Abtak Media Google News

દિવાળી ટાણે આખા વર્ષનું સિંગતેલ ખરીદવાનો ઉત્તમ સમય; સૌરાષ્ટ્રમાં ગિરનારી પવનથી પાકતી મગફળી દુર્લભ જે બીજે કયાંય પાકતી નથી

માણસોના જીવનમાં આરોગ્યનું અનેરૂ મહત્વ રહ્યું છે, જેમાં આરોગ્યને ટનાટન રાખવા માટે સીંગતેલનો સિંહફાળો રહેલો છે. સારી ગુણવત્તા વાળુ સીંગતેલ ખરીદવા માટે દિવાળીનો સમયગાળો ઉત્તમ માનવામાં આવે છે. જેમાં ગીરનારી પવનથી પાકતી મગફળી બીજે કયાંય જોવા મળતી ન હોવાથી આ મગફળીમાંથી ઉત્પાદન થયેલું તેલ વધુ લાભદાયી હોય છે.

સીંગતેલનું આરોગ્યલક્ષી મહત્વ સમજાવવા માટે સોમાના પુર્વ ચેરમેન સમીર શાહ અને ગુજરાત એડીબલ ઓઇલ સીડસ એસોસિએશનના બોર્ડ મેમ્બર ડાયાભાઇ કેસરીયાએ અબતક સાથે ચાય પે ચર્ચામાંં ભાગ લીધો હતો.

પ્રશ્ન: તેલનામીલ માલિકોમાટે તેલિયારાજાઓ શબ્દ મીડીયામા કેમ વપરાય છે?

જવાબ: ઘણા સમયથી આ શબ્દ જોડાયેલો છે તો હવે અમને આ મુદે કોઈ વાંધો પણ નથી.

પ્રશ્ન: તેલના ડબ્બાએ 10-20 રૂપિયા વધે તો બજેટ ખોરવાય જાય છે તો આપ આમુદે શું કહેશો?

જવાબ: આ ક્રિએશન મીડીયાનું છે. ખાસ કરીને સીંગતેલ-કપાસીયાના ભાવ વધે ત્યારે હો..હા… થાય છે જે ખોટું છે. ખાદ્યતેલ એ જીવન જરૂરિયાત વસ્તુ છે.તો દરેકે સારૂતેલ ખાઈ સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખવી જોઈએ. ડબ્બે 15 થી 20 રૂ.નો વધારોએ 15-20 કિલો તેલ માટે વધારો છે. તો આમ જોઈએ આ કંઈ ખાસ ભાવ વધારો ગણી શકાય નહિ.

પ્રશ્ન: સૌરાષ્ટ્રની મગફળીનું તેલ ખરેખર નુકશાનકર્તા છે કે શું?

જવાબ: સીંગતેલ, તલનું તેલ વગેરે નેચરલ તેલ છે તેનાથી કોઈ નુકશાન થતુ નથી. વનસ્પતિ તેલ એ નુકશાન કર્તા છે. પેક ફરસાણ, પેક ફૂડ વગેરે પામોલિનમાં બને છે જે નુકશાન કરે છે.

પ્રશ્ન: એસોસિએશન દ્વારા કયારેય આ વસ્તુ ડોકટરોને ધ્યાને મુકવાનો પ્રયાસ કર્યો છે.

જવાબ: એક સમયે ડોકટરો તળેલુ ખાવાની ના પાડતા પરંતુ હવે એવું નથી. ઘરે શુધ્ધ તેલમાં તળેલુ ખાવાથી કોઈ નુકશાની નથી. અને આ વાત ડોકટરો પણ હવે માને છે.

પ્રશ્ન: સૌરાષ્ટ્રની મગફળીના દાણાની કવોલિટી અન્ય પ્રાંતની સરખામણીએ કેવી છે?

જવાબ: સૌરાષ્ટ્રની મગફળી સૌથી બેસ્ટ છે જેને હજુ સુધી કોઈએ હાઈલાઈટસ જ કરી નથી. જેનું કારણ આપણે ત્યાં ફૂંકાતો ગિરનારી પવન છે. ટુંકમાં કહીએ તો સૌરાષ્ટ્રની મગફળીનું તેલ દુર્લભ છે.

પ્રશ્ન: તલના તેલનો પ્રચાર જોઈએ એટલો નથી થયો તો તેનું શું કારણ છે?

જવાબ: પહેલા તલનું તેલ જ ખવાતું. પરંતુ હવે તેના યુનિટો પણ ઓછા થયા છે. અને લોકો ખાતા બંધ થયા છે. તલનું તેલ ખાવામાં એક જ પ્રોબ્લેમ છે કે તેને વધીને ત્રણ મહિનાની અંદર ખાઈ જવું પડે છે. નહિતર ખોરૂ થઈ જાય. કાચા તલ ખાવાનો ક્રેઝ વધ્યો છે. બીજુ કે તે થોડુ મોંઘુ પણ પડે છે.

પ્રશ્ન: ખાસ કરીને ગામડાના લોકો ઘાણાનું તેલ પસંદ કરે છે તો શું તેની ગુણવતા સારી હોય છે?

જવાબ: આ તેલ નેચરલ હોય છે.પરંતુ શુધ્ધ હોતુ નથી તેનું કારણ એ છે કે ઘાણામાં ડબલ ફિલ્ટર થતુ નથી. જે મીલોમાં થાય છે.

પ્રશ્ન: તેલમાં ભેળસેળ થતી હોવાની લોકોની માન્યતા સાચી છે?

જવાબ: આવી માન્યતા એક જમાનામાં હતી પરંતુ હવે ભેળસેળની માર્કેટ જ બંધ થઈ ગઈ છે. પ્રતિષ્ઠિત બ્રાન્ડ અને દુકાનમાંથી તેલ લેશે તો લોકોને શુધ્ધ જ તેલ મળશે. હેલ્થને નુકશાન કરે તેવો કોઈ પદાર્થ ઉમેરાતો નથી.

પ્રશ્ન: મીલમાંથી ડબ્બા તૈયાર થયા બાદ ઘણી જગ્યાએથી પસાર થાય છે તો આ ગાળામાં ભેળસેળ થતી હોવાની શકયતા ખરી?

જવાબ: આ પ્રશ્ર્ન ન રહે તે માટે જ પ્રતિષ્ઠિત બ્રાન્ડ, દુકાનેથી તેલ લેવાનો અમે આગ્રહ કરીએ છીએ.

પ્રશ્ન: કોપરેલ તેલનો વપરાશ વધારવો સૌરાષ્ટ્રમાં શકય છે?

જવાબ: આની શકયતા વધુ દેખાતી નથી. દરેક સ્ટેટની પોત-પોતાની અલગ અલગ માંગ છે તો સૌરાષ્ટ્રમાં સીંગતેલ જ માફક આવે છે.

પ્રશ્ન: આપણા તેલની ડિમાન્ડ કયાં કયાં છે?

જવાબ: ગુજરાત સિવાયના લોકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં સીંગતેલ વધુ ખવાય છે. ચાઈના પણ તેલની બહુમોટી નિકાસ થાય છે.

પ્રશ્ન: લોકોને સસ્તુ અને સારૂ તેલ ખાવું છે? તોશું એ શકય છે?

જવાબ: આ વાત પ્રેકટીકલી શકય નથી. કારણ કે સારા તેલના ડબ્બાના ભાવ વધુ જ હોય છે.

પ્રશ્ન: ઓઈલ મીલમાં નવા કોઈ પ્લેયર આવે છે?

જવાબ: છેલ્લા બે ત્રણ વર્ષથી ઉત્પાદન સારૂ વધ્યું છે. એટલે ઘણા બધા યુનિટ નવા આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ-ઉપલેટામાં ઘણા નવા યુનિટ વિકસ્યા છે. ખાસ કરીને નાના સેન્ટરમાં મીલો ઘણી વધી છે.

પ્રશ્ન: ખેડૂતોની ફરિયાદ છે કે ભાવ ઓછા મળે છે અને તેલ મોંઘુ મળે છે એટલે સીધો આક્ષેપ એવો છે કે આ વચ્ચેનો ગાળો ઓઈલ મીલરો ખાય જાય છે તોઆ કેટલુ સાચુ છે?

જવાબ: આ આક્ષેપ જરા પણ સાચો નથી. ખોળ 50% અને તેલ 35% જ નીકળે છે. એટલે કે તેલનો ભાવ ખોળના ભાવ પર આધારિત છે.

પ્રશ્ન: સરકાર પાસે આપની શું અપેક્ષા છે?

જવાબ: આયાત ઓછી કરી, ઉત્પાદન વધારવાની સરકારની નીતી જે ખરેખર સારી છે. આયાત ડયુટી ઘટી છે જે ખેડુતોને નુકશાન કર્તા થઈ શકે એવું લાગે છે.

પ્રશ્ન: આજે કંપનીઓ જે તૈયાર ફૂડના પેકેટ બનાવે છે તે સીંગતેલમા જ બનાવે તેવો કાયદો સરકારે લાવવો જોઈએ કે શું?

જવાબ: આ વાત પ્રેકટીકલી શકય નથી પરંતુ દેશી તેલનો 10-20% વપરાશ થાય તેવો નિયમ લાવવામાં આવે તો પણ ઘણુ પ્રોત્સાહન મળી શકે છે.

પ્રશ્ન: આખા વર્ષનું તેલ ભરાવવાનો યોગ્ય સમયગાળો કયો છે?

જવાબ: નવેમ્બર માસમાં તેલ ભરવું વધારે સારૂ રહે કારણ કે મગફળી પડી રહે તેમ કવોલિટી ઉતરતી કક્ષાએ જાય છે. આથી મગફળી નીકળે તે સમયગાળામાં તેલ ભરાવવું વધારે ફાયદારૂપ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.