Abtak Media Google News

મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં રેલી સંબોધશે અને કેટલીક લોક કલ્યાણની યોજનાઓ પણ ખુલ્લી મૂકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 100માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા તેમના માતા હીરાબાની મુલાકાત લઈ આશીર્વાદ લે તેવી અપેક્ષા છે. પીએમ મોદી અને તેમના માતા એકબીજા સાથે ખૂબ જ આત્મિયતા ધરાવે છે. માટે જ દેશના વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને સમયાંતરે પીએમ મોદી તેમને મળવા આવતા રહે છે. એટલું જ નહીં પોતાના જન્મદિવસે પણ તેઓ માતાના આશીર્વાદ લેવા આવવાનું ચૂકતા નથી. સરકારના સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદી શુક્રવારે સાંજે અમદાવાદ આવશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. સરકારના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઙખ શનિવારે ગાંધીનગરમાં પોતાના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હીરાબાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તેમની માતાને મળ્યા બાદ અને મહત્વપૂર્ણ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવ્યા પછી, પીએમ વડોદરા જવા રવાના થશે જ્યાં તેઓ એક રેલીને સંબોધશે અને અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. દરમિયાન, શનિવારે પીએમ મોદીના વતન વડનગરમાં હીરાબાના જન્મદિવસની વિસ્તૃત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરમાં શનિવારે સાંજે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના સૂત્રોએ જણાવ્યું કે હીરાબા આ કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે પીએમ મોદી વડોદરાથી દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.

Advertisement

હાટકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન અને વડનગરના લોકોને હીરાબાના જન્મદિવસની ઉજવણીના યજમાન બનાવવામાં આવ્યા છે. આ માટે આમંત્રણ કાર્ડ છપાવવામાં આવ્યું છે અને વડનગરમાં દરેકને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણ પત્રિકામાં લખ્યું છે કે પીએમ મોદીના માતા હીરાબા તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે, અમે ‘સુંદરકાંડ’, શિવ પ્રાર્થના અને ભજનોનું આયોજન કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં પધારવા માટે દરેકને આમંત્રણ છે.

એટલું જ નહીં ગાંધીનગરમાં એક રોડને પણ હીરાબાનું નામ આપવામાં આવશે. ગાંધીનગરના મેયર, હિતેશ મકવાણાએ બુધવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (ૠખઈ) કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાયસન પેટ્રોલ પંપથી 80 મીટરના રસ્તાને ઙખ મોદીના માતા હીરાબાના નામ પર નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરે કહ્યું કે રાજ્યની રાજધાનીના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ કહેવામાં આવશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આ ગુજરાત મુલાકાત દરમિયાન અન્ય પણ લોકકલ્યાણની યોજનાઓને ખુલ્લી મૂકશે. રાજ્યવ્યાપી ’મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ લોન્ચ કરશે. ગુજરાત સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને તેમના બાળકોને પ્રથમ 1,000 દિવસ દરમિયાન પોષણયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે જેથી બંનેની પોષણની સ્થિતિમાં સુધારો થાય. આ સાથે જ રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’ શરૂ કરવામાં આવશે અને આદિજાતિ વિસ્તારની મહિલાઓને આ યોજનાના લાભો હેઠળ આવરી લેવામાં આવશે.

તેમજ રાજ્યની તેમની મુલાકાત દરમિયાન પીએમ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે અને રેલ્વેના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. વડોદરામાં યોજાનાર આ તમામ કાર્યક્રમો માટે રાજ્ય સરકાર દ્વારા આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.