Abtak Media Google News

આપણા પ્રાચીન પરંપરાગત ઉત્સવમાં કલગી સમાન તહેવાર એટલે દિવાળી. ભગવાન શ્રી રામ વનવાસ વિતાવી પોતાની નગરી અયોધ્યામાં ફરી પધાર્યા તેથી ત્યારથી લોકોએ ઘરે ઘરે દીવા પ્રગટાવી શ્રી રામના આગમનની ઉજવણી કરી હતી. અંધકારમાં પ્રકાશનો ફેલાવો કરતા આ ઉત્સવમાં બીજી પણ પરંપરા લોકો દ્વારા વર્ષોથી ચાલુ રાખવામાં આવી છે.ગામડા ભણી નજર કરતા અડીખમ વિરસતો ભરેલી પરંપરા જીવંત છે. ગુજરાતના ઘણા ગામડા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેર મેરાયાની પરંપરા  ઉજવાય છે.શહેરી સંસ્કૃતિમાં કદાચ નાશપ્રાય: પરંતુ ગામડામાં આંશિક રીતે જીવિત આ પરંપરાના મૂળિયાં છેક 5000 વર્ષ પેહલા કૃષ્ણ સુધી લંબાય છે.

મેરાયું પુરાવાની પરંપરાના મૂળિયાં છેક 5000 વર્ષ પેહલા કૃષ્ણ સુધી લંબાવેલા છે

મેરાયુંનો મતલબ એક શેરડી અથવા લાકડાના કટકાંને અડધા સુધી બે ચીરા કરી તે ચીરામાં કોડિયું અથવા નારિયેળની કાંસળી કે છાણનું બનાવેલુ કોડિયું રાખી તેમાં લાંબી વાંટ કે કપાસિયા તેલવાળા કરીને નાખી તેને પ્રગટાવી પાંચ ઘરે જઈને તેલ પુરાવાની પરંપરા એટલે મેર મેરાયા ની પરંપરા

દિવાળી દિવસે નવોઢા સ્ત્રી અને આ વર્ષે જન્મેલા નવા બાળકોને લઈને પાંચ ઘરે મેંરાયું લઈને તેલ પુરાવવા જવાનો રીવાજ પ્રચલિત છે

મેરાયું શબ્દ કદાચ સંભાળ્યો પણ ન હોય એવું બને.પણ કદાચ ગીત સાંભળ્યું હોય ઘી પુરાવે તેને “ઘેટી છોડી તેલ પુરાવે તેને તેર તેર છૈયા”આવા ગીત સાથે છોકરાઓનું ટોળું ઘેર ઘેર જઈને તેલ અથવા ઘી પુરાવી હરએક ઘરે બાંધેલા ઢોરને બતાવી છેલ્લે પોતાના ઘરના આંગણા કે ફરિયામાં એ મેરાયુ ખૂંચવી દેવામાં આવે છે. મેરાયું મતલબ એક શેરડી અથવા લાકડાના કટકાં ને અડધા સુધી બે ચીરા કરી તે ચીરામાં કોડિયું અથવા નારિયેળની કાંસળી અથવા છાણનું બનાવેલ કોડિયું રાખી તેમાં લાંબી વાંટ કે કપાસિયા તેલવાળા કરીને નાખી તેને પ્રગટાવી પાંચ ઘરે જઈને તેલ પુરાવાની પરંપરા એટલે મેર મેરાયા ની પરંપરા.

સૌ પ્રથમ મેર આયુ શ્રીકૃષ્ણ ભગવાને બનાવ્યું હોવાની માન્યતા પ્રવર્તે છે. ગોકુળમાં લોકો દ્વારા ભગવાન રાજાધિરાજ ઇન્દ્રદેવને વરસાદ વરસાવી આ ભૂમિને લીલી વનરાવન જેવી કરતા તેની ગાયોઆ લીલોતરી થકી હસ્ઠપૃષ્ઠ થઈ પોતાને દૂધનું ધન આપતી રહે છે તેથી ઇન્દ્ર દેવ ગોકુળ ઉપર પ્રસન્ન રહે તેથી પૂજન અર્ચન કરી હવન આદિ કરવામાં આવતું હતું.પરંતુ બાળ કનૈયા એ આ પરંપરાનો વિરોધ કરી ઇન્દ્રપૂજાનાં બદલે ગોવર્ધન પૂજા કરવાની પરંપરા શરૂ કરાવી. વાત બધાને ખબર છે ગોવર્ધનપૂજા થતાં જ ઇન્દ્ર  કોપાયમાન થયા અને ગોકુળ પર વરસાદની અતિવૃષ્ટિ કરી હતી.સૌ લોકોએ કૃષ્ણનો આશરો લીધો અને કૃષ્ણએ ટચલી આંગળીથી ગોવર્ધન ઊંચક્યો.બાદમાં ઇન્દ્રને ખબર પડે છે જગતમાં નાથે આવી લીલા કરી ત્યારબાદ ભગવાનની માફી માંગી ઈન્દ્રએ વરસાદ ખેંચ્યો.

આ અતિ વરસાદથી ગાયું એ ગૌવર્ધની ગુફામાં સંતાઈ ગઈ હતી બાદ બધા ગોવાળિયા ઘરે ઘરે જઈને ખબર લીધી “ગાવડી માવડી મેળ મેળૈયા ? “તમારી ગાયું પાછી આવી ગઈ અથવા તમારી ગાયો સલામત છે. બધા ઘરે જઈને પૂછતા જ્યાં તેલ ખૂટતું ત્યાં તેલ પુરાવી બીજે જતા હતા.આ પરંપરા ત્યારથી લઈ આજ સુધી ચાલતી રહી હોવાનું કહેવાય છે.

દિવાળી દિવસે નવોઢા સ્ત્રી અને આ  વર્ષે જન્મેલા નવા બાળકોને  લઈને પાંચ ઘરે મેંરાયું લઈને તેલ પુરાવવા જવાનો રીવાજ પ્રચલિત છે.નિ:સંતાન દંપતીને જો તેલ પુરે તો તેને સંતાનની પ્રાપ્તિ થતી હોવાની પણ વાયકા છે.આ મેરાંયું ઘરના ઢોરનાં વાળામાં બતાવવામાં આવે છે જેથી માલ ઢોરને રોગચાળો નહિ થવાની માન્યતા છે.જે ઘરે તેલ પુરાવે ત્યાંથી બાળક અને નવોઢાને ભેંટ રૂપે પૈસા આપવાનો રીતી રિવાજ છે.નવા જન્મેલા બાળકનો દીપક સતત ઝળહળતો રહે તે દીર્ઘ આયુષ્યનો થાય.તે ઘરનો કુળ દીપક બને એવી સુંદર આશા સાથે મેરાયું લઈને હરઘરે લઈ જવાની પરંપરા ગ્રામ્ય સંસ્કૃતિમાં આંશિક રીતે પ્રવર્તે છે.ગાવડી માવડી મેળ મેળાયા? નું હાલમાં કાગડી માગડી મેળ મેરાયાં તેલ પુરાવો રૂપે બોલાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.