Abtak Media Google News

કમોસમી માવઠામાંથી હજી ઉભા નહીં થઇ ચુકેલા અગરિયા સમુદાય માટે ખારાઘોડા રણમાં નર્મદાનું પાણી આવતા અગરિયા સમુદાયની કફોડી હાલત થવા પામી છે. એમાંય એક તરફ કમોસમી માવઠું, બીજી તરફ અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહી અને હવે રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓના મોંઢામાં આવેલો કોળીયો છીનવાયો ગયો છે.

દર વર્ષે 2000 અગરિયા પરિવારો ઓક્ટોબર માસમાં રણમાં મીઠું પકવવા જાય છે. હાલમાં અગરિયાઓ દ્વારા રણમાં મીઠું પકવવાની સીઝન પૂર્ણ થઇ ગઇ છે. અને વેપારીઓ દ્વારા રણમાંથી ખારાઘોડ અને ઝીંઝુવાડા ગંજે મીઠું ખેંચવાની સીઝનની તૈયારીમાં લાગ્યા હતા. ત્યાં કમોસમી માવઠાથી રણમાંથી ખારાઘોડા આવવાનો રસ્તો ઠપ્પ થઇ ગયો હતો. અને હાલ ખારાઘોડા રણમાં રૂ. 100 કરોડથી પણ વધારાનું 15 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડેલું છે.

એક તરફ કમોસમી માવઠું, બીજી તરફ અભયારણ્ય વિભાગની કડક કાર્યવાહી અને હવે રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓના મોંઢામાં આવેલો કોળીયો છીનવાયો ગયો છે. આથી દેગામ મીઠા ઉત્પાદક મંડળીના સેક્રેટરી ભૂપેન્દ્રભાઇ મેંઢા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, નર્મદા કેનાલનું ઓવરફ્લો પાણી ખારાઘોડા રણમાં આવેલી દેગામ, હિંમતપુરા, કૃષ્ણ, શ્રીરામ, સવલાસ અને માલવણ મંડળીના થઇને સેંકડો મીઠાના પાટામાં ફરી વળતા અગરિયા પરિવારો પાયમાલ થઇ ગયા છે.

નર્મદા વિભાગના  અધિકારીઓને તાકીદે રણમાં મોકલી આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.