Abtak Media Google News

સ્ટેન્ડીંગ ચેરમેન મનીષ કટારીયા, મનપાના પ્રોજેકટ પ્લાનીંગ શાખાની ટીમ સાથે ચર્ચા કરાઇ

જામનગર શહેરની ઐતિહાસિક ધરોહર એવા ભૂજીયાકોઠા કે જેનું હાલમાં રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે, અને મોટાભાગે 65 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 25 કરોડના ખર્ચ સાથે ભુજીયા કોઠા નું રેસ્ટોરેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

ભૂકંપ વખતે ભૂજીયાકોઠા નો ઉપરનો હિસ્સો ધસી પડ્યો હતો, અને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જામનગરની ઐતિહાસિક ધરોહર ને પુન:સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર પાસેથી ખાસ મંજૂરી માંગવામાં આવી હતી, અને તે મુજબની ગ્રાન્ટ પણ મળી છે.

જે સ્થળની ગઈકાલે સાંજે જામનગરના 79- દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર કામગીરી અંગેની જાત માહિતી મેળવી હતી.

જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા જોડાયા હતા, જેઓ સમગ્ર કામગીરી નું મોનિટરિંગ કરી રહ્યા છે. સાથો સાથ જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથ ના દંડક કેતનભાઇ ગોસરાણી, જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ પણ જોડાઈને સંપૂર્ણ માહિતી આપી હતી.

આગામી પાંચ મહિનામાં ભૂજિયા કોઠા નું રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરી લેવાશે, અને લોકોના નિદર્શન માટે ખુલ્લો મૂકી દેવાય તેમ જાણવા મળી રહ્યું છે. ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા સમગ્ર રેસ્ટોરેશન કામ અને ભૂજિયા કોઠાની ઐતિહાસિક ધરોહર સંપૂર્ણ પણે જળવાયેલી રહે, તે બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓને વિશેષ સૂચના આપી હતી.

ભુજીયા કોઠાનો ઇતિહાસ

સૌરાષ્ટ્રની 170 વર્ષ પહેલાં ની ઐતહાસિક ઊંચામાં ઊંચી ગણાતી ભુજીયા કોઠાની ઇમારત ને વર્ષ 2001 માં ખુબ જ નુકશાન થયું હતું.  ગુજરાતમાં ટોલેસ્ટ હેરિટેજ સાઈટ તરીકે ગણાતી આ ઇમારતનું કામ જામ રણમલ -2 ના કાર્યકાળમાં 1839 થી 1852 દરમિયાન કરવામાં આવ્યું હતું. જેને ભારત સરકાર દ્વારા સન 1966 માં પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ તરીકે જાહેર કરાયું હતું. આ ઇમારત નુ 2016 માં પુરાતત્વ સાથે એમ.ઓ.યુ કરી અને આ ઇમારત ને તેના મૂળ સ્વરૂપમાં પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી’ ત્યારબાદ જૂન -2020 માં રેસ્ટોરેશનની સંપૂર્ણ વહીવટી કાર્યવાહી પૂર્ણ કરી ને કામ ચાલુ કરવામાં આવ્યું હતું,

જેમાં ઇમારતના બાંધકામ ને મૂળ સ્વરૂપમાં લાવવા આગળના સી – ટાઈપ સ્ટ્રકચર ને કરવા નીચે આવેલ દુકાનો પૈકી 11 દુકાનો હટાવવી આવશ્યક હતી, જે પૈકી ની ચાર દુકાનો પાસે કોઈ આધારો ન હતા જે પ્રથમ દૂર કરવામાં આવી હતી.ત્યારબાદ સાથે જ બીજી દુકાનો ને પણ 478/2 ની નોટિસ આપતાં કોર્ટમાં બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આ પ્રોજેક્ટના હિતમાં તેમજ પ્રોજેક્ટ ને પૂર્ણ કરવા કોર્ટમાં સમાધાન કરી ને 7 દુકાન ધારકો ને ગોલ્ડન સિટી એરિયા માં 7 દુકાનો આપી અને કોર્ટ કેસ પૂર્ણ કરાયો હતો.

હાલ સી – ટાઈપ સ્ટ્રકચરનુ બાંધકામ ચાલુ હોય થોડા સમયમાં આ કામ પૂર્ણ કરી આ ઐતહાસિક ઇમારત ને તેમજ તેના ઉપરથી દેખાતા જામનગર ના નજારા ને જામનગરની જનતા તેમજ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે જામનગરની ઐતિહાસિક ઓળખ માટે સીમાચિન્હ રૂપ બની રહેશે, તેમ પણ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.