Abtak Media Google News

Table of Contents

દિલ્હી:’આમ આદમી’નું ખ્યાલ રાખશે ‘બાબુઓ’

દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં પણ પસાર, રાજધાનીમાં હવે અધિકારીઓનું નિયંત્રણ કેન્દ્ર સરકારના હાથમાં : બિલને રોકવા જ આપે વિપક્ષી છાવણી ઉપર વિશ્વાસ મૂકી તેમાં પ્રવેશ કર્યો હતો, તેમ છતા બિલ ન અટકતા અવિશ્વાસ ઉભો થયો

લોકસભામાં આજથી ત્રણ દિવસ અવિશ્વાસના પ્રસ્તાવને લઈને ચર્ચા, રાહુલ ગાંધીનું આજે સંબોધન : વડાપ્રધાન મોદી અંતિમ દિવસે સંસદને સંબોધિત કરશે

અબતક ચેનલ અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકસભાનું લાઇવ પ્રસારણ નિહાળી શકાશે
લોકસભામાં આજથી અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે રાહુલ ગાંધી પણ સંબોધન આપવાના છે. લોકસભાની આ સમગ્ર કાર્યવાહીનું લોકસભાના સૌજન્યથી બપોરે 12 વાગ્યાથી અબતક ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

કેજરીવાલ પહેલા ઇન્કમટેક્ષના અધિકારી હતા. પણ હવે મુખ્યમંત્રી બન્યા બાદ ચપરાસીની ભૂમિકામાં આવી જશે. કારણકે દિલ્હીમાં હવે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં રહેલા બાબુઓ ‘આમ આદમી’નું ખ્યાલ રાખશે. આ પરિવર્તન પાછળ કારણભૂત દિલ્હી સેવા બિલ છે.જે લોકસભા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. બિલને રોકવા જ આપે વિપક્ષી છાવણી ઉપર વિશ્વાસ મૂકી તેમાં પ્રવેશ કર્યો હતો. તેમ છતા બિલ ન અટકતા અવિશ્વાસ ઉભો થયો છે. આમ ‘અવિશ્વાસ’ના પ્રસ્તાવની ચર્ચા પહેલા જ ગુમાવતું ‘વિપક્ષે’ અવિશ્વાસનો મત ગુમાવ્યો છે.

Advertisement

લોકસભામાં સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા આજથી શરૂ થશે. ગયા અઠવાડિયે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે ચર્ચાનો જવાબ આપી શકે છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ દ્વારા લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ આજે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો એનડીએ સરકાર પાસે 331 સભ્યો છે. એકલા ભાજપ પાસે 303 સાંસદ છે. સંસદમાં બહુમતીનો આંકડો 272 છે. બીજી તરફ ઇન્ડિયા સંગઠનમાં બ્લોકમાં 144 સાંસદ છે.

સંસદના ચોમાસુ સત્રનો આજે 14મો દિવસ છે. લોકસભામાં બપોરે 12 વાગ્યાથી મણિપુર હિંસા અંગે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. રાહુલ ગાંધી વિપક્ષ તરફથી ચર્ચા શરૂ કરશે. સોમવારે રાહુલની સાંસદ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બીજી તરફ સરકાર વતી પહેલા સાંસદ નિશિકાંત દુબે જવાબ આપશે. આ ચર્ચા ત્રણ દિવસ સુધી ચાલશે.

રાજ્યસભાએ સોમવારે દિલ્હી સર્વિસ બિલને પણ મંજૂરી આપી દીધી છે. બિલ પર લગભગ 8 કલાક સુધી લાંબી ચર્ચા બાદ વોટિંગ થયું. પક્ષમાં 131 જ્યારે વિરોધમાં 102 મત પડ્યા હતા. આ બિલને અગાઉ લોકસભાની મંજૂરી મળી ચૂકી છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે. આ કાયદા બાદ દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કરવામાં આવશે. સંસદના બંને ગૃહો દ્વારા દિલ્હી સેવા બિલ પાસ થયા બાદ હવે કેન્દ્ર સરકારને દિલ્હી સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંબંધિત નિયમો બનાવવાની સત્તા મળશે. આ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક અને બદલીનો અધિકાર કેન્દ્રના હાથમાં રહેશે. 3 ઓગસ્ટે દિલ્હી સર્વિસ બિલને લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. 7 ઓગસ્ટે રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ હવે તેને કાયદો બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. માત્ર તેના પર રાષ્ટ્રપતિની સહી બાકી છે.

દિલ્હી સેવા બીલથી લોકલક્ષી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન આવશે : અમિત શાહ

ચર્ચાના જવાબમાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે બિલનો હેતુ દિલ્હીમાં લોકોલક્ષી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન લાવવાનો છે. હું ખાતરી કરવા માંગુ છું કે બિલની કોઈપણ જોગવાઈઓ અગાઉની વ્યવસ્થામાં કોઈ ફરક નહીં પાડે. તેમણે કહ્યું કે જ્યારે આપણે દિલ્હીની ચૂંટણી લડીએ છીએ ત્યારે આપણે જાણી લેવું જોઈએ કે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. ત્યારબાદ તેમણે દિલ્હીની વહીવટી સ્થિતિ અને તેના ઈતિહાસ વિશે વાત કરી. શાહે કહ્યું કે આઝાદી પહેલા પણ દિલ્હી ક્યાંકને ક્યાંક સત્તાનું કેન્દ્ર રહ્યું હતું. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રને સેવાઓ માટે વટહુકમ લાવવો પડ્યો હતો કારણ કે દિલ્હીમાં આપ સરકારે વિજિલન્સ વિભાગમાં અધિકારીઓની બદલી કરી હતી કારણ કે દારૂ કૌભાંડની ફાઇલો તેની પાસે હતી

ભાજપે આપને રોકવા ચોર દરવાજાનો ઉપયોગ કર્યો : કેજરીવાલ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટી સામે સતત ચાર ચૂંટણી હારી છે. જ્યારે તેમને લાગ્યું કે આમ આદમી પાર્ટીને હરાવવાનું મુશ્કેલ છે ત્યારે તેમણે ચોર દરવાજા દ્વારા આમ કર્યું. પીએમ નરેન્દ્ર મોદી અહંકારી બની ગયા છે. પીએમ મોદી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા નથી. જનતાએ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર દિલ્હીમાં હસ્તક્ષેપ ન કરે, પરંતુ પીએમ જનતાની વાત સાંભળવા માંગતા નથી.સીએમ કેજરીવાલે કહ્યું કે અમિત શાહે સંસદમાં કહ્યું કે અમારી પાસે કાયદો પસાર કરવાની સત્તા છે. તમને લોકો માટે કામ કરવાની સત્તા આપવામાં આવી છે, તેમના અધિકારો છીનવી લેવા માટે નહીં. હું જે કંઈ પણ કરું છું તેમાં દિલ્હીની જનતા મને સાથ આપે છે અને તેમણે મને ચૂંટણી જીતાડીને તેમનું સમર્થન બતાવ્યું છે. તેઓ ફક્ત અમારા ભલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. કામ કરો. તેઓ વિકાસના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેઓ મને કામ કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો આ વખતે તેમને એકપણ બેઠક જીતવા દેશે નહીં.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.