Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

કેશોદ નગરપાલિકા કચેરી ખાતે આજરોજ કારોબારી સમિતિનાં ચેરમેન મોહનભાઈ બુટાણીની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જેમાં શહેરના મિલ્કત ધારકો માટે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતાં સફાઈ કર અને દિવાબતી કરમાં રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિલકતધારકોને પાલિકાએ દિવાળીભેટ આપી છે.

કેશોદ નગરપાલિકામાં હાલમાં સફાઈ કર રહેણાંક મિલ્કત ધારકો પાસેથી ૫૨૮/- રૂપિયા લેવામાં આવે છે તે ઘટાડીને ૨૦૦/- રૂપિયા અને બિનરહેણાકનાં ૬૬૦/- રૂપિયા ઘટાડીને ૩૦૦/- રૂપિયા તેમજ દિવાબતી કર રહેણાંક મિલ્કતમાં ૨૬૪/- લેવામાં આવે છે એ ઘટાડીને ૧૫૦/- રૂપિયા અને બિનરહેણાક નાં ૩૯૬/- રૂપિયા ઘટાડીને ૨૫૦/- રૂપિયા કરવામાં આવેલ છે જે વર્ષ ૨૦૨૨-૨૦૨૩ થ લાગું પડશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓ હેઠળનાં કામો નક્કી કરવામાં આવ્યા છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કારપેટ એરિયા બેઝ વેરો લાગું થયાં બાદ દર બે વર્ષે ૧૦% વધારો કરવામાં આવતો હતો. એ હવેથી દર પાંચ વર્ષે ૫% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કેશોદ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઈટનું કામ રાખનાર એજન્સી દ્વારા કરાર મુજબ કામગીરી કરવામાં ન આવતાં રદ્ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

કેશોદ નગરપાલિકા કચેરીમાં મળેલી કારોબારી સમિતિની મીટીંગમાં કારોબારી સભ્યો,ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રીટેન્ડ પી એચ વિઠ્ઠલાણી હાજર રહ્યા હતાં. કેશોદ શહેરનાં ચાલીસ હજાર જેટલા મિલ્કત ધારકોને દિવાળીનાં તહેવારો દરમિયાન રૂપિયા ૧૬૦૦૦૦૦૦/- જેટલો વેરો ઘટાડીને ભેટ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.