Abtak Media Google News

રફ ડાયમંડબી અછત સર્જાતા હીરા ઉદ્યોગમાં બે અઠવાડિયાનું વેકેશન જાહેર કરી દેવાયું

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરમાંથી ડાયમંડ ઉદ્યોગ હજુ બહાર આવી શક્યો નથી. યુક્રેન પર હુમલો થયો ત્યારથી રફ ડાયમંડની અછત સર્જાઈ છે અને તેના કારણે હીરા ઉદ્યોગે વેકેશન લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્યારે હીરા ઉદ્યોગકારો પોતાની સગવડ પ્રમાણે રજા જાહેર કરી રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડિયાનું વેકેશન હોય છે, પરંતુ બજારમાં રફ ડાયમંડ જ ન હોય ત્યારે ઉદ્યોગનો ચલાવવો કઈ રીતે તે સવાલ છે. રફ ડાયમંડ ઉપલબ્ધ ન હોવાના કારણે ઘણા ઉદ્યોગકારોએ બે સપ્તાહનું વેકેશન જાહેર કરી દીધું છે.
સૂત્રોએ જણાવ્યું કે કાચા હીરા સપ્લાય કરતી ટોચની ડાયમંડ કંપની અલ્સોરાએ સપ્લાય અટકાવી દીધો છે. સુરતના હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડાયમંડ અલસોરાની ખાણમાંથી આવતા હોય છે. અત્યાર સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાસે રફ હીરાનો સ્ટોક હતો તેથી કામકાજ ચાલતું હતું. પરંતુ ત્યાર પછી સ્ટોક સમાપ્ત થઈ જતા મુશ્કેલી પેદા થઈ છે.
એક અંદાજ પ્રમાણે ભારતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી રફ હીરા માટે રશિયા પર મોટા પાયે આધાર રાખે છે. સુરતમાં પ્રોસેસ થવા માટે આવતા લગભગ ૩૦ ટકા રફ ડાયમંડને રશિયાથી આયાત કરવામાં આવે છે. અત્યારે ઇમ્પોર્ટ બંધ થઈ જવાથી કામ નથી. કેટલાક હીરા ઉદ્યોગકારો કામના કલાકો ઘટાડીને અને રજાના દિવસ વધારીને કામ ચલાવી રહ્યા છે. હાલમાં શાળાઓમાં પણ વેકેશન ચાલુ છે ત્યારે કેટલાક કારખાનેદારોએ લગભગ બે અઠવાડિયા જેટલું વેકેશન જાહેર કરી દીધું છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુ વેકરિયા જણાવે છે કે અત્યારે ડાયમંડ ઉદ્યોગમાં રફ ડાયમંડની અછત છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આ સ્થિતિ પેદા થી છે. હીરા ઉદ્યોગમાં એકસમાન વેકેશન નથી. દરેક ઉદ્યોગકાર પોતપોતાની સુવિધા પ્રમાણે વેકેશનની જાહેરાત કરી રહ્યા છે.
અલ્સોરા એ વિશ્વની સૌથી મોટી ડાયમંડ ઉત્પાદક કંપની છે અને વિશ્વમાં ડાયમંડના આઉટપૂટમાં લગભગ ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. ભારત અલ્સોરા પાસેથી માત્ર ૧૦ ટકા ડાયમંડની ડાયરેક્ટ આયાત કરે છે. છતાં મોટા ભાગના રશિયન ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે ભારત જ આવે છે. યુક્રેન યુદ્ધના કારણે બજારમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે. આ ઉપરાંત ફુગાવો પણ વધી ગયો છે. તેથી યુએસમાં ડાયમંડની માંગમાં ઘટાડો થયો છે. અમેરિકા એ ભારતીય કટ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું ખરીદદાર છે.
સરકારે દરમિયાનગીરી કરવાની તાતી જરૂરિયાત !!
આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે અને ફેક્ટરીઓને કામના કલાકો ઘટાડવાની ફરજ પડી છે. જો આ પરિસ્થિતિ યથાવત રહી તો તેઓ લોકોને નોકરીમાંથી છૂટા કરવાની ફરજ પડશે તેવું જવેલરી એક્સપોર્ટ કાઉન્સિલનું કહેવું છે. કાઉન્સિલે કહ્યું છે કે, સરકારે દરમિયાનગીરી કરવાની તાતી જરૂરિયાત છે.
અછત યથાવત રહી તો ભાવ આસમાનને આંબી જશે !!
યુદ્ધ શરૂ થયા પછી હીરાની કિંમતમાં ૧૮-૨૦% વધારો થયો હતો પરંતુ એપ્રિલમાં ભાવ સ્થિર થયો હતો. ભાવ વધ્યા બાદ હીરાના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે પરંતુ અછતને કારણે ભાવમાં ૮-૧૦%નો વધારો થવા લાગ્યો છે. જો અછત ચાલુ રહેશે તો ભાવ આસમાનને આંબી જશે તેવું હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું માનવું છે.
ભારત રફ હીરા માટે રશિયા પર મોટા પાયે આધારિત !!
એક અંદાજ પ્રમાણે ભારતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી રફ હીરા માટે રશિયા પર મોટા પાયે આધાર રાખે છે. સુરતમાં પ્રોસેસ થવા માટે આવતા લગભગ ૩૦ ટકા રફ ડાયમંડને રશિયાથી આયાત કરવામાં આવે છે. અત્યારે ઇમ્પોર્ટ બંધ થઈ જવાથી કામ નથી. કેટલાક હીરા ઉદ્યોગકારો કામના કલાકો ઘટાડીને અને રજાના દિવસ વધારીને કામ ચલાવી રહ્યા છે. હાલમાં શાળાઓમાં પણ વેકેશન ચાલુ છે ત્યારે કેટલાક કારખાનેદારોએ લગભગ બે અઠવાડિયા જેટલું વેકેશન જાહેર કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.