Abtak Media Google News
  • રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીની  મંજૂરી
  •  તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના ૭૪૫૩ કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસરફેસિંગ માટે રૂ. ૩૧૨૦ કરોડ
  • સરહદી ગામો-બોર્ડર વિલેજ-પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના ૨૫૦ થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા ૫૧૫ માર્ગોનું રીસરફેસિંગ કરાશે.
  • વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વિકસાવેલી પરિપાટીમાં ગુજરાતને ગ્રામ્ય માર્ગો સુધારણાથી અગ્રેસર રાખવાનો મુખ્યમંત્રીનો નિર્ધાર

ગુજરાત ન્યૂઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અવિરત પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પરિપાટી વિકસાવી છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની ધોરી નસ ગણાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જ પરંપરાને ગુજરાતમાં વધુ ગતિથી આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ દ્વારા ગ્રામીણ વસ્તીને બારમાસી રસ્તાની સુવિધા, કનેક્ટિવિટી આપવાનો અભિગમ આ ૩૮૪૨ કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં અપનાવ્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર, રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય આંતરિક માર્ગોના જરૂરી રિસરફેસિંગ માટેના ૩૧૮૦ કામો માટે ૩૧૨૦.૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આવા કુલ ૭૪૫૩.૨૧ કિલોમીટર લંબાઇના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે.

આ ઉપરાંત, રાજ્યના નોર્મલ વિસ્તારોમાં ૨૫૦ થી ૫૦૦ ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા ૨૦૬ માર્ગોને રિસરફેસ કરવાની કામગીરી અન્‍વયે ૩૯૪.૨૭ કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ ૧૯૧.૫૫ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સરહદી ગામો-બોર્ડર વિલેજ, પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખૂટા ડિસકનેક્ટ થઈ જતા હોય છે તેને જોડાણ આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ મંજૂરી આપી છે.તદઅનુસાર, ૯૧.૨૨ કિલોમીટર લંબાઇના નવા ૧૦૦ રસ્તાઓ તેમજ વિવિધ પ્રકારના ખૂટતા ૭૬ સ્ટ્રક્ચર્સ માટે મુખ્યમંત્રીશ્રીએ ૨૪૦.૮૬ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે.

આદિજાતિ વિસ્તારો જ્યાં ૨૫૦ થી ઓછી વસ્તી છે તેવા પરાઓને જોડતા માર્ગોના રિસરફેસિંગ માટે મુખ્યમંત્રીશ્રીએ ૨૮૮.૮૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.આના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આવા ૪૧૫ કામો હાથ ધરીને ૭૩૧.૯૭ કિલોમીટરના માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ગ્રામીણ જીવનમાં સુવિધા વૃદ્ધિના જનહિતકારી નિર્ણયથી રાજ્યના ગામોને બારમાસી રસ્તાની સગવડ મળતી થશે અને કનેક્ટિવિટી ઝડપી તથા સુદ્રઢ બનશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ રાજ્યના પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓના રીપેરીંગ, નવા સ્ટ્રક્ચર નિર્માણ અને માર્ગોના મજબુતીકરણના ૧૦૧૭ કામો માટે ૧૪૧૧.૮૧ કરોડ રૂપિયાની રકમ ફાળવેલી છે.

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.