Abtak Media Google News

દેવ,ગુરુ અને ધર્મ આ ત્રિતત્વમાં દેવ અને ધર્મને જોડતી મજબુત સાંકળ ગુરૂ

ઉપકારી ગુરુદેવ – ધર્માચાર્યનો ઉપકાર જીવનમાં કદી વાળી શકાતો નથી.જૈન શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો સ્પષ્ટ ઉલ્લેખ કયાંય વાંચવા મળતો નથી, પરંતુ આગમમાં પરમાત્માએ ઠેર – ઠેર ગુરુની મહત્તા બતાવેલ છે.ગુરુ એ સાચો રાહ બતાવનાર ભોમિયા સમાન છે.નમસ્કાર મહા મંત્રના નવપદમાં સિદ્ધ ભગવંતો મોક્ષમાં બીરાજે છે,છતાં પ્રથમ નમસ્કાર અરિહંત પદને કરવામાં આવે છે કારણ કે અરિહંતો જ સિદ્ધ પદ સુધી પહોંચાડનાર પથદર્શક રહેલા છે.એટલે જ…

મનોજ ડેલીવાળા કહે છે કે…..

અરિહંત સિદ્ધ દોનો ખડે,

કિસ કો લાગુ પાય,

બલિહારી ઉપકારી અરિહંત કી,

જિસને સિદ્ધ દિયે મિલાય.

જૈન દર્શનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અર્પણ કરતાં હોય તેવો ઉલ્લેખ આવતો નથી પરંતુ ગુરુની આજ્ઞા ” આણાએ ધમ્મો ” અર્થાત્  આજ્ઞા એજ ધર્મ છે તેવો નિર્દેશ છે.ગુરુ આજ્ઞામાં જેનું જીવન તહેત્ત…તેની મુક્તિ હાથવેંત.

જૈનોના ગુરુદેવ કદી કોઈને આશીર્વાદ પણ આપે નહીં કે શ્રાપ પણ આપે નહીં. તેઓ તો સદા અનંતી કૃપા વરસાવતા હોય છે કે જલ્દી – જલ્દી દરેક જીવાત્માઓ મોક્ષના શાશ્ર્વતા સુખોને પ્રાપ્ત કરે.

સંસારીઓ કદી હીત વગર હેત કે પ્રીત કરતાં નથી જયારે ગુરુ ભગવંતો નિસ્વાર્થ ભાવે ”  તિન્નાણં – તારયાણં ” અર્થાત્ સ્વયં તરે અને પરીચયમાં આવનાર દરેકને ભવ સાગરથી તારનાર બને છે.

અનંત ઉપકારી પ્રભુ મહાવીરે પોતાની અંતિમ ધર્મ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુરુ વિશે જે ઉલ્લેખ કરેલ છે,ચાલો તેનું ચિંતન,મનન કરીએ.

ઈંગીયાગાર સંપન્ને એટલે કે શિષ્ય ગુરુના ઈશારા તથા સંકેતને સમજી કાર્ય કરતાં હોય તેને વિનીત શિષ્ય કહેવાય છે.

ના પુઠ્ઠો વાગરે કિંચિ એટલે કે વિનીત શિષ્ય ગુરુને પૂછ્યા વિના કંઈ પણ બોલે નહીં.

ગુરુ એ તો જીવન શિલ્પી છે. પ્રભુ મહાવીર અને ગૌતમ ગણધરની ગુરુ – શિષ્યની બેનમૂન તથા અજોડ જોડી હતી.શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર હોય કે શ્રી ભગવતી સૂત્ર પ્રભુને પ્રશ્ર્ન પૂછવામાં આવે એટલે પ્રભુના મુખારવીંદથી શબ્દ નીકળે હે..ગોયમા( ગૌતમ) સંબોધન કરી પછી પ્રશ્ર્નનું સમાધાન આપે. ખૂદ ત્રિલોકીનાથના શ્રી મુખે શિષ્યનું નામ આવે તેનાથી વિશેષ બીજું શિષ્યને શું જોઈએ ? પ્રસન્ન થયેલ ગુરુદેવ શિષ્યોને શ્રુત સંપત્તિ તથા આચાર સંપત્તિ પ્રદાન કરે છે,જેનાથી શિષ્યો આત્મિક લક્ષ્મીને પ્રાપ્ત કરી મોક્ષ પદને વરે છે.

સાધનાના ક્ષેત્રમાં સદ્દગુરુનું મહત્વ સર્વોપરી માનવામાં આવે છે.જૈન દર્શનમાં ગુરુને ભગવંતની ઉપમા આપી નવાજવામાં આવેલ છે.ગુરુ વિના જીવન અધુરૂ,ગુરુથી જીવન બને મધુરૂ.

પ્રતિક્રમણના પ્રથમ પાઠનો પ્રથમ શબ્દ ” ઈચ્છામિણં ભંતે ” એટલે હે ગુરુ ભગવંત ! આપની આજ્ઞા લઈ આવશ્યક સૂત્ર, પ્રતિક્રમણ કરુ છું. ગુરુ ભગવંતની આજ્ઞા વિના શિષ્ય એક પણ કાર્ય કરે નહીં.ગુરુ કયારેક પ્રત્યક્ષ હાજર ન હોય છતાં પણ દરેક કાર્ય કરતાં પહેલાં અરે ! માંગલીક ફરમાવતાં પહેલાં પણ ગુરુદેવની આજ્ઞા એમ પ્રગટ પણે ઉચ્ચારણ કરીને માંગલીક ફરમાવતાં હોય છે.ટૂંકમાં, ગુરુનો મહીમા અને મહત્તા અપાર અને અપરંપાર છે.

: સંકલન :
મનોજ ડેલીવાળા
મો.98241 14439

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.