Abtak Media Google News
  • ડો.બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ તથા નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોર લેન રોડ ખુલ્લો મુકાયો
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.214 કરોડના વિવિધ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા  જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂ.214 કરોડના વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કર્યા હતા.

Untitled 1 Recovered 8

આ પ્રસંગે મુખ્યમંત્રી એ રૂ.128 કરોડના કામોના લોકાર્પણ જેમાં રૂ.90 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પી.પી.પી. બેઈઝ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાની તથા જીયુડીસીની ગ્રાન્ટ અંતર્ગત એલ. સી. નં.199 રેલ્વે ક્રોસિંગ ઉપર રૂ.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટુ લેન ડો બાબાસાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રિજ તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ રૂ.8 કરોડના ખર્ચે બનાવેલ નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું લોકાર્પણ તેમજ રૂ.61 કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયનું કામ, શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલટ રોડના કામોનું રૂ.15 કરોડના ખર્ચે તથા હાપા ખાતે રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર યુસીએચસી સેન્ટર બનાવવાના કામોના એમ કુલ રૂ.86 કરોડના કામોના ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, વિકાસની દિશામાં જામનગરએ વધુ એક હરણફાળ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસના સતત કામો કરી રહી છે અને જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે.

જામનગરમાં 90 કરોડની રકમ થી સાકાર થયેલો ગુજરાતનો સર્વ પ્રથમ અત્યાધુનિક અને પી.પી.પી. બેઇઝ આધારિત  વેસ્ટ ટૂ એનર્જી  પ્લાન્ટ દૈનિક 450 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે.  આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે અને પર્યાવરણ જાળવણી પણ થશે.આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયાએ સ્વાગત પ્રવચન તેમજ મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય  ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉદ્બોધન કર્યું હતું.

જામનગરને સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ વિકાસ કામો માટે 5 વર્ષમાં મળ્યા રૂ. 1096 કરોડ: સીએમ

જામનગરના ગોરધનપરમાં વિશ્વનું એક માત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મીડિસન સ્થાપવા જઇ રહ્યું છે તેનાથી વિશ્વ સ્તરે જામનગર અને ગુજરાતે આગવી ઓળખ મેળવી છે. જામનગરમાં વિકાસના સતત કાર્યો થઈ રહ્યા છે તેના થકી લોકોની સુખ સુવિધાઓમાં વધારો થયો છે.  છેલ્લા 5 વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગરને 1096 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી એ આપી હતી.

જામનગરમાં વિકાસ કાર્યો અવિરત થઈ રહ્યા છે : કૃષિ મંત્રી

આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધનમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં વિકાસના અવિરત કાર્યો થઈ રહ્યા છે. ગુજરાતનાં સર્વ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જામનગરમાં સ્થાપના થવાથી પ્રદૂષણ ઘટશે. તેમજ ઓવરબ્રિજ થકી એરફોર્સ તેમજ રિંગ રોડપર વિકસેલ સોસાયટીઓની અંદાજે 1 લાખ જેટલી વસ્તીને જામનગર શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે. જેને લીધે સમય તથા ઈંધણની પણ બચત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.