Abtak Media Google News

આજે ગુરૂપુષ્યનક્ષત્ર હોય જેથી સોના-ચાંદી, વાહનો ઘરવખરી  ખરીદવી શુભ મનાય છે. આ વસ્તુઓની ખરીદી  શુકનવંતી ગણાતી હોય જેથી આજે  સોની બજારોમાં  સોનું-ચાંદી ખરીદવા  શો રૂમ-જવેલર્સમાં ઘરાકી  જોવા મળી રહી છે. આજ સવારથી જ સોનું-ચાંદી ખરીદવા શુભ મૂહૂર્ત હોય સવારથી જ કોઈ સોનું તો કોઈ  ચાંદીની  ખરીદી કરી રહ્યા છે રાજકોટના આજે કરોડો રૂપીયાના  સોના-ચાંદીનાં ઘરેણાની  ખરીદી થશે. આજે  આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર છે.  ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છેે. આ વખતે 677 વર્ષ પછી ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનો દુર્લભ યોગ બને છે.

દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓથી શુભફળ મળે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. માટે શનિવાર કે શનિ દેવાના સ્વામિત્વના નક્ષત્રમાં જે કામ કરવામાં આવે તે લાંબા સમય સુધી ચાલે છે.

હિંદુ ધર્મ શસ્ત્રો અને પંચાંગ મુજબ 27નક્ષત્રોમાં 8મું પુષ્યનક્ષત્ર ગણાય છે. પુષ્ય એ નક્ષત્રોના રાજા કહેવાય છે. જ્યારે કેટલાક શાસ્ત્રોમાં શનિ તો કેટલાકમાં ગુરુ મહારાજને પુષ્ય નક્ષત્રના સ્વામી કહેવામાં આવ્યા છે. આમ બંને દ્રષ્ટિથી ગણીએ તો પુષ્યનક્ષત્ર એ શનિ મહારાજ અને ગુરુ મહારાજના આવરણમાં આવતું નક્ષત્ર છે. ત્યારે પુષ્ય નક્ષત્ર પર ખરીદીને સાથે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને નવા વસ્ત્ર, અનાજ, ચંપલ અને ધનનું દાન કરવું જોઈએ.

આજેે આસો વદ સાતમના રોજ સવારે 9.42 વાગ્યા સુધી પુન:વર્સુ નક્ષત્ર છે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરુ થાય છે જે શુક્રવારે 29 ઓક્ટોબરે બપોરે 11.39 વાગ્યા સુધી રહેશે. જોકે અત્યંત શુકનવંતો ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ માત્ર ગુરુવારે જ બને છે માટે આ યોગ શુક્રવારે વહેલી સવારે 6.50 વાગ્યા સુધી જ રહેશે.આ દિવસે શુભ ચોઘડિયામાં ખરીદી કરવી જોઈએ આજે બપોરે 12.22થી 1.48સુધી લાભ ચોઘડિયું, બપોરે 1.48થી 3.13 સુધી અમૃત અને સાંજે 4.39થી 6.05 સુધીના શુભ ચોઘડિયામાં ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ વર્ષે દિવાળી પહેલા ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સાથે જ સોના, ચાંદી અને ચોપડાની શુકનવંતી ખરીદી થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.