Abtak Media Google News
  • રાજયના તમામ 49140 મતદાન મથકો ખાતે રવિવારે નો યોર પોલીંગ સ્ટેશન અભિયાન

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને એપીક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો એપીક કાર્ડ ન હોય તો ઇ-એપીક ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે.

Advertisement

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી-2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તા.22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરિફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના 1 ઉમેદવાર વધતાં તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.07 મે, 2024 ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે.

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,16,06,188 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે. રાજ્યમાં 10,036 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. 3,75,673 મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે; જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે.

રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

લોકસભા સામાન્ય ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.20 એપ્રિલના રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ 105 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા.

ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. 22 એપ્રિલ સુધીમાં કુલ 62 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, 2024 માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 266 થઈ છે. જે પૈકી 247 પુરુષ ઉમેદવારો, 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્ત પૈકી 24-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે.

કુલ 25 સંસદીય મતવિભાગોમાં કુલ 49,140 મતદાન મથકો ખાતે મતદાન થનાર છે.

આ પૈકી 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગ ના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. આમ કુલ 50,960-બીયુ, 49,140-સીયુ અને 49,140-VVPATનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગો(AC)ની પેટા ચૂંટણીઓમાં 1,282 મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ 1,282- બીયુ, 1,282-સીયુ અને 1,282-VVPATનો ઉપયોગ થનાર છે.

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો   વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે. આથી તા.28 એપ્રિલ, 2024 ના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Stationઅભિયાનનું આયોજન કરવામાં આવશે. જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે 9 થી 12:30 સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે. આ અભિયાનની સાથોસાથ ચુનાવ પાઠશાલાનું પણ આયોજન કરવામાં આવશે; જેમાં તમામ ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને સહપરિવાર મતદાન માટે આમંત્રણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.