abtak Media Google News

ખંભાળીયાના પ્રખર જ્યોતિષને કેન્સરનું નિદાન કરાવવા અમદાવાદ જઇ રહ્યા’તા

ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા ચાલક અને ક્લિનર રિપેરીંગ કરતી વેળાએ કાળ બનીને ઘસી આવેલી કારે બંનેને કચડી નાખ્યા

એક જ પરિવારના ત્રણના મોતથી વિપ્ર પરિવારમાં અરેરાટી

ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે. ઉક્તિ ખંભાળીયાના વિપ્ર પરિવાર માટે કરૂણ રીતે સાર્થક બની છે. ખંભાળીયાથી કેન્સરના નિદાન માટે અમદાવાદ જઇ રહેલા બ્રાહ્મણ પરિવારની કાર લીંબડી નજીક પાણસીણા પાસે પહોચી ત્યારે રસ્તા પર બંધ ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દંપત્તી સહિત પાંચના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજતા વિપ્ર પરિવારમાં અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાય છે.

ગોજારા અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી નજીક પાણસીણા કાનપરના પાટીયા પાસે એકસયુવી કાર મોડીરાતે સાડા બાર નજીક પહોચી ત્યારે રસ્તામાં બંધ ઉભેલા ટ્રક પાછળ અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ખંભાળીયાના એક જ પરિવારના પતિ, પત્ની અને પુત્રના જ્યારે ટ્રકના ચાલક અને ક્લિનરના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મૃતક પરિવારના જમાઇ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ખંભાળીયા તાલુકા પંચાયત કચેરી પાસે રહેતા કલ્યાણજીભાઇ પરસોતમભાઇ વોરીયા નામના ૬૫ વર્ષના વિપ્ર વૃધ્ધને કેન્સર થયાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર અંગેનો રિપોર્ટ કરાવવા ગઇકાલે સાંજના સાતેક વાગે ખંભાળીયાથી પોતાના પુત્ર ભરતભાઇ અને પત્ની અમૃતબેન સાથે રવાના થયા હતા. રાજકોટ રહેતા જમાઇ માધવજીભાઇ સવજીભાઇને સાથે લઇને રાત્રે બાર વાગે પાણસીણાના કાનપર પાસે પહોચ્યા ત્યારે રસ્તા પર બંધ પડેલા એમ.પી.૯એચજી. ૨૧૫૮ નંબરના ટ્રક પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

એમ.પી.૯એચજી. ૨૧૫૮ નંબરના ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રકના ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સુમેરસિંહ આત્મારામ અને ક્લિનર ગોવિંદભાઇ કટારા રિપેરીંગ માટે ટ્રકની પાછળ આવ્યા તે દરમિયાન કાળ બનીને ઘસી આવેલી કાર નીચે બંને કચડાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કારના ચાલક ભરતભાઇ તેમના પિતા કલ્યાણજીભાઇ અને માતા અમૃતબેન ગંભીર રીતે ઘવાતા ત્રણેયના મોત નીપજ્યા હતા.

મૃતક કલ્યાણજીભાઇ પોસ્ટના નિવૃત કર્મચારી છે અને તેઓ ખંભાળીયા પંકમાં પ્રખર જ્યોતિષ તરીકે જાણીતા છે. તેમજ તેઓ પુત્ર સાથેના ૧૩ વ્યક્તિઓ સયુંકત પરિવારમાં રહે છે. માર્ગ અકસ્માતમાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિઓ કાળનો કોળીયો બની જતા વિપ્ર પરિવારમાં અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાય છે. તેમના જમાઇ માધવભાઇ સવજીભાઇને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માતના બનાવની જાણ પાણસીણા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને લીંબડી હોસ્પિટલમાં ખસેડયા હતા અને મૃતકના ખંભાળીયા રહેતા પરિવારને જાણ કરતા કલ્યાણજીભાઇના બીજા પુત્ર સહિતનો પરિવાર પાણસીણા દોડી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.