Abtak Media Google News

આજે સાંજે સંગીત મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવી, સહકારમંત્રી

જગદીશ વિશ્ર્વકર્મા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સંસદસભ્ય શારદાબેન પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેશે

કાલે તાનારીરી મહોત્સવ નિરજ પારેખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવગાન, પદ્મભૂષણ પંડિત વિશ્ર્વમોહન ભટ્ટ, વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચોરાસીયા મુંબઇ દ્વારા સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ થશે

કવિ નરસિંહ મહેતા દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે મહેસાણાના વડનગર ખાતે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજથી બે દિવસ વડનગર ખાતે તાનારીરી મહોત્સવમાં સંગીતના શૂરો રેલાશે અને આવતીકાલે સાંજે તાનારીરી મહોત્સવનું સમાપન સમારોહ યોજાશે. આજે સાંજે 7:00 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉ5સ્થિતિમાં તાનારીરી મહોત્સવનો શુભારંભ થશે. આજે યોજાનારા સંગીત મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવી, સહકારમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સંસદસભ્ય શારદાબેન પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, તાનસેનને દિપકરાગનું ગાન કરતા તેના શરીરમાં અગ્નજ્વાળાઓ ઉઠી હતી. જેને મેઘમલ્હાર રાગ ગાઇ તાનારીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દિલ્હી દરબાર ખાતે બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં ન જતાં વડનગર ખાતે બંને બહેનોએ અગ્નીસ્નાન કર્યું હતું. આ બે બહેનોની યાદમાં રાજ્યસરકાર દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવ દર વર્ષે કારતક-સુદ-9ના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાનારીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

આજથી શરૂ થનાર તાનારીરી મહોત્સવમાં 6:00 કલાકે સૌ પ્રથમ મુખ્યમંત્રી હાટકેશ્ર્વર મહાદેવ મંદિરના દર્શન કરશે. ત્યારબાદ 6:30 કલાકે તાનારીરી પર્ફોમિંગ આર્ટ કોલેજની મુલાકાત લેશે. જ્યાં તેમનું શરણાઇ અને ઢોલથી સ્વાગત થશે અને ત્યારબાદ મુખ્યમંત્રી તબલા વર્ગ, હારમોનીયમ, ગાયન અને કથક વર્ગની મુલાકાત લેશે. આજે પ્રથમ દિવસે તાનારીરી મહોત્સવમાં પદ્મશ્રી કવિતા ક્રિષ્નમૂર્તિ અને સુશ્રી ડો.વિરાજ અમરભટ્ટને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ તેમજ અઢી લાખનો ચેક, શાલ અને તામ્રપત્ર આપી મુખ્યમંત્રી સન્માનીત કરશે.

કાલે તાનારીરી મહોત્સવ નિરજ પારેખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવગાન, પદ્મભૂષણ પંડિત વિશ્ર્વમોહન ભટ્ટ, વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચોરાસીયા મુંબઇ દ્વારા સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ થશે.

અત્યાર સુધી કોને મળ્યાં એવોર્ડ?

2010માં સુપ્રસિદ્વ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર, ઉષા મંગેશકર બહેનોને, 2011-12માં પદ્મભૂષણ ગિરીજાદેવી, 2012-13માં કિશોરી આમોનકર, 2013-14માં બેગમ પરવીન સુલ્તાન, 2014-15માં સ્વર યોગીની ડો.પ્રભા અત્રે તેમજ 2016-19માં શ્રીમતી મંજુલબહેન મહેતા અને શ્રીમતી ડો.લલીશ રાવને તથા 2017-18માં પદ્મશ્રી આશા ભોંસલે અને 2018-19માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહ અને 2019-20માં અશ્ર્વિની ભીંડે તથા પિયુ સરખેલ તેમજ 2019-20માં સુપ્રસિદ્વ ગાયકા સુશ્રી અનુરાધા પોડંવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદી જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્યસરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂશિત કરવામાં આવેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.