Abtak Media Google News

કોંગ્રેસે વિકટ પરિસ્થિતિમાં જનસેવા માટે પ્રજાની પડખે ઉભા રહેવાના વિચારો, નિવેદનો કરવા જોઈએ

ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને કોરાનાની આવી પરિસ્થિતિમાં લોકપાલન અને લોકસેવા કરનારાઓની નિંદા કરીને એક હલકી કક્ષાનું રાજકરણ ન કરવાં જણાવ્યું હતું.

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના સંદર્ભમાં એક સંઘર્ષમાં પસાર થઈ રહ્યો છે. દેશની જનતા લોકડાઉનનું અદભૂત રીતે લોકપાલન કરી છે. સમગ્ર સરકારી તંત્ર જાનના જોખમે લોકોની વચ્ચે જઈને લોકસેવાકરી રહી છે. મિડીયા જગત લોકજાગૃતિદ્વારા પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યું છે. યુએન અને ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓથી માંડીને વિશ્વના તમામ દેશો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકડાઉનના પગલાં, નિર્ણયો અને યોજના અને સહાય પેકેજની પ્રશંસા કરી રહ્યાં છે. ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં અનેક સંવેદનશીલ યોજનાનો અમલવારી સાથે સમગ્ર સરકારી તંત્ર લોકોની વચ્ચે જઈને લોકસેવામાં ખડેપગે ઉભું છે. ત્યારે કોંગ્રેસ કોરોના સામે લડાઈ લડવાને બદલે હતાશા, નિરાશા અને જૂઠ્ઠા આક્ષેપો દ્વારા સેવા કરનારાઓનું આત્મબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ આવી પરિસ્થિતિમાં પણ હંમેશા દર વખતની જેમ બે મોંઢાની વાત કરે છે. એકબાજૂ દરેક વિભાગની સુંદર કામગીરીની પ્રશંસા કરે છે અને બીજીબાજૂ જૂઠ્ઠા આક્ષેપ કરે છે.  એકબાજૂ મુખ્યમંત્રીના ડેશબોર્ડના વખાણ કરે છે અને બીજીબાજૂ સરકારને ગાળો આપે છે.

પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી આ ભાજપ સરકારે ૬૬ લાખ પરીવારોને અનાજ આપવાની જાહેરાત કરીને માત્ર બે દિવસમાં ૩૧ લાખથી વધુ કુટુંબોને અનાજ આપવામાં આવ્યું છે. ચીન કરતાં પણ વધુ ઝડપી કોરોના માટે ૫૫૦૦થી વધુ બેડની વ્યવસ્થા માત્ર ૭ દિવસમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી. કિસાન સન્માન નિધી, ગરીબલક્ષી યોજના જેમકે, વિધવા પેન્શન, દિવ્યાંગ સહાય, છાત્રાલયના વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા આપવાની ઝડપી કાર્યવાહી કરી છે. તે ગુજરાતનીજનતા જોઈ રહી છે. કોંગ્રેસે આ પ્રકારની પરિસ્થિતિમાં હતાશા નહીં પરંતુ ઉત્સાહજનક, નકારાત્મક નહીં પરંતુ હકારાત્મક રીતે જનસેવાના દ્વારા પ્રજાની પડખે ઊભા રહેવાના વિચારો, નિવેદનો કાર્યક્રમો કરવા જોઈએ.

ગાંધીજી પણ સામુહિક પ્રાર્થનાના ખૂબ જ આગ્રહી હતાં તેમના જીવનમાં પણ પ્રાર્થનાનું મહત્વ હતું. આપણે  ગુજરાતના તમામ લોકો નરેન્દ્રભાઈ મોદીની અપીલને સ્વીકારીને ઘરની લાઈટ બંધ કરીને દિપ,મીણબત્તી, મોબાઈલ ફલેશ લાઈટ કરીને આકાશનાં દર્શન કરીએ. તેમશ્રી પંડયાએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીની આગેવાનીમાં કામ કરતું સમગ્ર સરકારી તંત્ર, પૂ. સંતો અને ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, ભાજપનાં હજારો કાર્યકર્તાઓ કે જેઓ ચીજવસ્તુઓની લાખો કીટ, ફૂડપેકેટ , માસ્ક વગેરે દ્વારા જનસેવા કાર્યો કરે છે. તે તમામને પંડયાએ અભિનંદન આપ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.