Abtak Media Google News

ગુજરાતમાં આન, બાન, શાન સાથે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ગરવુ, ગતિશીલ, ગુણવંતુ અને ગ્લોબલ ગુજરાતના 4ૠ માં હવે ગ્રીન ગ્રોથ સાથે ગુજરાત 5ૠ બનશે: ભૂપેન્દ્રભાઇ પટેલ

વલસાડ ખાતે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની ગુજરાતભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગામે-ગામ આન, બાન, શાન સાથે તિરંગો લહેરાયો હતો. સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા. રાજ્ય સરકારના મંત્રીઓ અલગ-અલગ જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા. તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રીએ વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવવા આપેલા પંચ પ્રણમાં ગુજરાત ઉત્કૃષ્ટ યોગદાન આપવા પ્રતિબધ્ધ છે. આઝાદી-સ્વરાજ્ય માટે જીવન ખપાવી દેનારા વીર શહીદોના ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાના સ્વપ્નને વડાપ્રધાનના નેતૃત્વમાં હવે દેશ સુરાજ્ય-ગુડ ગવર્નન્સને ચરિતાર્થ કરી રહ્યો છે. રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્યના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા તેમણે ઉમેર્યું કે, વતનની માટીનું ગૌરવગાન કરવાના “મારી માટી, મારો દેશ” અભિયાન અને રાષ્ટ્રની અસ્મિતાના ગૌરવ ઉજાગર કરવાના માર્ગે ચાલીને ગુજરાત અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે પણ અગ્રેસર રહેવા સંકલ્પબધ્ધ બન્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યથી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત માટે આ વર્ષે 3 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ આપીને પંચસ્તંભ આધારિત વિકાસનો રોડમેપ કંડાર્યો છે.

મુખ્યમંત્રીએ ગરીબ અને જરૂરતમંદ વર્ગો માટે પાયાની સુવિધા સહિત સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ, કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીથ ગ્રોથ એમ પાંચ વિકાસ સ્તંભની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સાથે સંતુલન સાધીને વિકાસનો-ગ્રીન ગ્રોથનો જે મંત્ર વડાપ્રધાનએ આપ્યો છે, તે ગુજરાત 5ૠ થી ભલિ ભાંતિ સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતના આ 5ૠ વિકાસની વિશદ છણાવટ કરતાં કહ્યું કે, ગરવું ગુજરાત ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત અને ગ્લોબલ ગુજરાત એમ રાજ્યના 4ૠમાં હવે ગ્રીન ગુજરાતથી 5ૠ બનાવીશું. આ હેતુસર ગ્રીન ક્લીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ માટે રાજ્યમાં વિરાટ પ્રોજેકટ શરૂ થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કચ્છના ખાવડા નજીક 30 ગીગાવોટનો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઇ રહ્યો છે. એટલું જ નહીં, 10,123 મેગાવોટની વિન્ડ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે ગૌરવસહ જણાવ્યું હતું.

ગુજરાતે પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોને બદલે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ઇવી પોલિસી અમલમાં મૂકી છે, તેની વિગતો આપતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં 85 હજારથી વધુ ઇવી વાહન વપરાશકારોને રૂ.215 કરોડથી વધુની સબસિડી રાજ્ય સરકારે આપી છે.

મુખ્યમંત્રીએ આદિજાતિ ડાંગ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગો, આદિજાતિઓને પાયાની સુવિધા પૂરી પાડવા માટે બજેટના પ્રથમ સ્તંભને અનુરૂપ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. જેમાં ડાંગ જિલ્લાના 279 ગામોની ભવિષ્યની વસ્તીને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 866 કરોડની યોજના મંજૂર કરી છે એમ જણાવ્યું હતું.

આ યોજના અન્વયે તાપી નદીના હાલના કાકરાપાર વિયરના ઉપરવાસમાં ઇન્ટેકવેલ બનાવી 85 કિમી લાંબી બલ્ક પાઇપલાઇનથી અંદાજે 3.71 લાખ આદિજાતિ વસ્તીને રોજનું 38 એમએલડી પાણી પહોંચાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ યુવાઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણ આપવા સરકારે વલસાડ, દાહોદ, રાજપીપળા, ગોધરા જેવા વનવાસી વિસ્તારો સહિત 8 મેડિકલ કોલેજો શરૂ કરી છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણનીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માતૃભાષામાં ભણી શકે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. એન્જિનિયરિંગના વિવિધ વિષયોના પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી એ દિશામાં ડગલું માંડી દીધું છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર ગુજરાતમાં સલામતી, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી હોવાનું જણાવતા ઉમેર્યુ કે, રાજ્યના પોલીસ દળનું મનોબળ વધારીને અસામાજિક તત્વો અને ડ્રગ્સ પેડલરો સહિત ગુનાખોરી અને ગુનાખોરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરોથી મુક્તિ હોય, રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડક હાથે કામ લઈને ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સંગીન સ્થિતિ સાથે સુરાજ્યની અનુભૂતિ કરાવી છે.

તેમણે વ્યાજખોરો સામેના અસરકારક અભિયાન અંગે વિગત આપતા જણાવ્યું કે, ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સરકારે 4 હજાર જેટલા લોક દરબાર યોજ્યા છે. જેમાં 1.29 લાખથી વધુ લોકોએ હાજરી આપી છે. ઉપરાંત વ્યાજના વિષચક્રમાંથી લોકોને બચાવવા સરકારે 22 હજારથી વધુ જરૂરિયાતમંદોને સ્વરોજગાર માટે લોન આપી છે.

ગુજરાત આજે વિશ્ર્વભરનાં રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની ગયું હોવાનું હર્ષભેર જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ભારતને સેમીક્ધડક્ટર ક્ષેત્રનું વૈશ્વિક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. રાજયની પોતાની સેમીક્ધડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે એવુ તેમણે ગર્વથી જણાવ્યું હતું. દેશમાં સેમીક્ધડક્ટર ચિપ્સનો સૌપ્રથમ પ્લાન્ટ સાણંદમાં રૂ. 22,500 કરોડના રોકાણથી આકાર લેવા જઈ રહ્યો છે. નવસારીના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં અત્યાધુનિક પી.એમ મિત્ર પાર્ક સાકાર થશે. જેના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ 3 લાખ રોજગારી ઉભી થશે તેની રૂપરેખા મુખ્યમંત્રીએ આપી હતી.

વડાપ્રધાનના પંચ પ્રણની પ્રેરણા અંતર્ગત વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને તેવું આહવાન તેમણે કર્યું હતું. કાર્યક્રમ સ્થળે વાયુદળના હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પોલીસ બેન્ડના જવાનોએ સંગીતમય રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.