Abtak Media Google News

ભગવાન મહાવીરના 2600 વર્ષના શાસનમાં પ્રથમ વાર

તપસમ્રાટ આચાર્યે 180 ઉપવાસનું પારણું આયંબિલ તપથી કર્યું

ઉપવાસના પારણા મહોત્સવ દરમિયાન અને ત્રણ

વખત પારણાનો લાભ લેનારા પરિવારનું પણ બહુમાન કરાયું

ભગવાન મહાવીરના શાસનનાં 2,600 વર્ષમાં પહેલી વખત ચાર-ચાર વાર 180 ઉપવાસની તપશ્ચર્યા કરનારા આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાએ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આચાર્ય વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પાસે આયંબિલનું પચ્ચક્ખાણ લઈને પારણું કર્યું હતું. આચાર્ય ભગવંતના 180 ઉપવાસ નિમિત્તે 47 ઉપવાસની તપશ્ચર્યા કરનારાં જુલીબેનનું પારણું પણ કરાવવામાં આવ્યું હતું. પારણાંનો મુખ્ય લાભાર્થી માતુશ્રી લીલાવતી બહેન હસમુખભાઈ શાહ પરિવાર હતો.

Advertisement

મુંબઇના બોરીવલી ઉપનગરમાં આવેલા પ્રબોધનકાર ઠાકરે સભાગૃહમાં પારણાં નિમિત્તે યોજાયેલા ભવ્ય સમારંભમાં ચાંદીના 108 ઘડા વડે આચાર્ય ભગવંતને મગનું પાણી વહોરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે 12 આચાર્ય ભગવંતો અને પાંચ પંન્યાસ ભગવંતો સહિત શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પુણ્યવંતી નિશ્રા પ્રાપ્ત થઈ હતી. મુંબઇ હાઇ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કમલકિશોર તાતેડ અને ઉત્તર મુંબઇના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા.

પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું હતું કે આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજીનું પારણું ચોપાટીમાં એક લાખની મેદની વચ્ચે થાય, એવી અમારી ભાવના હતી; પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મર્યાદિત સંખ્યામાં જ આમંત્રણો આપવામાં આવ્યાં હતાં. તેમણે ત્રણ-ત્રણ વખત 180 ઉપવાસની તપશ્ચર્યા કરી, પણ પહેલી વખત પારણાંમાં ગચ્છાધિપતિની નિશ્રા મળી છે તે તેમનું સૌભાગ્ય છે. અમારા ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ વિરલ વિભૂતિ અને પ્રશાંતમૂર્તિ છે. તેમને કોઈએ ક્યારેય ગુસ્સો કરતા જોયા નથી.

આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાના સમર્પણ ભાવની અનુમોદના કરતાં રાજપ્રતિબોધક આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે કોઈ પથ્થરે પ્રતિમા બનવું હોય તો તેણે શિલ્પીના ટાંકણાંનો માર સહન કરવો પડે છે. તેવી રીતે આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજી આ કક્ષાએ પહોંચ્યા છે તેની પાછળ તેમનો ગુરુ  સમર્પણ ભાવ જવાબદાર છે. ગયાં વર્ષે અમે ખરડીમાં મળ્યા ત્યારે તેમના 32 ઉપવાસ થઈ ગયા હતા અને તેઓ 64 ઉપવાસ કરવાની ભાવના ધરાવતા હતા. તેમણે મારી પાસે 16 ઉપવાસના પચ્ચક્ખાણ માગ્યા. મેં તેમને નવકારશીના પચ્ચક્ખાણ આપ્યા તો તેમણે તે કોઈ પણ જાતના સંકોચ વગર સ્વીકારીને પારણું કરી લીધું.

આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી તો 180 ઉપવાસની સાઇકલમાં સવાર થઈને મોક્ષ તરફ નીકળી પડ્યા છે. આપણું સાઇકલ ચલાવવાનું ગજું નથી; પણ જો આપણે સાઇકલના કેરિયર પર બેસી જઈશું તો આપણે પણ મોક્ષમાં પહોંચી જઈશું. આ કેરિયર પર બેસવું એટલે તેમના તપની અનુમોદના કરવી. જો આપણે આચાર્યશ્રીના 180 ઉપવાસના તપની સક્રિય અનુમોદના કરવા માગતા હોઈએ તો કમ સે કમ 180 દિવસ સુધી હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.

આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજીની સાધનાનું રહસ્ય સમજાવતાં કહ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાંચ વસ્તુઓની જરૂર હોય છે. (1) ગુડ એટેચમેન્ટ: અધ્યાત્મની ભાષામાં તેને પ્રીત અનુષ્ઠાન કહે છે. ધર્મની શરૂઆત પરમાત્મા સાથેના એટેચમેન્ટથી થાય છે. (2) ગુડ એટમોસ્ફિયર : ધર્મમાં આગળ વધવું હોય તો સારાં વાતાવરણની જરૂર પડે છે. તમે સંસારમાં રહીને ધર્મ કરી શકો છો, પણ પાપનો ત્યાગ કરી શકતા નથી. જો પાપના ત્યાગનું વાતાવરણ જોઈતું હોય તો સંસારનો ત્યાગ કરવો પડે અને દીક્ષા લેવી પડે. (3) ગુડ એટિટ્યૂડ: સારું વાતાવરણ મળ્યા પછી ભાવનાઓ પણ સારી થવી જોઈએ. સાધુ જીવનમાં સમર્પણ ભાવની સાધના સૌથી મુખ્ય છે. આ સાધના આચાર્ય હંસરત્નસૂરીશ્વરજીએ સિદ્ધ કરી છે. (4) ગુડ થોટ્સ: સારી ભાવના હોય તેમને સારા વિચારો પણ આવવા જોઈએ. (5) ગુડ એક્શન : માત્ર સારા વિચારો પૂરતા નથી. તેને વ્યવહારમાં ઊતારવા માટે પુરૂષાર્થ પણ કરવો જોઈએ. આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજીએ આ પાંચેય ગુણો આત્મસાત કર્યા હોવાથી તેઓ આજે સિદ્ધિના શિખરે પહોંચી ગયા છે. તેમણે ચાર વખત 180 ઉપવાસ કર્યા છે. હજુ તેમનું ફુલ સ્ટોપ આવ્યું નથી. તેઓ પાંચમી વખત પણ તે કરી શકે છે. તેમણે જે વિક્રમ સ્થાપિત કર્યો છે તેને આવનારાં વર્ષોમાં કોઈ તોડી શકે તેમ લાગતું નથી.

આચાર્ય ભગવંતના ચતુર્થ વખત 180 ઉપવાસનાં પારણાંના મહોત્સવ દરમિયાન અગાઉ ત્રણ વખત પારણાંનો લાભ લેનારા પરિવારોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. વોશિંગ્ટનથી આવેલા સાત જૈન પરિવારોએ પૂજ્ય આચાર્ય ભગવંતોને પાતરાં વહોરાવવાનો લાભ લીધો હતો. સંજય વખારિયા અને અતુલકુમાર વ્રજલાલ શાહે સભાનું કુશળતાથી સંચાલન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.