Abtak Media Google News
  • કોંગ્રેસની અંદર જાતિવાદનું રાજકારણ : કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર શોભાના ગાંઠીયા જેવી, પક્ષ માત્ર  5-7 લોકો ચલાવે છે
  • હાર્દિકે કોંગ્રેસને આડેહાથ લીધી, ભાજપના ગુણગાન ગાયા

હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામું આપીને પાર્ટીને અલવિદા કહ્યા બાદ આજે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. હાર્દિકે કોંગ્રેસને માત્ર 5-7 લોકો ચલાવતા હોવાનું અને દિલ્હીના નેતાઓ સુધી વાત નહીં પહોંચાડવાનું કામ થતું હોવાનો આક્ષેપ મૂક્યો છે. આ સાથે હાર્દિકે પોતાની સાથે થયેલા અન્યાય અને પાર્ટીમાં તેની કદર ના થતી હોવાનું પણ જણાવ્યું છે. સાથે કોંગ્રેસનું કોઈ ભવિષ્ય ન હોય, પોતે 3 વર્ષ બગડ્યા હોવાનું જણાવ્યું હતું.

ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ખુલ્લા મનથી, ખુલ્લા હૃદયથી આપની સાથે ચર્ચા કરવા માટે આવ્યો છું, 2015માં જયારે આંદોલનની શરુઆત કરી અને ત્યારથી 2019 સુધી મન ચોખ્ખું રાખીને ગુજરાતના લોકોના અધિકાર માટે કામ કર્યું હતું. સરકારના વિરુદ્ધમાં જનતાના અધિકાર માટે લડ્યા હતા, યુવાનોની ભાવનાને જોડીને સવર્ણ સમાજને 10 ટકા અનામત આપવાનું કામ કર્યું હતું. હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાં સત્તા અને પદ વગર કામ થઈ શકતું હોય તો સ્વાભાવિક છે કે રાજકારણમાં જવું જોઈએ અને આ જ હેતું સાથે હું કોંગ્રેસમાં જોડાયો હતો.

કોંગ્રેસમાં જોડાયો ત્યારે એ સપનું હતું કે જે હિત સાથે જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું, તે ગુજરાતના લોકોની વાત આક્રામકતા સાથે કરી શકીશ. 2017 અને 2015ની ચૂંટણીમાં વિપક્ષ હોય તો કંઈક થઈ શકે તેવા અવાજ સાથે અમે કોંગ્રેસને ફાયદો કરાવ્યો હતો. ગુજરાતનું સારું થાય તે જ ભાવના સાથે 2019માં હું કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022 સુધીના આ ત્રણ વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને જાણી સમજ્યા ત્યારે ખબર પડી કે કોંગ્રેસની અંદર સૌથી મોટી જાતિવાદનું રાજકારણ છે.

કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર શોભાના ગાંઠીયા જેવી હોય છે. અન્ય રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને જવાબદારીઓ સોંપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં મને બે વર્ષ સુધી કોઈ જવાબદારી સોંપવામાં નહોતી આવી. જ્યારે એક મહિનાથી કોંગ્રેસમાં થતી વિપરિત પરિસ્થિતિ અંગે મીડિયા સામે ખુલીને વાત મૂકી ત્યારે જે વખાણ કરતા હતા તે 5-6 નેતાઓ પોતાની મનમરજીથી મીડિયામાં આવીને ચર્ચા વિચારણા કરતા હતા.

નરેશ પટેલનો પણ હાર્દિકે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, રાજકોટમાં કોંગ્રેસની ચિંતન શિબિર છે ત્યાં અમારા સમાજના અગ્રણી નરેશ પટેલને મળવા માટે ગયા હતા, 9.58એ તેમણે નરેશભાઈના ઘરમાં એન્ટ્રી કરી 10.10એ તો બહાર આવી ગયા હતા. આ 12 મિનિટમાં શું ચર્ચા કરી લીધી એ લોકોએ? માત્ર એવું બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઈને લેવા માગીએ છીએ પણ આ વાતને 2 મહિના થઈ ગયા છે.

હું માત્ર પાટીદાર નહીં તમામ સમાજના લોકોને કહેવા માગું છું કે 2017માં અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે ભાજપની સામે એટલા માટે આંદોલન કરતા હતા કે અમારે સમાજને ન્યાય અપાવવો છે. સત્તા હતી એટલે અમે આંદોલન કર્યું, સત્તા બચાવવા માટે લોકોએ અમારા પર કેસ પણ કર્યા હશે, અમે જેલમાં પણ ગયા. 10 ટકા અનામત હોય, બિનઅનામત આયોગ હોય કે 1000 કરોડ યુવાસ્વાવલંબન યોજના હોય એ આ સત્તામાં બેઠેલા લોકોએ જ આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું હતું? 2017ની ચૂંટણીમાં અમે દુ:ખી હતી માટે સરકાર સામે આંદોલન કરતા હતા. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં પણ પાટીદાર સમાજનો ઉલ્લેખ નહોતો કર્યો પણ સરકારે મોટું મન રાખી 10 ટકા અનામત આપી અને તેનો લાભ ગુજરાતના લોકોને મળ્યો.

હાર્દિકે અગાઉ જેમનો વિરોધ કર્યો છે તેમના આજે પ્રેસ કોન્ફરન્સમાં વખાણ કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, કોઈ જ્યારે ગુજરાતમાં આવે અને ગુજરાતી છે અને આગળ છે તેના કારણે કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવે છે. સરદાર પટેલ, મોરારજી દેસાઈ, અદાણી-અંબાણી કે દેશના વડાપ્રધાન ગમે તેવા કેમના હોય પણ એ ગુજરાતી છે એટલે વ્યક્તિગત રીતે આરોપ પ્રત્યારોપ મૂકવાનું કામ તેમણે કર્યું છે. અદાણી-અંબાણી તેમની મહેનતથી પૈસાવાળા બન્યા છે. ગુજરાતનો નાનામાં નાનો ઉદ્યોપતિ પણ એવી ઈચ્છા રાખે કે હું પણ અદાણી-અંબાણી બનું, દરેક વ્યક્તિ મોટા ઉદ્યોગપતિને પોતાના રોલમોડલ માને તેની જગ્યાએ 7 વર્ષથી આપણે તેમની સામે ગાળો જ સાંભળી છે.

મારું સ્પષ્ટપણે માનવું છે કે તમારે ગુજરાતમાં કામ કરવું હોય તો સેક્ધડ લીડરશિપને પણ મહત્વ આપવું જોઈએ. જે કાર્યકર્તા તાલુકામાં કામ કરે છે, જિલ્લામાં કામ કરે છે તેમને મહત્વ આપવું જોઈએ. તેમ છતાં અહીં તો કેટલાક લોકોના આધારે કોંગ્રેસ ચલાવવાનું કામ આ લોકો કરે છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ગુજરાતના એક-એક મુદ્દાને લઈને મેસેજ કર્યા છે, વાત કરી છે. તેમણે મને જ્યારે મારા મુદ્દા વિશે પૂછ્યું તો મેં કહ્યું મારો ઈરાદો પદ લેવાનો નહોતો, ગુજરાતમાં કામ માગવાનો હતો.

કોંગ્રેસમાં પાર્ટી પ્રોટોકોલ નથી

ઘણાં યુવાનોએ મારા રાજીનામા પછી ફોન કર્યા જેમાં લોકોએ સૌથી પહેલા કહ્યું કે, હાર્દિક પટેલ અભિનંદન.. સારું કામ કર્યું.. આગળ હાર્દિકે કહ્યું કે, કોંગ્રેમાં માત્ર 7-8 લોકો છેલ્લા 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચલાવે છે. કોંગ્રેસે મારા માટે ત્રણ વર્ષમાં કોઈ સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ રાખી હોય તો મને બતાવો. કોંગ્રેસ કહે છે કે બેરોજગારી મુદ્દો છે, હું યુવાન છુ કેમ તમે મારી એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી રાખી? પેપર લિકના મુદ્દે મારે જાતે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે, બધું જાતે કરીએ તો કહે કે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા.

રાહુલ ગાંધી અહીં આવે તો કોઈ મુદાની વાત નથી થતી, કઈ ચિકન સેન્ડવીચ આપવી તેવી વાતો થાય છે

રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને હાર્દિકે કહ્યું કે ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓ તેમની કાન ભંભેરણી કરવાનું કામ કરે છે. તેઓ રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે તેઓ તેમની સમક્ષ ગુજરાતના મુદ્દાઓની ચર્ચા નથી કરતા પણ રૂમમાં બેસીને એ ચિંતન કરે કે રાહુલ ગાંધીને આજે કઈ ચિકન સેન્ડવીચ આપવાની છે? કયો ડાયટ કોક આપવાનો છે? આવું થાય ત્યારે દુ:ખ થાય છે કે રાષ્ટ્રીય નેતા ગુજરાત આવે ત્યારે તેમને ગુજરાતના એકએક મુદ્દાની જાણકારી તમારે તેમને આપવી જોઈએ.

કોંગ્રેસની મિટિંગમાં જાતિવાદના રાજકારણ સિવાય કોઈ મુદ્દો ન હોય

કોંગ્રેસની મિટિંગમાં કેવી પ્રકારની ચર્ચા થાય છે તેનો પણ હાર્દિકે ભાંડો ફોડી નાખ્યો અને કહ્યું કે, જાતિવાદના રાજકારણથી ઉપર આવ્યા વગર કોઈ પણ પ્રકારનું કામ મિટિંગમાં ના થાય. ઉત્તર ગુજરાતમાં કયા સમાજને સામે મૂકવાથી, કયા સમાજને ટિકિટ આપવાથી, કયા સમાજને અપક્ષ ઉમેદવાર બનાવવાથી આપણને ફાયદો થાય.. એ સિવાય કોઈ ચર્ચા ગુજરાત કોંગ્રેસ દ્વારા થતી નથી. ગુજરાતના કેટલાક નેતાઓ દિલ્હીમાં કડવા-લેઉઆના ભાગલાની વાતો કરે છે.

કોંગ્રેસ ન તો ગુજરાતનું સારૂ કરવા ઈચ્છે છે ન તો ગુજરાતના લોકોનું

મેં રઘુ શર્માનું ઈન્ટરવ્યુ સાંભ્યું અને તેઓ કહી રહ્યા છે કે 2017માં અમને આંદોલનથી કોઈ ફાયદો નથી થયો. રધુ શર્મા નવા-નવા રાજસ્થાનથી આવ્યા છે એટલે ભૂલી ગયા હોય 1990 પછી પહેલી વાર ગુજરાતમાં કોંગ્રેસની 65 સીટોથી વધુ સીટો આવી હતી. ઈન્દિરા ગાંધી વખતે તમે જે 17 સીટ જીતી નહોતા શક્યા તે સીટ 2017માં તમે જીતી શક્યા હતા. આ બધાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોંગ્રેસ પાર્ટી ના ગુજરાતનું સારું કરવા માગે છે ના ગુજરાતના લોકોનું..

જ્યારે કોઈ નેતા મજબૂત બને એટલે કોંગ્રેસ તેને હટાવી દયે છે

ગુજરાતમાં માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં ઘણાં યુવાનો અને ધારાસભ્ય અને નેતાઓ છે કે જેમનો માત્ર ઉપયોગ કરવામાં આવે છે અને કામ પતી જાય પછી ફેંકી દેવામાં આવે છે. આ જ રીતે ચીમનભાઈને પણ હટાવી દેવામાં આવ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાને પણ હટાવી દેવામાં આવ્યા હતા. 2012ની ચૂંટણીમાં નરહરી અમિનને પણ આ જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પાટીદાર કે કોઈ નેતા મજબૂત બનીને કોંગ્રેસનું કામ કરે ત્યારે પાર્ટીના નેતાઓ દ્વારા તેમને હટાવી દેવાનું કામ કરાય છે.

કોંગ્રેસમાંથી નેતાઓ કેમ જાય છે ? તેનું પક્ષે ચિંતન કરવાની જરૂર

કોંગ્રેસ પાર્ટી પરિવારની આસપાસ ફરતી હોવાનું કહીને હાર્દિકે કહ્યું કે, જ્યારે જ્યારે તમે કોંગ્રેસમાં સાચી વાત કહેવાનો પ્રયાસ કર્યો માત્રને માત્ર પાર્ટીના લોકોએ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ કેમ ના હોય તેમણે કોંગ્રેસમાં વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. કોંગ્રેસમાં પડતી વિકેટોને ટાંકીને હાર્દિકે કહ્યું, જ્યારે એક બે વ્યક્તિ કોંગ્રેસમાંથી જાય તો વિચારય કે આ વ્યક્તિ વેચાઈ ગયો પણ 2012થી 2022 સુધીમાં 117 વ્યક્તિઓએ જ્યારે પાર્ટી છોડી, તેમાંથી 27થી વધારે ધારાસભ્યોએ પાર્ટી છોડી 12થી વધુ પૂર્વ લોકસભાના સભ્યો છે, ત્યારે તમારી જાત ઉપર તમારે ચિંતન કરવાની જરુર છે, ઉદેપુરમાં બેસીને શિબિર કરવાની જરુર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.