Abtak Media Google News

આચાર્ય લોકેશજીએ જૈન ધર્મ વતી વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વિવિધ ધર્મોના વિખ્યાત ધર્મગુરુઓ, લોકસભા અને રાજ્યસભાનાં સભ્યોની હાજરીમાં નવા સંસદ ભવનનું ઉદઘાટન કરીને અને પવિત્ર સેંગોલની સ્થાપના કરીને ભારતના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો. આ પ્રસંગે આયોજિત સર્વધર્મ પ્રાર્થના દરમિયાન જૈન ધર્મ વતી આચાર્ય લોકેશજીએ ઓજસ્વી વાણી સાથે નવકાર મંત્ર, મંગલ પાઠ, ભગવાન મહાવીરની આર્ષ વાણી અને અહિંસા અને શાંતિનો સંદેશ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે ’દરેક દેશની વિકાસયાત્રામાં એવી ક્ષણો આવે છે જે કાયમ માટે અમર બની જાય છે. 28 મે 2023, નો દિવસ એક શુભ અવસર છે. પીએમ મોદીએ કહ્યું કે નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. તે વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા જોશે. તેમણે કહ્યું કે નવા માર્ગો પર ચાલવાથી નવા દાખલા સર્જાય છે. આજે ન્યુ ઈન્ડિયા એક નવું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે ’જ્યારે ભારત આગળ વધે છે, ત્યારે વિશ્વ આગળ વધે છે’. સંસદની નવી ઇમારત ભારતના વિકાસમાંથી વિશ્વના વિકાસની હાકલ કરશે.

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વશાંતિ કેન્દ્રના સ્થાપક પ્રસિદ્ધ જૈનાચાર્ય ડો. લોકેશજીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાકના પવિત્ર મંદિર નવા સંસદ ભવનનાં ઉદઘાટન સમારોહમાં ભાગ લઈને હું ગર્વ અનુભવું છું.  આ પ્રસંગે તેમણે નવકાર મહામંત્ર, મંગલ પાઠ અને ભગવાન મહાવીરનાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ આધારિત સૂત્રોનું પઠન કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ શ્વેતાંબર, દિગંબર અને સમગ્ર જૈન સમુદાય વતી વડાપ્રધાન મોદીને નવા સંસદ ભવનમાં ધર્મદંડ, રાજ દંડની સ્થાપના કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જૈન ધર્મ ઉપરાંત ધર્મગુરુઓએ બૌદ્ધ પ્રાર્થના, ખ્રિસ્તી પ્રાર્થના, ઝોરોસ્ટ્રિયન પ્રાર્થના, બહાઈ પ્રાર્થના, યહૂદી પ્રાર્થના, ગીતા પઠન, કુરાન શરીફનું પઠન, ગુરુ ગ્રંથ સાહિબનું પઠન, શબ્દ કીર્તન રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ભારતીય પોસ્ટલ સ્ટેમ્પ અને નાણા મંત્રાલય દ્વારા ચલણી સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ હરિવંશે તેમના વિચારો વ્યક્ત કર્યા. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે પણ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો સંદેશ વાંચ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.